પ્રશાંત મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને જોડતી પનામા નહેરમાં મહાકાય જહાજોને ‘પાણીનાં પગથિયાં’ની મદદથી ચઢ-ઉતર કરાવવામાં આવે છે – આ અજબગજબ નહેર સો વર્ષ પહેલાંની ટેક્નોલોજીથી બનેલી છે એ માનવું મુશ્કેલ છે.
પંદરમી ઓગસ્ટ જેમ ભારત માટે ઐતિહાસિક દિવસ છે, એમ આ દિવસ વિશ્વભરના એન્જિનીયર્સ માટે પણ ઐતિહાસિક છે. પૂરી એક સદી પછી, આજે પણ જેની ગણના મોડર્ન એન્જિનીયરિંગ માર્વેલ્સમાં થાય છે એવી પનામા નહેર ૧૫ ઓગસ્ટ, ૧૯૧૪ના દિવસે ઉપયોગ માટે ખૂલી મુકાઈ હતી.
આ નહેર વિશ્વના બે સૌથી મોટા મહાસાગર, પ્રશાંત મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને જોડે છે. બાજુમાં આપેલ ગૂગલ અર્થની તસવીર જોતાં તરત સમજાય એમ કે આ નહેર આખા વિશ્વ માટે કેમ મહત્વની છે. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને જોડતી ‘સાંકડી’ ભૂમિને કોતરીને આ લગભગ ૮૦ કિલોમીટર લાંબી નહેર સર્જવામાં આવી છે. સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં આ ‘નાનકડી’ નહેર બહુ મોટો ભાગ ભજવે છે. અનાજ, ક્રૂડઓઇલ અને કોલસા સહિતનો કાર્ગો લઈ જતાં અનેક જહાજોનો લાંબો પ્રવાસ આ નહેરને પ્રતાપે ટૂંકો થાય છે. આ નહેર નહોતી બંધાઈ ત્યારે અમેરિકાના પશ્ચિમ કાંઠેથી પૂર્વ કાંઠે જવા માટે આખા દક્ષિણ અમેરિકાને ચક્કર લગાવવું પડતું, પનામા નહેરને કારણે આ પ્રવાસ ૮,૦૦૦ દરિયાઈ માઇલ એટલે કે ૧૫,૦૦૦ કિલોમીટર જેટલો ટૂંકો થઈ ગયો છે.