ૐ
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ઉપદેશ દરમિયાન અર્જુનને પોતે સર્વવ્યાપક છે, અને સઘળું તેમનામાં સમાયેલું છે એ સમજાવવા ‘વિભૂતિ યોગ’ નામના ગીતાજીના ૧૦મા અધ્યાયમાં પોતાની મુખ્ય મુખ્ય વિભૂતિઓ વિષે કહ્યું ‘‘સર્વના હૃદયમાં રહેલો, સર્વનો આત્મા હું છું. (શ્લોક નં. ૨૦) સૂર્ય, ચંદ્ર અને પવન હું છું. (શ્લોક નં.૨૧) સમુદ્ર હું છું. (શ્લોક નં. ૨૪) હિમાલય હું છું. (શ્લોક નં. ૨૫) પીપળાનું વૃક્ષ હું છું. (શ્લોક નં.૨૬) ગંગા નદી હું છું. (શ્લોક નં. ૩૧) હે અર્જુન! લાંબું જાણવાનું તારે શું કામ છે ? તું એ જાણી લે કે મારા એક અંશ માત્રથી હું આ સમસ્ત જગતને ધારણ કરીને રહેલો છું. (શ્લોક નં. ૪૨)’’
‘‘શિવ મહિમ્ન સ્તોત્ર’’માં એક બહુ સરસ શ્લોક દ્વારા ભગવાન શિવને કહ્યું છે :
‘‘સૂર્ય અને ચંદ્ર આપ છો. પવન અને અગ્નિ આપ છો. જળ આપ છો. આપ આકાશ અને પૃથ્વી છો. આત્મા આપ છો, પરંતુ આમ એક એક વિભૂતિ ગણાવવા જતાં મારી વાણી થાકી જાય એટલે ટૂંકમાં એમ કહી શકું કે જેમાં આપ ન હો એવું કોઈ તત્ત્વ મારી જાણમાં નથી.’’
પરમાત્માના પરમ ભક્ત શ્રી નરસિંહ મહેતાએ એક ભજનમાં પરમાત્માને કહ્યું :
‘‘પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા ! વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. ’’
જ્યારે વિજ્ઞાનની શોધખોળ કે ઊંડા અવલોકન દ્વારા સત્યને વધુ ને વધુ જાણવાની શરૂઆત થઈ ન હતી ત્યારે આ બધું લખાયેલું છે. ગીતાજી પાંચેક હજાર વર્ષ જૂનો ગ્રંથ છે. ‘‘શિવ મહિમ્ન સ્તોત્ર’’ ક્યારે લખાયું તે ખબર નથી, પણ વિજ્ઞાનની શોધ પહેલાં લખાયું હશે અને શ્રી નરસિંહ મહેતાને પણ પાંચ સો વર્ષ તો થઈ જ ગયાં જ્યારે વિજ્ઞાનની પ્રગતિ શરૂ થઈ ન હતી. તો આ બધી વાતો સાચી માનવી કે નહીં એ વિચારવું જોઈએ. સામાન્ય રીતે આપણા પૂર્વજોએ કહેલી વાતોને આપણે શ્રદ્ધાથી સ્વીકારી લઈએ પણ એ સત્ય છે કે કેમ ? એ વિજ્ઞાનને આધારે ચકાસવામાં કાંઈ ખોટું નથી. જો એ બધી વાતો સાચી સાબિત થાય તો સ્વાભાવિક રીતે આપણને આનંદ થાય.
