સવાલ મોકલનાર : વિપુલકુમાર રાઠોડ
આ માટેની વિધિ તો સહેલી છે અને આગળ તે મુદ્દાસર સમજાવી છે, પણ મુખ્ય મુદ્દો એ છે કે ફેસબુક પર તમારે નામ બદલવું જોઈએ ખરું? વિના કારણ તમે ફેસબુક પર તમારું નામ બદલો અને કોઈ વ્યક્તિ તે અંગે ફેસબુકનું ધ્યાન દોરે, તો બની શકે છે કે ફેસબુક એ નામ તમારું જ હોવાના પુરાવા માગે! જો આ પુરાવા તમે ન આપી શકો તો તમારું એકાઉન્ટ બ્લોક થઈ શકે છે.
ફેસબુક કંપનીના પોલિસી એ છે કે તેના યૂઝર ફેસબુક પર એ જ નામનો ઉપયોગ કરે, જેનો તેઓ વાસ્તવિક જીવનમાં પણ ઉપયોગ કરતા હોય.
ફેસબુકના મતે, જો લોકો પોતાના વાસ્તવિક નામથી ફેસબુકનો ઉપયોગ કરે તો જ બીજી વ્યક્તિ પૂરા વિશ્વાસ સાથે તેની ફ્રેન્ડશીપ રીક્વેસ્ટનો સ્વીકાર કરે અને એ રીતે ફેસબુક પરની આખી કમ્યુનિટી સલામત રહી શકે.
જોકે ફેસબુકનો ઉપયોગ કરતા સૌ કોઈ જાણે છે કે અહીં ઘણા લોકો પોતાના અસલ નામને બદલે બીજા કોઈ ભળતા જ નામથી એકાઉન્ટ ખોલાવીને બિન્દાસ્ત ફેસબુકનો ઉપયોગ કરતા રહે છે. ફેસબુક પર ફેક એકાઉન્ટ વિશેના સમાચારો પણ અખબારમાં વારંવાર આવે છે.