ૐ
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં અનેક અભય વચન આપેલાં છે. એ દરેક વચન કોઈ રાજકીય પક્ષ તરફથી અપાતાં પોકળ વચન જેવાં નથી, પરંતુ વિશ્વનિયંતા તરફથી અપાયેલાં નક્કર વચન છે.
‘આત્મસંયમયોગ’ નામના છઠ્ઠા અધ્યાયમાં ૩૭મા શ્લોકમાં અર્જુને બહુ સરસ સવાલ પૂછ્યો કે, ‘‘હે ભગવાન ! જે માનવી યોગમાં શ્રદ્ધાવાળો હોય પણ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થયું હોય તો એ યોગની સિદ્ધિને પ્રાપ્ત ન કરતાં કઈ ગતિને પામે છે ? યોગભ્રષ્ટ માનવી સિદ્ધિ તો ન મેળવે પણ બ્રહ્મમાર્ગથી પણ વિમુખ થવાથી, વાદળાં જેમ વેરવિખેર થઈને નાશ તો નથી પામતોને ?’’
પરમાત્માએ ગજબ અભય વચન આપતાં કહ્યું :
‘‘ન હિ કલ્યાણકૃત્ કશ્ચિદ્ દુર્ગતિમ્ તાત ! ગચ્છતિ .... ’’ (ગીતા ૬ - ૪૦)
‘‘હે પાર્થ ! શુભ કર્મ કરનાર કોઈ મનુષ્યનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થતો નથી. હે તાત ! શુભ કર્મ કરનારો કોઈ ક્યારેય દુર્ગતિ પામતો નથી.’’ આટલું બધું શ્રેષ્ઠ અભય વચન દુનિયાના કોઈ અન્ય ધર્મગ્રંથમાં નહીં હોય. ‘‘યોગભ્રષ્ટ થયેલો મનુષ્ય, સત્કર્મ કરનારાઓના લોકને પામી, ઘણાં વર્ષો ત્યાં રહી પછી પવિત્ર જનોના કુટુંબમાં, શ્રીમંતોને ઘેર કે બુદ્ધિમાન યોગીઓના કુળમાં જન્મે છે. જગતમાં આવો જન્મ અતિ દુર્લભ છે.
એટલે કે દરેકને આવો જન્મ મળતો નથી. ત્યાં જન્મ થયા પછી, તેણે પૂર્વજન્મમાં કરેલી સાધનાના સંસ્કાર ફરીથી તેનામાં જાગૃત થાય છે. જ્યાંથી સાધના અધૂરી રહી હતી ત્યાંથી આગળ વધી તે પૂર્ણ સિદ્ધિ માટે ફરીથી પ્રયત્ન શરૂ કરે છે. પૂર્વજન્મના અભ્યાસને લીધે તેનું મન યોગ પ્રત્યે ખેંચાય છે અને અનેક જન્મની સાધનાને અંતે તે પરમ ગતિને પામે છે. આવો યોગી તપસ્વી, જ્ઞાની કે અગ્નિહોત્રાદિ કર્મ કરનારાઓથી ચડિયાતો મનાયો છે. માટે હે અર્જુન ! તું યોગી થા.’’
ગીતાજીના આઠમા અધ્યાય ‘અક્ષરબ્રહ્મયોગ’માં પાચમા શ્લોકમાં આવું એક અભય વચન આપ્યું છેઃ ‘‘જે અંતકાળે મારું જ સ્મરણ કરતાં કરતાં દેહ છોડી જાય છે, તે મને પામે છે, તેમાં સંશય નથી.’’