સમગ્ર વિશ્વને ઉજાળતા સૂર્યના અદભુત તેજથી કોણ અજાણ હશે ? સૂર્યમાંથી જ જુદે જુદે સમયે જુદા જુદા નવ ગ્રહ છૂટા પડ્યા છે. સૂર્યથી જુદા જુદા અંતરે આ નવ ગ્રહ સૂર્ય ફરતા ફર્યા કરે છે. આપણી પૃથ્વી પણ આ રીતે સૂર્યમાંથી છૂટો પડેલો એક ગ્રહ જ છે એ તો વિજ્ઞાને સાબિત કરેલું છે એટલે સૂર્ય અને પૃથ્વી એક જ છે. માત્ર કદ અને તાપમાન જુદાં છે. આ જ રીતે ચંદ્ર, પૃથ્વીમાંથી છૂટો પડેલો ઉપગ્રહ છે. આમ સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક જ છે એ આપણા વિજ્ઞાને જ સાબિત કરેલું સત્ય છે એટલે તે વાત આપણે માનવી પડે.
સૂર્યમાં રહેલા હિલિયમ વાયુમાંથી હાઇડ્રોજન અને પૃથ્વીની આસપાસના વાતાવરણમાં રહેલા ઓઝોન વાયુમાંથી ઓક્સિજન વાયુના સંયોજનથી પાણી બને છે એ વૈજ્ઞાનિક સત્ય છે. આમ પાણીની ઉત્પત્તિ સૂર્યને આભારી છે. તેથી હિમ, ઝરણાં, નદી, સરોવર, સાગર, મહાસાગર એ બધાં સૂર્યને કારણે છે.
જુદા જુદા સ્થળે સૂર્યનાં કિરણો સીધાં કે ત્રાંસાં પડવાને કારણે જુદાં જુદાં તાપમાન હોય છે. તેથી હવાના દબાણમાં તફાવત સર્જાય છે. તેથી હવામાં ગતિ ઉત્પન્ન થાય છે. જેને આપણે પવન તરીકે અનુભવીએ છીએ. આમ પવનનું ઉદભવસ્થાન પણ સૂર્ય જ છે. સૂર્યની ગરમીને કારણે જ પાણીમાંથી વરાળ બને છે. ઊંચે ચડતાં એમાંથી વાદળાં બંધાય છે. પવન વાદળોને પૃથ્વીના જુદા જુદા ભાગમાં લઈ જાય છે. વરાળ ઠરતાં વરસાદ પડે છે. આ તમામ બાબતો વૈજ્ઞાનિક સત્યો છે.
પૃથ્વીમાંથી જ તમામ પ્રકારની વનસ્પતિ ઊગે છે અને વરસાદને લીધે મળતા પાણીથી જ વૃદ્ધિ પામે છે. પૃથ્વી અને વરસાદના પાણી વિના વનસ્પતિની ઉત્પત્તિ શક્ય જ નથી. જમીનમાંથી મળતા પોષણને કારણે છોડની વૃદ્ધિ થાય છે અને સૂર્યપ્રકાશને કારણે જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પાંદડાં લીલા રંગનાં બને છે. આમ ફળ, ફૂલ, શાકભાજી, અનાજ, કઠોળ એ તમામ વનસ્પતિની ઉત્પત્તિ સૂર્યને આભારી છે.
શાકાહારી માનવીઓ, પશુ, પંખીઓ વનસ્પતિના આધારે જીવે છે. ઘઉં, ચોખા, બાજરો, જુવાર, મકાઈ વગેરે અનાજનો કણેકણ, માનવીના જીવન માટે અત્યંત જરૂરી છે. ઘાસ અને પાંદડાં ખાઈને જીવતાં ગાય, ભેંસ, બકરી, ઘોડા, ગધેડાં, ઊંટ, હાથી, જીરાફ વગેરે તમામ પ્રાણી અને અનાજના કણ ઉપર જીવતાં પંખીઓ, વનસ્પતિ વિના જીવી ન શકે. જળચર પ્રાણીઓ પણ પાણી અને તેમાં ઉત્પન્ન થતી વનસ્પતિને આધારે જીવે છે. માંસાહારી મનુષ્યો, જંગલી પ્રાણીઓ અને માંસાહારી પંખીઓ તેમ જ જળચર જીવો પોતાનાથી નબળાં પશુ, પંખી, માછલી વગેરેનું ભક્ષણ કરી પોતાનું જીવન ટકાવે છે. આમ તમામ શાકાહારી કે માંસાહારી સજીવ જીવસૃષ્ટિ અંતે તો સૂર્યને કારણે જ અસ્તિત્વ ટકાવી શકે છે.
