ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

૧૩. જ્ઞાનયોગ

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં જ્ઞાનને ખૂબ મહ્ત્વ આપ્યું છે. અધ્યાય ચોથો ‘કર્મબ્રહ્માર્પણયોગ’ વિષે અર્જુનને સમજાવતાં શ્લોક નં. ૩૭માં કહ્યું: ‘‘હે અર્જુન ! જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને બાળીને સંપૂર્ણ ભસ્મ કરે છે તેમ જ્ઞાનરૂપ અગ્નિ કર્મોનાં બધાં બંધનોને બાળીને ભસ્મ કરે છે. કારણ કે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કંઈ નથી.’’

‘‘ન હિ જ્ઞાનેન સદ્દશં પવિત્રમ્ ઇહ વિદ્યતે .’’ (ગીતા ૪ - ૩૮)

જેને આપણે સામાન્ય જ્ઞાન કહીએ છીએ તે ભાષા, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ વગેરેનો જ વિચાર કરીએ તો પણ જ્ઞાન કેટલું બધું વિશાળ છે તે સમજી શકાય તેમ છે. કોલેજમાં એડમિશન મેળવવાની વાત થાય ત્યારે વળી મેડિકલ, એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રોનીક્સ, કોમર્સ, લો, વગેરે જ્ઞાનની ક્ષિતિજ વિસ્તરતી દેખાય. તેમાં પણ પાર વિનાની જુદી જુદી શાખાઓનો વિચાર કરતાં જ્ઞાન કેટલું બધું વિશાળ છે તે કલ્પનાતીત છે. આપણે આખી જિંદગી કોઈ એકાદ શાખાના અભ્યાસમાં જ વિતાવી દઈએ તો પણ જીવન ટૂંકું લાગે. સંપૂર્ણ નિષ્ણાત બન્યાનો દાવો તો થઈ જ ન શકે. સાત સમંદર પાર કરી શકાય પણ જ્ઞાનનો પાર પામી ન શકાય.

ઉપરની વાત તો સામાન્ય જ્ઞાનની થઈ, પણ અદભુત તત્ત્વજ્ઞાનની વાત કરીએ તો અત્યંત વિસ્મયકારક આ દુનિયા કોણે બનાવી હશે ? એ ક્યાં રહેતા હશે ? એ કેવા હશે ? એ શું કરતા હશે ? આ બધા પ્રશ્નોનો જવાબ ગીતાજીમાં છે. ‘‘જ્ઞાન વિજ્ઞાન યોગ’’ નામના સાતમા અધ્યાયમાં શ્લોક નં.ચારમાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છેઃ

‘‘ભૂમિઃ, આપઃ, અનલઃ, વાયુઃ, ખં, મનઃ, બુદ્ધિઃ, એવ ચ,

અહંકાર ઇતીયં મે ભિન્ના પ્રકૃતિઃ અષ્ટધા.’’ (ગીતા ૭ - ૪ )

‘‘પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ આઠ પ્રકારે મારી પ્રકૃતિ વહેંચાયેલી છે.’’ આ મારી અપરા પ્રકૃતિ છે. એ જડ છે. બીજી મારી જીવરૂપ ચેતન પ્રકૃતિને જાણ. જેના વડે આ સંપૂર્ણ જગતને ધારણ કરાય છે. સર્વ પ્રાણીