ૐ
શ્રીકૃષ્ણ ભગવાન અથવા અન્ય કોઈ પણ ઇષ્ટદેવનું દરરોજ વિધિવત્ પૂજન કરવું જોઈએ કે કેમ ? પૂજા કરવાનો હેતુ શો ? આપણી પૂજા પ્રભુ સ્વીકારે છે કે કેમ ? એ વિચારવું જરૂરી છે. સૃષ્ટિના સંચાલક પરમેશ્વરે આ દુનિયાનું સર્જન કર્યું છે. એક વિદ્વાન ભક્તકવિએ, આપણા જન્મ પહેલાં અને પછી ભગવાને આપણી કેટલી બધી કાળજી લીધી છે તે બાબત વિચારવા આપણને કહ્યું છેઃ
‘‘જતન કર્યું જઠરામાં જેણે, તારો દેહ ઘડ્યો છે એણે,
એણે કામ કર્યું છે અતિ ઉપકારનું રે,
પ્રસવ થયા પહેલાં પય કીધું, માતાના સ્તનમાં રચી દીધું,
એણે કામ જ સીધ્યું તારા આહારનું રે,
કાયા છે ત્યાં સુધી કર સ્મરણ કિરતારનું રે.’’
અનેક નાસ્તિક લોકો ઈશ્વરના અસ્તિત્વને જ માનતા નથી, પણ કોઈક અકળ તત્ત્વે માતાના જઠરમાં આપણું રક્ષણ કર્યું છે, જન્મ પછી બીજો કોઈ ખોરાક લઈ શકાય તેમ ન હોય ત્યારે માતાનાં સ્તનમાં અમૃત સમાન દૂધની રચના કરી, આ હકીકતનો કોઈથી ઇન્કાર થઈ શકે નહિ. કોઈક અકળ તત્ત્વે આપણા શરીરની રચના કરી, જે કેટલી બધી અદભુત છે ! આંખ, નાક, કાન, જીભ, હાથ, પગ દરેકની રચના જ અદભુત છે એમ નહીં, પણ ઉંમરના વધારા સાથે તેનો સપ્રમાણ વિકાસ પણ આશ્ચર્યકારક છે. કોઈક અકળ તત્ત્વે આપણા જીવન માટે અત્યંત જરૂરી એવાં હવા, પાણી, વનસ્પતિની વિપુલ પ્રમાણમાં વ્યવસ્થા કરી છે એ વાતનો કોઈથી ઇન્કાર થઈ શકે તેમ નથી.
બીજી અનેક આશ્ચર્યકારક વાતોનું રહસ્ય આપણે જાણતા નથી.
- ગુલાબ, મોગરો, જૂઈ કેવડો વગેરે ફૂલોની સુકોમળ પાંખડીઓમાં અલગ અલગ અપ્રતિમ સુગંધ કોણે ભરી ? જમીનની માટીમાંથી તો એવી સુગંધ નથી આવતી.
- કેરી, નારંગી, નારિયેળ, વગેરે ફળોમાં અદભુત વિવિધ સ્વાદભર્યો સુમધુર રસ કોણે બનાવ્યો ?
- મોરનાં પીંછાંમાં બેનમૂન મનોહર રંગો કોણે પૂર્યા ?
- કોયલના સૂરમાં આટલી બધી મીઠાશ કોણે મૂકી?
- નાનકડા ટેટામાંથી વિશાળ વડલો કેવી રીતે બની શકે ? એ કરામત કોણે કરી?
- કીડી અને હાથીના શરીરની રચના કેવાં સાધનોથી, કોણે કરી હશે ?
- નાનકડું અબુધ બાળક, પોતાની માતાને કઈ રીતે ઓળખી શકે છે ? એ જ્ઞાન તેને કોણે આપ્યુ ?
આવા અનેક પ્રશ્નોના ઉત્તર હજી સુધી આપણને જડ્યા નથી. કોઈ વસ્તુનું શૂન્યમાંથી સર્જન આપણે કરી શકતા નથી. જીવન ઉપયોગી દરેકે દરેક વસ્તુ કોઈકે તો બનાવી જ હોય છે. એવી જ રીતે અદ્રશ્ય અને અજાણ કોઈક વિરલ પરમ તત્ત્વે આ સમગ્ર જગતનું અદભુત અને અત્યંત વિસ્મયકારક સર્જન કર્યું છે એ વાત આપણે વિનમ્ર ભાવે સ્વીકારવી જ રહી. સકલ વિશ્વના નિયંતાએ જો હવા અને પાણી ન બનાવ્યાં હોત, સૂર્ય અને અગ્નિ બનાવ્યા ન હોત, વૃક્ષો ન બનાવ્યાં હોત તો આપણું અસ્તિત્વ જ ન હોત.
ગીતાજીના સાતમા અધ્યાયમાં, શ્લોક નં. ચાર, પાંચ અને છમાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કેઃ
‘‘પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ એ મારી અપરા (જડ) પ્રકૃતિ છે અને બીજી મારી પરા (જીવરૂપ) પ્રકૃતિ છે. આ બે પ્રકૃતિથી જ સર્વ જીવો ઊપજેલા છે. આવા જગતનો ઉત્પન્નકર્તા તથા સંહારકર્તા હું છું.’’ ખુદ પરમાત્માએ પોતે આ કહ્યું છે, તેથી સચરાચર જગતના સર્જનહાર કોણ એ વિચારવાની જરૂર નથી. એ સર્જનહારનો આભાર માનવા આપણે પૂજા કરીએ છીએ.