વળી છઠ્ઠા શ્લોકમાં કહ્યું છેઃ ‘‘હે કૌંતેય ! મનુષ્ય અંત કાળે જે જે પદાર્થનું સ્મરણ કરતાં શરીર છોડે છે, તે તેને જ પામે છે કેમકે તે, તે જ ભાવનું ચિંતન કરવાવાળો હોય છે.’’ આપણા દુન્યવી નિયમો પ્રમાણે જેને ફાંસીની સજા અપાય છે તેને મૃત્યુ પહેલાં અંતિમ ઇચ્છા પુછાય છે અને શક્ય હોય ત્યાં સુધી તે પૂરી કરાય છે. આવો જ કોઈ કુદરતી નિયમ છે. મુત્યુ સમયે દરેક માનવીની જે કાંઈ અંતિમ ઇચ્છા હોય તે બીજા જન્મમાં પૂરી કરવામાં આવે છે. એટલે કે મૃત્યુ સમયે ભોગવિલાસની કે ધનની કે પરિવારના મોહની વાસના સાથે જે દેહ છોડે છે, તેને મૃત્યુ પછી તેની ઇચ્છાને અનુરૂપ નવો જન્મ મળે છે.
ફરીથી પૂર્વજન્મ અને નવા જન્મનાં કર્મ અનુસાર, શુભ કે અશુભ ફળ ભોગવવાં પડે છે. આમ જન્મમરણનું ચક્કર ચાલ્યા કરે છે. જો તેમાંથી છૂટવું હોય તો અંતકાળે, તમામ વાસનાઓ તજીને પ્રભુનું સ્મરણ કરતાં કરતાં મૃત્યુ પામવું એ શ્રેષ્ઠ છે. આ રીતે મૃત્યુ પામનારને પ્રભુ મળે છે એમ તો ખુદ ભગવાને પોતે જ કહ્યું છે. જેને મુક્તિ ન જોઈતી હોય, સંસારનાં સુખદુઃખમાં મજા આવતી હોય તેમને પરમાત્મા પરાણે મુક્તિ આપતા નથી. મૃત્યુ સમયે, બીજું બધું છોડીને પરમાત્માને યાદ કરે તેને જ મુક્તિ મળે છે.
આવો દુર્લભ જન્મ મળ્યા પછી જો માનવી, પોતાને મળેલાં ધન અને સત્તાના સદુપયોગ દ્વારા સમાજ કલ્યાણની શુભ ભાવનાથી જીવે તો જીવન સાર્થક ગણાય. પરંતુ અભિમાન કરીને, માત્ર સ્વકલ્યાણની ભાવનાથી જીવે તો નિષ્કામ ભાવનાને અભાવે જન્મમરણનું ચક્કર ચાલતું જ રહે.
નવમા અધ્યાયના શ્લોક નં.૨૨માં પણ એક અનેરું વચન પરમાત્માએ આપેલું છે :
‘‘જેઓ અનન્ય ભાવે મારું જ ચિંતન કરે છે અને નિષ્કામ ભાવથી મને ઉપાસે છે, તેવા મારામાં સ્થિત જનોના યોગ તથા ક્ષેમનો ભાર હું વહન કરું છું. એટલે કે તેમના જીવનનિર્વાહ અને કુશળતાની હું કાળજી રાખું છું.’’ પરમ ભક્ત શ્રી નરસિંહ મહેતા આર્થિક રીતે સધ્ધર ન હતા. તેમ છતાં તેમના જીવન દરમિયાન મુશ્કેલ પ્રસંગો પણ બહુ સરળ રીતે ઉકલી ગયાની વાતો આપણે જાણીએ છીએ. પરમ ભક્ત મીરાંબાઈને તેમના પતિએ જ ઝેર મોકલ્યું પણ એ અમૃત બની ગયાની વાત આપણે જાણીએ છીએ. આ બધા પ્રસંગો આપણને માન્યામાં ન આવે, પરંતુ પ્રભુમય બની જનાર માનવી માટે એ શક્ય છે. એ પરમ શ્રદ્ધાનો વિષય છે, જે કદાચ આપણને ન સમજાય.
