ભારતનું ભાવિ બદલશે – યુપીઆઇ

By Himanshu Kikani

3

‘સાયબરસફર’માં આપણે વર્ષ ૨૦૧૬-૧૭થી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ)વિશે વાત કરતા રહ્યા છીએ અને ત્યારથી કહેતા આવ્યા છીએ કે આ એક પહેલ આપણી બેન્કિંગ વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તનો લાવશે, એ વાત હવે સાચી પડી રહી છે.

યુપીઆઈની ખાસિયત એ છે કે તેમાં આપણા બેન્ક એકાઉન્ટ કે આર્થિક લેવડદેવડ જરૂરી હોય એવી કોઈ પણ બાબત માટે ઈ-મેઇલ એડ્રેસ જેવું જ એક આગવું ઈ-મેઇલ એડ્રેસ બને છે. જેમ himanshu@cybersafar.com ઈ-મેઇલ એડ્રેસ પર મોકલેલો ઇમેઇલ અન્ય કોઈ વ્યક્તિના ઈ-મેઇલ એડ્રેસ પર પહોંચી ન શકે (અમુક ચોક્કસ, લાભદાયી અપવાદ સિવાય) એમ નિશ્ચિત યુપીઆઈ એડ્રેસ પર મોકલેલા રૂપિયા અન્ય કોઈ વ્યક્તિના ખાતામાં પહોંચી શકે નહીં.

બસ, આ એક વાતનો હવે ડિજિટલ ટ્રાન્ઝેકશનના નિષ્ણાતો નવી નવી રીતે લાભ લઈ રહ્યા છે.

ફાસ્ટેગ તેનું એક ઉદાહરણ છે. તમે તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં બેલેન્સ ખૂટી જતાં તેમાં રૂપિયા ઉમેરો ત્યારે એ વાત કદાચ તમારા ધ્યાન બહાર જતી હશે કે તમારા ફાસ્ટેગ એકાઉન્ટનું પણ એક નિશ્ચિત યુપીઆઈ એડ્રેસ બનેલું છે!

જેમ આપણે એ યુપીઆઈ એડ્રેસથી આપણા એકાઉન્ટમાં રૂપિયા જમા કરીએ છીએ, બરાબર એ જ રીતે હાઇવે પરના ટોલટેક્સ બૂથ પરનાં સેન્સર આપણી કારના સ્ક્રીન પર લગાવેલા કોડને રીડ કરે છે અને એ અનુસાર આપણા નિશ્ચિત ખાતામાંથી રકમ મેળવી લે છે.

આ જ એપ્રોચ હવે ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે.

ભારતના સમગ્ર વહીવટી તંત્રમાં (પછી વાત સરકારી વિભાગની હોય કે ખાનગી કંપનીની) ભ્રષ્ટાચારનો સડો બહુ ઊંડે સુધી પહોંચી ગયો છે. તેને દૂર કરવો એ કોઈ રીતે સહેલી વાત નથી. પરંતુ આશાની વાત એ છે કે આ કામ ટેકનોલોજીની મદદથી કરવાના પ્રયાસો જરૂર થઈ રહ્યા છે.

ભારતમાં ‘જેમ ટ્રિનિટી’ એટલે કે જનધન બેન્ક એકાઉન્ટ, આધાર કાર્ડ તથા મોબાઇલના ત્રિપાંખિયા ઉપયોગથી સરકારી યોજનાઓના સાચા લાભાર્થીને તેના હક્કનાં નાણાં પૂરેપૂરા પ્રમાણમાં પહોંચાડવાની પહેલ શરૂ થઈ છે. હવે ‘ઇ-રુપી’ નામની વ્યવસ્થાથી આખી વાતને વધુ પારદર્શક અને વધુ કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ થયો છે.

આ પહેલને કારણે પોતાના કર્મચારીઓ કે અન્ય કોઈને પણ નિશ્ચિત લાભ આપવા માગતા સરકારી વિભાગો કે કોર્પોરેટ કંપનીઝ, ઇ-રુપી વ્યવસ્થામાં જોડાયેલ બેન્કને કુલ લાભની રકમનું પેમેન્ટ કરશે, બેન્ક દ્વારા દરેક લાભાર્થી માટે એક ક્યૂઆર કોડ અથવા ખાસ પ્રકારનો એસએમએસ જનરેટ થશે અને તેની મદદથી લાભાર્થી નિશ્ચિત જગ્યાઓએથી, પોતાની ઓળખ સાબિત કરીને એ નિશ્ચિત લાભ મેળવી શકશે.  યુપીઆઈ આધારિત આ આખી વ્યવસ્થામાં અગાઉ જ્યાં જ્યાંથી રૂપિયા સરકી જવાની કે ખોટા હેતુ માટે ઉપયોગ થવાની શક્યતા હતી એ છીંડાં લગભગ પૂરાઈ જાય છે.

અલબત્ત હજી પણ મૂળ લાભાર્થી કેવી રીતે નક્કી થાય અને એના સુધી લાભનો ક્યૂઆર કોડ પહોંચે એ સુનિશ્ચિત કરવું સૌથી મુશ્કેલ કામ છે. લાભાર્થીઓ અહીંથી જ લાભથી વંચિત રહી જાય એવી શક્યતા છે, પરંતુ જો તેને ક્યૂઆર કોડ મળે તો પછીની આખી પ્રક્રિયા ખરેખર પારદર્શક બની છે.

 આપણા દેશને સુપરપાવર બનાવવાની જે વાતો થાય છે એ આવી સૂક્ષ્મ સ્તર પરની પહેલોને કારણે જ શક્ય બનશે.

 – હિમાંશુ


‘સાયબરસફર’ના અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop