ૐ
‘‘કીર્તિ: શ્રી: વાક્ ચ નારીણાં સ્મૃતિ: મેધા ધૃતિઃ ક્ષમા.’’
નારીમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ અને ક્ષમા (એ સાત દેવીઓ) હું છું. જગતના સર્જનહારે પોતે નારી માટે કેટલું બધું શ્રેષ્ઠ વિધાન કર્યું છે. જે નારીમાં ઉપર દર્શાવેલા ગુણો હોય એટલે કે જે સ્ત્રી પરિવારની કીર્તિ વધારનારી હોય, લક્ષ્મી જેવી મંગલકારી હોય, જેની વાણી સંયમવાળી અને મૃદુ હોય, તીવ્ર યાદશક્તિવાળી, બુદ્ધિશાળી, ધીરજવાળી અને ક્ષમાશીલ હોય એ સ્ત્રી મારું સ્વરૂપ છે.
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં કર્મયોગી, જ્ઞાની અને ભક્તની પ્રશંસા કરી છે, તેવી જ રીતે નારીની પ્રશંસા કરી છે, એ નોંધવા જેવું છે. સ્વાભાવિક રીતે જ જે નારીમાં આવા અદભુત ગુણો હોય તે નારી જ પોતાના બાળકમાં ઉત્તમ ગુણોનું સિંચન કરી શકે.
સર્જનહારનું શ્રેષ્ઠ સર્જન ‘‘‘મા’’’ છે. કોઈ વિદ્વાને બહુ સરસ કહ્યું : ‘‘પરમાત્મા બધે પહોંચી શકે તેમ ન હોવાથી, તેમણે માતાનું સર્જન કર્યું.’’ આમ ‘‘‘મા’’’ એ પરમાત્માનું જ સ્વરૂપ છે. બહેન, દીકરી, ભાભી વગેરે માનાં જ જુદાં જુદાં રૂપો છે. એ બધાં જ રૂપમાં પ્રભુએ ગજબ પ્રેમ, કોમળતા અને સુંદરતા મૂકેલી છે. મા ન હોય તો જગતનું અસ્તિત્વ જ ન હોય. જગતની રચના કર્યા પછી એને ટકાવી રાખવાની જરૂર છે. સમાજ વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે એ મહત્વનું છે, એને નુકસાન કરે એવાં સંતાનો તો અભિશાપ રૂપ ગણાય. એટલે જ કોઈ લોકકવિએ ગજબ વાત કરી :
‘‘જનની ! જણ તો ભક્ત જણ, કાં દાતા, કાં શૂર,
નહીંતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર .’’
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં કર્મયોગી, જ્ઞાનયોગી અને ભક્તયોગીની જે વાત કરી છે એ જ વાત લોકકવિએ જુદા શબ્દોમાં રજૂ કરી છે. --- હે મા ! પરમાત્માને પામવા પોતાનું આત્મસમર્પણ કરી દે, એવા પરમ ભક્તને જન્મ આપજે --- અથવા તો દરેકમાં પ્રભુ છુપાયેલા છે એમ સમજી, બીજાનાં દુઃખ દૂર કરવા પોતાની સંપત્તિ તજે, એટલે કે પોતાની સંપત્તિ પ્રભુ ચરણે ધરે એવા દાનવીરને જન્મ આપજે કેમ કે ગીતાજીના અર્થ પ્રમાણે એ જ સાચો જ્ઞાની છે --- અથવા તો નિર્બળનું રક્ષણ કરવા, બીજાના કલ્યાણ માટે પોતાની તમામ શક્તિ વાપરે એવા શૂરવીરને જન્મ આપજે કેમ કે ગીતાજીના અર્થ પ્રમાણે એ જ સાચો કર્મયોગી છે. --- જો ભક્ત, દાતા કે શૂરવીરને જન્મ ન આપી શકે તો તું વાંઝણી રહેજે એ વધુ બહેતર છે. તારું નૂર બિનજરૂરી ગુમાવીશ નહિ.
સંસ્કૃતમાં એક બહુ સરસ સુભાષિત છે :
‘‘વિદ્યા વિવાદાય, ધનમ્ મદાય, શક્તિઃ પરેશામ્ પરિપીડનાય,
ખલસ્ય, સાધોર્વિપરીતમેતત જ્ઞાનાય, દાનાય ચ રક્ષણાય.’’