એવી જ રીતે નિર્જીવ સૃષ્ટિ માટે વિચારીએ તો પથ્થર, ઇંટ, સિમેન્ટ વગેરે પૃથ્વી વિના સંભવી ન શકે. તેના વિના આપણા ઘરનું અસ્તિત્વ શક્ય નથી. ઇમારતી લાકડું વનસ્પતિ જ છે. એટલે આપણા ઘરનાં બારી, બારણાં, ફર્નિચર વગેરે બધું જ વનસ્પતિમાંથી બને છે. કપાસ તો વનસ્પતિ છે જ તેથી કપાસમાંથી બનતાં વસ્ત્રો, ચાદર એ બધું જ તથા ઘેટાંના શરીર પરથી મળતા ઊનમાંથી બનતા ધાબળા પણ વનસ્પતિને આભારી છે કેમ કે ઘેટાં વનસ્પતિને આધારે જીવે છે. આમ આપણું ઘર તેનાં બારી, બારણાં, ફર્નિચર, ધાબળા, ચાદર પણ સૂર્યને આભારી છે.
એટલું જ નહીં પણ તમામ ધાતુઓ પૃથ્વીમાંથી મળે છે એટલે સાઇકલ, સ્કૂટર, કાર, ટ્રેન, એરોપ્લેઇન વગેરે જીવન ઉપયોગી તમામ વસ્તુઓની બનાવટ પૃથ્વી વિના શક્ય નથી. આપણા સમગ્ર જીવનનો આધાર હવા, પાણી, ખોરાક અને જીવન ઉપયોગી નાનીમોટી તમામ વસ્તુઓના મૂળભૂત તત્ત્વ તરીકે સૂર્ય છે એ વાત આધુનિક વિજ્ઞાને સ્વીકારી છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાં શ્રીકૃષ્ણ ભગવાને સ્વયં કહ્યું છે કે, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, નદી, સાગર, હિમાલય એ તમામ મારાં સ્વરૂપો છે. જે વાત આપણે ફક્ત શ્રદ્ધાથી સાચી માનતા હતા એ ૫૦૦૦ વર્ષ પહેલાં કહેવાયેલી વાતને આપણા અત્યંત આધુનિક વિજ્ઞાને ઊંડા સંશોધન પછી સાચી ઠેરવી છે. આપણને આ બાબત અત્યંત આનંદ અને ગૌરવ થવાં જ જોઈએ.
એક જ તત્ત્વ અનેક વસ્તુઓમાં કઈ રીતે વ્યાપેલું હોઈ શકે ? એ બાબત ઘણાને ન સમજાય તેવી છે. ખરેખર એ વાત અત્યંત સરળ છે. (૭ અવિનાશી આત્મા, પેજ - ૧૯,૨૦,૨૧) જે કોઈ નાસ્તિક હોય, ઈશ્વરના અસ્તિત્વ વિષે જ શંકાશીલ હોય એ પણ વિજ્ઞાનના સંશોધન બાબત શંકા રાખી શકે નહીં. ગીતાજીમાં વર્ણવેલા વિભૂતિ યોગની વાત આપણને ન સમજાય એ આપણા જ્ઞાનની મર્યાદા છે તો પણ એટલું તો કોઈ પણ માણસે સ્વીકારવું જ પડે કે અખિલ બ્રહ્માંડમાં એવું કોઈક પરમ તત્ત્વ છે જે સૂર્યની જેમ સજીવ, નિર્જીવ તમામ સૃષ્ટિના કારણ રૂપ છે. એ પરમ તત્ત્વ એટલે જ ‘‘પરમાત્મા’’.
| Comments |
|



‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’