ૐ
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગ વિષે અર્જુનને સમજાવ્યું ત્યારે અર્જુને કહ્યું :
‘‘ચંચલં હિ મનઃ કૃષ્ણ ! પ્રમાથિ બલવદ્ દ્રઢમ્,
તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરિવ સુદુષ્કરમ્.’’ (ગીતા 6 - 34)
‘‘અસંશયં મહાબાહો ! મનો દુર્નિગ્રહં ચલમ્,
અભ્યાસેન તુ કૌન્તેય ! વૈરાગ્યેણ ચ ગૃહ્યતે .’’ (ગીતા 6 - 35)
‘‘હે શ્રીકૃષ્ણ ! મન ચંચળ, વિહ્વળ કરનાર, બળવાન અને દ્રઢ છે. તેને વશ કરવાનું હું અતિ દુષ્કર માનું છું.’’ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ‘‘હે મહાબાહો ! ખરેખર મન ચંચળ અને વશ કરવું અતિ કઠિન છે તો પણ હે કૌંતેય ! અભ્યાસ અને વૈરાગ્ય વડે તે અવશ્ય વશ કરાય છે.’’
મનને વશ કરવાની શી જરૂર ? જો એ જરૂરી હોય તો મનને વશ કરવાનો અભ્યાસ એટલે શું? ગીતાજીમાં તો એ અભ્યાસને બહુ મહત્વ આપ્યું છે, પરંતુ આપણો અનુભવ શું કહે છે ?
ઇચ્છાઓ મનના સતત સંકલ્પ વિકલ્પનું પરિણામ છે. ઇચ્છાઓમાંથી જ અશાંતિ જન્મે છે. જો મનને વશ કરીએ તો ઇચ્છાઓનું પ્રમાણ ધીમે ધીમે ઘટે, બુદ્ધિ સ્થિર થાય અને પરમ શાંતિનો અનુભવ કરી શકાય.
આખા દિવસની સતત પ્રવૃત્તિને લીધે શરીર થાકે છે એ આપણો અનુભવ છે. એ જ રીતે સતત વિચારોને લીધે મગજ પણ થાકે છે. કુદરતે દિવસ અને રાત્રી બનાવ્યાં છે. દિવસ પ્રવૃત્તિ માટે છે, રાત્રી આરામ માટે છે. રાત્રે સૂઈ જવાથી શરીર અને મગજ બંનેને આરામ મળે, પણ જેનું મન શાંત ન હોય તેને રાત્રે નીંદર આવતી નથી, નીંદર ન આવે તો શી તકલીફ પડે એ જાતે અનુભવવા જેવું છે. વળી નીંદર આવે તો પણ સ્વપ્નાઓ આવે, જેથી પૂરો આરામ ન મળે. સ્વપ્નાઓ સતત વિચારોનું પરિણામ છે. સ્વપ્ન વિનાની નીંદરથી કેટલો બધો આરામ મળે એ તો દરેક વ્યક્તિએ પોતે જ અનુભવવાનું છે. આમ મન શાંત થાય તો શરીર અને મગજને ગજબ શાંતિ મળે અને બીજે દિવસ સ્ફૂર્તિ અને તાજગી અનુભવી શકાય.
જુદાં જુદાં કારણે થતું આર્થિક નુકસાન ઘણા લોકોનું બ્લડ પ્રેસર વધારી મૂકે છે, ક્યારેક મોટું નુકસાન હૃદયરોગ તરફ દોરી જાય છે, હાર્ટ ફેઇલ થતાં મૃત્યુ પણ થાય છે. ક્યારેક દહેજની રકમ ન આપી શકે તો દીકરીનાં લગ્નનું શું થશે એ ચિંતા માબાપને સતત સતાવે છે. જુદી જુદી અનેક ચિંતા ગંભીર બીમારી નોતરે છે. મુશ્કેલીઓને કારણે ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ ચિંતા એ ઉકેલ નથી. કહેવાય છે કે ‘‘ચિતા મૃતદેહને બાળે છે, પણ ચિંતા જીવંત માનવીને બાળે છે.’’ ચિંતાથી ક્યારેય પ્રશ્નો ઉકલતા નથી. શાંત મન રાખીને ઉકેલ શોધવો પડે. આમ મનની શાંતિ બહુ જરૂરી છે.
અખબારો તથા અન્ય સામાયિકોમાં પ્રગટ થતી અશ્લીલ તસવીરો તેમ જ અશ્લીલ વાર્તાઓ વગેરે મન પર બહુ જ ખરાબ અસર કરે છે. ફિલ્મો, ટીવી વગેરેમાં રજૂ થતાં અનેક દ્રશ્યો તથા દ્વિઅર્થી સંવાદો કામવાસના જન્માવે તેવાં હોય છે. આ બધું ધીમું ઝેર છે, તેની તાત્કાલિક અસર દેખાતી નથી. આવા ગંધાતા વાતાવરણમાં જીવવાથી ધીમે ધીમે માનવીનું મન ગંધાય છે, સમાજમાં દુર્ગંધ ફેલાય છે, પણ વ્યક્તિ સ્વાતંત્ર્યને નામે આવું બધું ફેલાતું રહે છે. આપણે દુર્ગંધથી એવા ટેવાઈ ગયા છીએ કે આપણને દુર્ગંધ લાગતી જ નથી.