દુર્જન લોકો પોતાની વિદ્યાનો ઉપયોગ વિવાદ કરવા માટે, ધનનો ઉપયોગ અભિમાન માટે અને શક્તિનો ઉપયોગ બીજાને હેરાન કરવા માટે કરે છે. જ્યારે સજ્જન લોકો વિદ્યાનો ઉપયોગ જ્ઞાન માટે, ધનનો ઉપયોગ દાન માટે અને શક્તિનો ઉપયોગ બીજાના રક્ષણ માટે કરે છે. દુર્જનો બીજાને ભોગે પોતે સુખી થવા પ્રયત્ન કરે છે, તેઓ સમાજ માટે ભારરૂપ છે. જ્યારે સજ્જનો પોતે તકલીફ વેઠીને બીજાને સુખી કરવા પ્રયત્ન કરે છે તેઓ સમાજ માટે ઉપકારક છે.
મા પોતાની ઇચ્છા મુજબ સંસ્કારી સંતાનને જન્મ આપી શકે ખરી ? જવાબ છેઃ ‘‘હા’’. બાળકના જન્મ પછી તો કાળજીપૂર્વકના ઉછેર દ્વારા મા તેના બાળકને સંસ્કારી બનાવી શકે એ સમજી શકાય કેમ કે અનેક વિદ્વાન કેળવણીકારો કહે છે કે એક મા, સો શિક્ષકો બરાબર છે. પરંતુ આશ્ચર્યજનક હકીકત તો એ છે કે બાળક જ્યારે માના ગર્ભમાં હોય છે ત્યારે પણ માના વિચારો અને વાતાવરણની અસર બાળકને ઘડે છે.
ભક્ત પ્રહલાદ તો અસુર પરિવારમાં જન્મ્યા હતા તો એ ભક્ત કઈ રીતે બન્યા ? એની બહુ સરસ કથા છે. દેવરાજ ઇન્દ્ર પોતાના દુશ્મન અસુર હિરણ્યકશિપુનાં પત્નીનું અપહરણ કરી ગયા. દેવર્ષિ નારદ, ઇન્દ્ર પાસેથી છોડાવી તેમને પોતાના આશ્રમે લઈ ગયા. આશ્રમના પવિત્ર ભક્તિમય વાતાવરણની શુભ અસર ગર્ભમાં રહેલા શિશુ ઉપર થઈ અને અસુર કુળમાં જન્મ થવા છતાં પ્રહલાદ પરમાત્માના પરમ ભક્તરૂપે પ્રસિદ્ધ થયા.
હમણાંની જ વાત કરીએ તો આપણા લાડીલા લોકશાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખેલું ‘‘શિવાજીનું હાલરડું’’ યાદ કરવા જેવું છે :
‘‘પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ, લક્ષ્મણની વાત,
માતાજીને મુખ જે દીથી, ઊડી એની ઊંઘ તે દીથી.’’
શિવાજી માના ગર્ભમાં હતા ત્યારે તેમનાં મા રામાયણની કથા વાંચતાં. ગર્ભાવસ્થા દરમિયાન જ રામ, લક્ષ્મણની વાતો સાંભળીને શિવાજી મહારાજ પરાક્રમી બનવાના સંસ્કાર પામ્યા હતા. માતાના અદભુત સંસ્કારનું શું પરિણામ આવ્યું એ તો ઇતિહાસમાં લખેલું છે.
સમગ્ર ગુજરાત જેમને માટે ગૌરવ લઈ શકે એવા પૂજ્ય રવિશંકરદાદાને તેમનાં માતા પાસેથી, બાળપણમાંથી જ બીજાને ઉપયોગી થવાની ભાવના મળી હતી. તેમણે પોતાનું આખું જીવન સમાજ માટે ઘસી નાખ્યું. ‘‘મૂઠી ઊંચેરા માનવી’’ એવું સામાન્ય જનતાએ જેમને પ્રેમભર્યું બિરુદ આપ્યું એવા આ અસામાન્ય માનવી પૂજ્ય શ્રી રવિશંકર મહારાજની ‘‘ઘસાઈને ઊજળા બનો’’ એવી સોનેરી શિખામણ જો માતાએ તેના બાળકને, બાળપણમાં શીખવી હશે તો મોટા થયા પછી એ બાળકનું જીવન ઉજ્જ્વળ બનશે જ. નાની નાની વાતો બાળકોનું જીવન ઘડે છે અને એ બધી વાતોની સારી કે માઠી અસર તેના ભાવિ જીવન પર પડે છે એ નિર્વિવાદ છે. આમ ‘‘મા’’ ફક્ત બાળકને જ સુધારતી નથી, પણ એ સમાજને પણ સુધારે છે.
