પોતાના લાખો ફોલોઅર્સ હોવાનું બતાવીને સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયામાંથી કરોડોની કમાણી કરે છે, પણ અનેક લેભાગુ કંપની વર્ષોથી ફોલોઅર્સ વેચે છે.
મારા નેવું કરોડ ફોલોઅર્સને મારે એટલું જ કહેવાની વાર છે… (#$&!) કો ઠોક દો…!’’ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોવિડ-૧૯ની સારવાર લઈ રહ્યા હતા ત્યારે કોઈએ તેમના વિશે સોશિયલ મીડિયામાં અજુગતી કમેન્ટ કરતાં અમિતાભ બચ્ચન એ ટ્રોલર પર ઉકળી ઉઠ્યા અને પોતાના બ્લોગ પર એમણે આવો ઉભરો ઠાલવ્યો. એમણે પોતે લખ્યું છે કે એકલવાયા રહીને કોવિડની સારવાર લેવાની માનસિક અસર પણ હોય છે. પરંતુ વાસ્તવિક જીવનમાં હંમેશા સૌમ્ય સ્વરૂપમાં જોવા મળેલા ‘એંગ્રી યંગમેન’ના આ ફૂંફાડા પાછળ ‘નેવું કરોડ ફોલોઅર્સ’ના આંકડાની પણ મોટી અસર છે.