થોડાં વર્ષો પહેલાં રાજકોટમાં ગાયત્રી પરિવાર દ્વારા શતકુંડી યજ્ઞનું આયોજન થયેલું. તે પ્રસંગે હરિદ્વારથી પધારેલા એક સજ્જને બહુ સરસ વાત કરી કે પરમાત્માનું પૂજન કંઈ માગવા માટે કરવું એ યોગ્ય નથી. પરમાત્માએ આપણને ઘણું આપ્યું છે, આપણી યોગ્યતા કરતાં સવિશેષ આપ્યું છે એટલે પરમાત્માનો આભાર માનવા માટે જ પૂજન કરવું જોઈએ.
સામાન્ય અર્થમાં પૂજા કરવી એટલે મંદિર સાફસૂફ કરવું, આપણા ઇષ્ટદેવની મૂર્તિને સ્નાન કરાવવું, ચંદન, અબીલ, ગુલાલ, કંકુ, અક્ષત વગેરે ચઢાવવાં. પ્રભુચરણે સુગંધી પુષ્પો ધરવાં, ભગવાનને નૈવેદ્ય ધરવું, ધૂપ, દીપ કરવાં, આરતી ઉતારવી અને શ્લોક બોલવા. પરમ તત્ત્વને રીઝવવા આપણે આ બધી ક્રિયાઓ કરીએ છીએ.
ગંગામૈયા જેમના મસ્તક પર અભિષેક કરે છે અને મહાસાગરો જેમનાં ચરણો પખાળે છે, એમને બેત્રણ આચમની જેટલા જળથી સ્નાન કરાવવાની વાત કેટલી બધી હાસ્યાસ્પદ છે ! ચંદનનાં વૃક્ષો જેમણે પોતે બનાવ્યાં છે એમને ચંદનનું જરાક ટપકું કરીએ તો એ રીઝશે ખરા? ગુલાબ, મોગરો, બટમોગરો, ડોલર, જૂઈ, ચંપો, કેવડો, જેવાં અદભુત સુગંધી ફૂલોના સર્જનહારને બેપાંચ પુષ્પો ધરી આપણે સંતોષ માનીએ, પણ એ કાંઈક વિચિત્ર નથી લાગતું ?
ગીતાજીમાં શ્રીકૃષ્ણ ભગવાને જ કહ્યું છેઃ ‘‘સૂર્ય, ચંદ્ર તથા અગ્નિમાં રહેલું તેજ હું છું.’’ એ ઝળહળતા દિવ્ય તેજપુંજ પાસે નાનકડી જ્યોત પ્રગટાવીએ અને મંદિરમાં અજવાળું કર્યાનો આનંદ માણીએ. કેરી, ચીકુ, કેળાં વગેરે મધુર સ્વાદિષ્ટ ફળોના સર્જનહારને નાનકડો થાળ ધરી જમાડીએ, પરમ જ્ઞાનીને રીઝવવા, શુદ્ધ સંસ્કૃત ન આવડતું હોય તો પણ ભાંગીતૂટી ભાષામાં શ્લોક બોલીએ અને સૃષ્ટિના સર્જનહારની પૂજા કર્યાનો સંતોષ માણીએ એ કાંઈક વિચિત્ર લાગે એવું તો છે જ. ક્યાં અખિલ જગતના સ્વામી અને ક્યાં આપણે ? આપણું શું છે ? જેનાથી પ્રભુની પૂજા કરીએ. વિનમ્ર ભાવે એટલું કહી શકીએઃ
‘‘બીલીપત્ર કે ફૂલ, પાણી, ન મારાં, શી રીતે પખાળું પ્રભુ ! ચરણ તારાં ?,
નથી કાંઈ મારું, નથી દેહ મારો, સદાશિવ ! હું બાળ નાનો તમારો.’’
પૂજા એ પરમાત્મા પ્રત્યેના અનન્ય પ્રેમને વ્યક્ત કરવાની ક્રિયા છે. દરરોજ સવારે વહેલા ઊઠીને પૂજા કરવી જોઈએ. પૂજા આપણા આનંદ માટે કરવી જોઈએ, અન્ય લોકો આપણને ધાર્મિક માને એવા હેતુથી કરવી નહિ. મંદિર સાફ કરતાં કરતાં આપણું મન વધુ ને વધુ સ્વચ્છ કરવાનું વિચારવું જોઈએ. આપણા હૃદયમાં પ્રભુ બિરાજે એમ ઈચ્છતા હોઈએ તો હૃદય એકદમ નિર્મળ કરવું જ જોઈએ. પ્રભુને ફક્ત ફૂલો જ નહિ પણ આપણું જીવન સમર્પિત કરીએ, આપણા મનનું અંધારું દૂર કરવા માટે દીવો કરીએ. માત્ર પ્રભુની મૂર્તિ પાસે નૈવેદ્ય ધરવા કરતાં, કોઈક ભૂખ્યાંને થોડું અન્ન આપીએ અને અઘરા શ્લોક ન આવડે તો સરળ શબ્દોમાં, સાચા હૃદયથી પ્રભુનો પ્રેમ પામવા માટે પ્રાર્થના કરીએ.
ગીતાજીના અધ્યાય નવમાં, શ્લોક નં. ૨૬માં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છેઃ
‘‘પત્રં પુષ્પં ફલં તોયં, યો મે ભક્ત્યા પ્રયચ્છતિ,
તદહં ભક્ત્યુપહૃતમશ્નામિ પ્રયતાત્મનઃ’’. (ગીતા ૯ - ૨૬ )
‘‘શુદ્ધ ચિત્તવાળા મનષ્યનું ભક્તિપૂર્વક આપેલું પત્ર, પુષ્પ, ફળ કે જળ હું સ્વીકારું છું.’’ આમ જો આપણે પ્રેમપૂર્વક પૂજા કરીએ તો પરમાત્મા આપણી પૂજા પ્રેમથી સ્વીકારે જ છે. એમાં સંશય નથી.
| Comments |
|


‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’