શ્રી ઝવેરચંદ મેઘાણીએ ‘‘સોરઠી બહારવટિયા’’ નામના પુસ્તકમાં ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડેલા જોગીદાસ ખુમાણના જીવનનો એક ગજબ પ્રસંગ નોંધ્યો છે. ખૂન, લૂંટ જેને માટે સામાન્ય ગણાય એવા આ માનવીએ પરસ્ત્રી સામે ન જોવાની પ્રતિજ્ઞા લીધેલી. એક વાર ક્યાંક બહેનો ગરબા ગાતાં હતાં ત્યારે સરતચૂકથી ગરબા જોવા ઊભા રહ્યા. રાત્રે સૂતી વખતે ભૂલથી પ્રતિજ્ઞાનો ભંગ થયાનું યાદ આવ્યું. બંને હાથની હથેળીમાં મરચાંનો ભૂકો લઈ બંને આંખો પર હાથ દબાવી દીધા.
સવારે બંને આંખો એકદમ સૂજી ગયેલી જોઈ એક સાથીદારે પૂછ્યું : ‘‘જોગીદાસ ! આ શું થયું?’’ તેમણે શાંતિથી જવાબ આપ્યોઃ ‘‘આંખમાંથી વિકાર નિતારી નાખ્યો.’’ કોઈ મલિન ઇરાદાથી તેમણે પ્રતિજ્ઞા તોડી ન હતી. એક સામાન્ય ભૂલ જ હતી તો પણ પોતાની પ્રતિજ્ઞાના શબ્દોનું કેટલું ઊંચું મૂલ્ય કે નાનકડી ભૂલ થઈ છે તેમ લાગતાં સ્વેચ્છાએ આકરી સજા ભોગવી લીધી. આવા વિરલ શ્રી જોગીદાસ ખુમાણને લોકો પ્રેમથી ‘‘લખમણ જતિનો અવતાર’’ કહેતા એ યોગ્ય જ હતું. ગીતાજીમાં આવા વિરલ માણસો માટે જ યોગી શબ્દ છે. માતાપિતા પોતાના બાળકને આવા ઉચ્ચ સંસ્કાર આપે ત્યારે જ જીવન સાર્થક થયું ગણાય. નહિતર કીડી, મંકોડા જેવું જીવન તો બધાય જીવતા હોય છે.
જે ઘરમાં આનંદભર્યું સંસ્કારી વાતાવરણ હોય ત્યાં બાળકો પણ આપોઆપ સંસ્કારી બને છે અને જે ઘરમાં વડીલો જ મારામારી કે ગાળાગાળી કરતા હોય તે ઘરનાં બાળકો પણ એવું જ શીખીને અસંસ્કારી બને છે. સંસ્કાર બજારમાં વેચાતા મળતા નથી. મુખ્ય આધાર મા, પોતાના બાળકનું ઘડતર કઈ રીતે કરે છે તેના પર છે. બાળક ઘરના વાતાવરણમાંથી જ ઘણું બધું શીખે છે. મા જેટલી વધુ સંસ્કારી, બાળક તેટલું જ વધુ સંસ્કારી બનશે. મા પોતે કરકસર અને સાદાઈથી જીવતાં શીખે તો તેનું બાળક પણ એ શીખશે. એનું બાળક ભવિષ્યમાં સ્વમાનભેર જીવી શકશે, તેને લાંચ લેવાની જરૂર નહિ પડે. દરેક મા, જો ગીતાજીનો અભ્યાસ કરે અને તેને આચરણમાં મૂકે તો પોતાના વહાલસોયા બાળકને કર્મયોગી, પરમ જ્ઞાની અને પ્રભુભક્ત બનાવી શકે.
| Comments |
|


‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’