ૐ
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં ત્રણ યોગને ખૂબ મહત્વ આપ્યું છે, તેમાં ભક્તિયોગ એક છે. ગીતાજીના ૧૨મા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને પોતાને કેવો ભક્ત ગમે છે એ બાબત બહુ સરસ અને સરળ રીતે સમજાવ્યું છે.
‘‘જે પ્રાણી માત્રનો દ્વેષ કરતો નથી, જે સૌની સાથે મિત્રભાવે વર્તે છે, જે દયાળુ, મમતારહિત, અહંકાર વિનાનો, સુખદુઃખને સમાન માનનારો, ક્ષમાવાન, સદા સંતોષી, યોગનિષ્ઠ, મનને વશ રાખનારો, દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં મન અને બુદ્ધિ અર્પણ કર્યાં છે તે મારો ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘જેનાથી લોકો સંતાપ પામતા નથી અને જે લોકોથી સંતાપ પામતો નથી, જે હર્ષ, શોક, ક્રોધ, ભય અને ઉદ્વેગથી રહિત છે તે ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘જે પુરુષ સ્પૃહા વિનાનો, પવિત્ર, નચિંત, પક્ષપાત રહિત, ભય રહિત અને જેણે સર્વ આરંભોનો ત્યાગ કર્યો છે તેવો મારો ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘જે હર્ષ પામતો નથી કે દ્વેષ કરતો નથી, શોક કરતો નથી કે ઇચ્છા કરતો નથી, જે શુભ અને અશુભ કર્મોના ફળને ત્યજી દે છે એવો મારો ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘જેને શત્રુ, મિત્ર, માન, અપમાન, ટાઢ, તાપ, સુખ, દુઃખ સરખાં છે, જે આસક્તિ રહિત છે, જે નિંદા અને સ્તુતિને સમાન સમજે છે, જે મનનશીલ છે, જે કંઈ સહજ ભાવે મળે તેમાં સંતોષ માને છે, જે મમતા રહિત છે, તે સ્થિર બુદ્ધિવાળો ભક્તિમાન પુરુષ મને અતિપ્રિય છે.’’
‘‘જે શ્રદ્ધાયુક્ત ભક્તો, મારામાં પરાયણ રહીને, મેં કહ્યું તે પ્રમાણે આ ધર્મમય અમૃતનું નિષ્કામ ભાવથી સેવન કરે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે.’’
ગીતાજીની સંસ્કૃત ભાષા સરળ હોવા છતાં કદાચ આપણને ન સમજાય તો શ્રી નરસિંહ મહેતાએ આ જ વાત બહુ જ સરળ શબ્દોમાં ગુજરાતી ભાષામાં ભજન રૂપે કહી છે, તેને જીવનમાં આચરણમાં મૂકીએ તો પ્રભુની કૃપા પામી શકીએ. બધા સદગુણોનું આચરણ અઘરું લાગે તો પણ એકાદ સદગુણને આચરણમાં મૂકીએ તો ધીમે ધીમે બધા સદગુણો જીવનમાં આપોઆપ પ્રગટે અને આપણું જીવન સુધરી જાય. આ બધા સદગુણો કેટલી બધી પરમ શાંતિ આપે છે એ તો જાતે અનુભવવા જેવું છે એ જ પ્રભુકૃપા છે.
કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણે પરસ્પર સંકળાયેલા છે. કોઈ એક યોગનું સાચા દિલથી અનુસરણ કરીએ તો બીજા બે યોગની જુદી સાધના કરવી પડતી નથી. એ સાધના આપોઆપ થઈ જાય છે. સાચા દિલથી ભક્તિયોગને અનુસરનારને અધ્યાત્મનું જ્ઞાન શીખવું પડતું નથી. તેવી જ રીતે તેનાં તમામ કર્મો નિષ્કામ ભાવે જ થતાં હોય છે. પરમાત્માના પરમ ભક્ત શ્રી નરસિંહ મહેતા આનું જ્વલંત ઉદાહરણ છે.
પ્રભુની ભક્તિ કરતાં કરતાં તેઓ પરમ તત્ત્વજ્ઞાની થઈ ગયા. કોઈ યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ કર્યો ન હતો. તેમ છતાં તેમનું અધ્યાત્મ જ્ઞાન બહુ ગહન હતું. કોઈ યશ મેળવવાની ગણતરી વિના, અપયશ સહન કરીને પણ, સમગ્ર નાગર જ્ઞાતિની નારાજી જાણતા હોવા છતાં, અસ્પૃશ્યતા નિવારણનું ઉત્તમ કામ તેમણે સહજ ભાવે પાંચ સો વર્ષ અગાઉ કર્યું. તેવી જ રીતે થોડાં વર્ષ પહેલાં, અસ્પૃશ્યતા નિવારણનું ઉત્તમ કામ કરનાર મહાત્મા ગાંધીજીને, નરસિંહ મહેતા માટે ખૂબ માન હતું. તેમનું "વૈષ્ણવ જન તો તેને કહીએ..." ભજન ગાંધીજીને ખૂબ ગમતું.
