આ લેખ સાથેની તસવીરો પર જરા ફરી એક વાર નજર નાખો. મોટા ભાગના લોકોની નજરે જે ટુરિસ્ટ પ્લેસીઝ કહેવાય એવાં દુનિયાનાં જાણીતાં સ્થળોને બદલે બિલકુલ અજાણી, વણખેડાયેલી રહેલી ભોમકા ખૂંદવા નીકળી પડેલી કોઈ વ્યક્તિએ નિજાનંદ માટે આ તસવીરો લીધી હોય એવું લાગે છે?
તો તમારી ભૂલ થાય છે! આ તસવીરો દુનિયા જોવા નીકળેલી વ્યક્તિએ નહીં, પણ ઘરનો ઊંબર પણ ઓળંગતાં ડરતી વ્યક્તિએ લીધેલી તસવીરો છે, એ પણ ઘરની બહાર એક ડગલું માંડ્યા વિના. ઉપરાંત, આ તસવીરો એના માટે માત્ર નિજાનંદ નહીં, પણ પોતાની વર્ષો જૂની બીમારીમાંથી બહાર નીકળવાનો એક રસ્તો બની ગઈ છે. તસવીરો ફરી ધ્યાનથી જુઓ, એમાં તમને વિવિધ જગ્યાના રસ્તા જ વધુ દેખાશે!