આપણા ઘરનો જ દાખલો વિચારીએ તો આ અભયવચનની વાત સમજાઈ જશે. નાનકડું નિર્દોષ બાળક પોતાના ભોજનની, પોતાના રક્ષણની કોઈ ચિંતા કરતું નથી. પોતાના જીવનની તમામ જવાબદારી માને સોંપીને એ આનંદથી રમતું રહે છે. બાળક થોડુંક રડે, એટલે તેને ભૂખ લાગી હશે તેમ વિચારી મા પોતાના વહાલા બાળકને સ્તનપાન કરાવે અથવા બાળકની રુચિ અનુસાર જમાડે, જો બાળક રમતાં રમતાં પડી ગયું હોય તો તેના રક્ષણનો ઉપાય કરે. તેવી જ રીતે પરમાત્મા પોતાના ભક્તના જીવનનિર્વાહની તથા રક્ષણની કાળજી રાખે છે.
પરમાત્મા કેટલા બધા દયાળુ છે એ તો નવમા અધ્યાયના ૩૦મા શ્લોકમાં આપેલું અભય વચન વાંચીએ ત્યારે જ સમજાય.
ભક્ત થવું એટલે પરમાત્માની ખુશામત કરતા હોઈએ એ રીતે ગુણગાન ગાતા રહેવું એવો નથી. ભજવાનો અર્થ, પ્રભુને ખુશ કરવા, ઝાંઝ, પખાજ કે મંજીરા લઈને આપણા પાડોશી હેરાન પરેશાન થઈ જાય ત્યાં સુધી ભજન કીર્તન કર્યાં કરવાં એવો નથી. સાધુ એટલે પોતાની સામાજિક જવાબદારી તજીને, સંન્યાસી થઈ જવું એવો નથી. ભક્તિ એટલે પ્રભુમય થઈ જવું. અનન્ય પ્રેમથી પ્રભુને રીઝવવાની કોશિશ કરવી. પ્રભુ સૌમાં વ્યાપેલા છે એમ સમજીને સૌ સાથે સારું વર્તન કરવું, સૌને ઉપયોગી થવા શક્ય એટલી કોશિશ કરવી. કોઈનું ઇરાદાપૂર્વક અહિત ન કરવું.
અઢારમા અધ્યાયમાં ૬૬મા શ્લોકમાં એક અદભુત વચન શ્રીકૃષ્ણ ભગવાને આપ્યું છે. અર્જુનને તેમણે કહ્યું: ‘‘સર્વ ધર્મો છોડીને તું એકમાત્ર મારે શરણે આવતો રહે. હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ન કર.’’ પરમાત્માની આટલી બધી ખાતરી છતાં આપણે તેમને શરણે જતા નથી કેમ કે આપણે આપણા જીવનમાં અટવાયેલા રહીએ છીએ અને અટવાયેલા જ રહેવા માગીએ છીએ. જેમને મુક્તિ ન ગમતી હોય તેમને પરાણે મુક્તિ ન આપી શકાય.
મુક્તિ ગમતી હોય તો મુક્તિની ઝંખનાવાળા મહાનુભાવો જેવી પ્રાર્થના આપણે પણ કરવા જેવી છે. અમદાવાદમાં ગીતામંદિરની સ્થાપના કરનાર શ્રી વિદ્યાનંદજી મહારાજે પરમાત્માને કહ્યું :
‘‘ઇતના તો કરના સ્વામી ! જબ પ્રાણ તનસે નીકલે,
ગોવિંદ નામ લેકર, ફિર પ્રાણ તનસે નીકલે.’’
ભક્તકવિ શ્રી દયારામે પણ ગજબ પ્રાર્થના કરી :
‘‘મુખ, મન, લોચનમાં આવી વસજો શામળિયા ! વહાલા !
દોષ ન જોશો દર્શન દેજો હો નંદલાલા !’’
| Comments |
|
|
||||||||
|
||||||||
|
||||||||
|
||||||||
|
||||||||
|
||||||||
|
||||||||



‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’