પરમ વૈષ્ણવની વ્યાખ્યા નરસિંહ મહેતાએ આપી. વૈષ્ણવ કોને કહેવાય ?
(1) જે પીડ પરાઈ જાણે રે ... બીજાનાં દુઃખ જાણવાની કોશિશ કરે.
(2) પર દુઃખે ઉપકાર કરે ... બીજાનાં દુઃખ દૂર કરવા કોશિશ કરે.
(3) તોયે મન અભિમાન ન આણે રે ... અભિમાનથી પર હોય
(4) સકળ લોકમાં સહુને વંદે ... અત્યંત વિનમ્ર હોય.
(5) નિંદા ન કરે કેની રે ... કોઈની ક્યારેય નિંદા ન કરે.
(6) વાછ, કાછ, મન નિશ્ચલ રાખે ... વાણી, કાર્ય અને મન નિશ્ચલ રાખે.
(7) મોહ, માયા વ્યાપે નહીં જેને .... મોહ, માયાથી પર હોય.
(8) પરસ્ત્રી જેને માત રે ... પરસ્ત્રીને પોતાની માતા સમાન ગણે
(9) જીહ્વા થકી અસત્ય ન બોલે. .. ક્યારેય અસત્ય ન બોલે.
(10) પરધન નવ ઝાલે હાથ રે ... પરિશ્રમ વિનાનું ધન ન લે.
(11) વણલોભી ને કપટરહિત છે ... લોભી અને કપટી ન હોય.
(12) કામ ક્રોધ નિવાર્યાં રે ... કામ અને ક્રોધથી પર હોય.
ફક્ત દરરોજ હવેલીએ જવાથી, તિલક કરવાથી કે પ્રભુકીર્તન કરવાથી વૈષ્ણવ બની શકાતું નથી. કોઈ આપણે માટે શો અભિપ્રાય આપે છે એ વિચાર્યા વિના આપણે આપણું પોતાનું મૂલ્યાંકન ઉપરના માપદંડને આધારે કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણું મૂલ્ય કેટલું છે ? વૈષ્ણવ માટે અત્યંત જરૂરી ઉપરના તમામ સદગુણોમાંથી આપણામાં કેટલા સદગુણો છે એ આપણે વિચારવાનું છે. જો બહુ જ ઓછા હોય તો પછી હવેલીએ જવાનો કોઈ અર્થ નથી. આપણે આપણી જાતને કદાચ છેતરી શકીશું, કદાચ સમાજને પણ છેતરી શકીશું, પણ પરમાત્માને આપણે ક્યારેય છેતરી શકીશું નહિ. એ તો અંતર્યામી છે.
આપણામાં અવગુણો હોય તો એનાથી શરમાવા જેવું નથી. આપણે સંત નથી, સામાન્ય માનવી છીએ એટલે અવગુણ હોવા એ સ્વાભાવિક છે, પણ એ ગૌરવ લેવા જેવી બાબત નથી એટલું સમજવું જોઈએ. જે કોઈ અવગુણ આપણને દેખાય એ દૂર કરવા કોશિશ કરવી. આપણા અવગુણ કોઈને ન કહી શકીએ તો પણ પ્રભુને તો કહી શકીએ ને !.
પરમાત્મા પાસે નિખાલસ એકરાર કરવો અને આપણા અંતઃકરણને નિર્મળ બનાવવા વિનંતી કરવી. સાચા દિલની પ્રાર્થના પ્રભુ જરૂર સાંભળે છે. ભક્તિ એટલે આપણા મનને ધોવું. મનના મેલ ધોવાતાં, ધીમે ધીમે મનની કાળાશ ઘટશે. મન જેમ જેમ ચોખ્ખું થતું જશે તેમ તેમ મનની પરમ શાંતિ અનુભવી શકીશું. પરમાત્માની કૃપા અનુભવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. પરમાત્માની કૃપા જીવનમાં જરૂરી છે કે કેમ એ તો કૃપા અનુભવ્યા પછી જ ખબર પડે. એટલું કહી શકાય કે પ્રભુની કૃપા મેળવ્યા પછી જીવનમાં કાંઈ મેળવવાનું રહેતું નથી.
| Comments |
|
|
||||||||


‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’