કોઈ મહાત્માનું માર્ગદર્શન ખૂબ ઉપયોગી થાય. એક સજ્જને એક મહાત્માને વાત કરી કે, ‘‘ધ્યાનથી મનની શાંતિ મળે એમ આપ કહો છો, પરંતુ મારા અનુભવ પ્રમાણે ધ્યાનમાં બેસતાં અત્યંત ખરાબ વિચારો આવે છે. સામાન્ય સંજોગોમાં તેવું બનતું નથી. મારા મનના આવા વિચારોને કારણે હું અત્યંત ત્રાસી જાઉં છું. મને ધ્યાનમાંથી ઊઠી જવાનું વધુ યોગ્ય લાગે છે. તો મારે શું કરવું ?’’
મહાત્માએ બહુ શાંતિથી જવાબ આપ્યો: ‘‘તમારું મન ગંદું છે, તેમાંથી બહુ ખરાબ વિચારો બહાર આવે છે, તેની દુર્ગંધથી તમે અકળાઈ જાઓ છો એમ તમારો પોતાનો અનુભવ કહે છે. એટલે તમારા મનને ધોવાની બહુ જરૂર છે એ વાત તમે સ્વીકારો છો. ધ્યાન મનને ધોવાની, સ્વચ્છ અને નિર્મળ કરવાની પ્રક્રિયા જ છે, એટલે ધ્યાનમાંથી ઊઠી જવાય નહિ. ઊલટું વધુ ને વધુ ધ્યાન કરવાની જરૂર છે.’’
તમે કોઈ ગંદું કપડું ધોવા બેસો ત્યારે સાબુ લગાડી પાણી રેડતાં પહેલાં મેલનો કદડો બહાર નીકળશે. કપડું વધુ પડતું ગંદું હશે તો એ કદડામાંથી વાસ આવશે. એ વાસથી અકળાઈને કપડું ધોવાનું છોડી દો તો કપડું ક્યારેય ચોખ્ખું નહિ થાય. તેને બદલે ફરીથી સાબુ લગાડી ધૂઓ. ફરીથી મેલ નીકળશે. બસ, જ્યાં સુધી મેલ નીકળ્યા કરે ત્યાં સુધી સાબુ લગાડતા રહો અને કપડાંને ધોયા કરો. એક સમય એવો આવશે કે બધો મેલ નીકળી જવાથી કપડું તદ્દન સ્વચ્છ થઈ જશે. પછી દુર્ગંધ નહિ આવે. એક વાત ખાસ યાદ રાખવાની છે કે એક વાર કપડું ઊજળું કરી નાખીએ એટલે ફરીથી મેલું નહિ થાય એવું નથી. ઊજળું કર્યા પછી પણ વાતતાવરણની અસરથી એ ફરીથી મલિન થઈ જશે એટલા માટે વારંવાર ધોતા રહેવું બહુ જરૂરી છે.
આપણને બાહ્ય ચોખ્ખાઈ ગમતી હોય તો અંદરની ચોખ્ખાઈ પણ રાખવી જોઈએ. આપણું મન ગંદું હોય એ કેમ ચાલે ? એને નિર્મળ કરવું જ જોઈએ. કોઈનું અહિત કરવાની ઇચ્છા જ ન થાય, કોઈને છેતરવાનું આપણને ન ગમે, કોઈ પ્રત્યે દ્વેષ ન રહે, એવું નિર્મળ મન હોય તો કેટલો બધો આનંદ થાય, પરમ શાંતિ મળે, એ તો સ્વાનુભવથી જ સમજાય. ખુદ શ્રીકૃષ્ણ ભગવાને પોતે જ કહ્યું છે કે ધ્યાનથી પરમ શાંતિ મળે છે. પોતાની જાતને ભૂલીને પ્રભુમય થવાની કોશિશ એ જ ધ્યાન.
અલબત્ત, બહુ ટૂંકા ગાળામાં એવો કોઈ ચમત્કાર નહિ થાય, પણ જેમ ધ્યાનની ટેવ પડશે, ધ્યાનનો સમય ધીમે ધીમે વધતો જશે, તેમ એક બે વર્ષ (ક્યારેક તેથી વધુ સમય બાદ) પછી ધ્યાનમાં બેસતાં જ મનની શાંતિ અનુભવાશે, ખરાબ વિચારો પરેશાન નહિ કરે, વિચારવિહીન દશા એ અદભુત અનુભવ છે, મનની શાંતિ વધતાં આનંદ વધશે. એ આનંદ જ ધીમે ધીમે પરમ આનંદ તરફ લઈ જશે. ધ્યાન વખતે તમારા ઇષ્ટદેવની છબી તમારી નજર સામે રાખી, તમને ગમતા ઇષ્ટ મંત્રનું કે ‘‘ૐ’’નું રટણ ધીમે ધીમે કરો તો તે મન શાંત કરવામાં ઉપયોગી થશે. પરમાત્માની અનન્ય કૃપાથી જ મન શાંત થતાં પ્રભુની કૃપા અનુભવી શકાશે. ધ્યાનની મદદથી સંતો, પ્રભુનો સાક્ષાત્કાર કરી શકે છે એ હકીકત છે. આપણી મર્યાદાઓને કારણે પ્રભુનાં દર્શન ન કરી શકીએ તો પણ પ્રભુને આપણે જરૂર વિનવી શકીએ કેઃ
‘‘ઉસ વક્ત જલ્દી આના, નહીં શ્યામ ! ભૂલ જાના,
રાધે કો સાથ લાના, જબ પ્રાણ તનસે નીકલે.’’
| Comments |
|
|
||||||||
|
||||||||
|
||||||||
|
||||||||



‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’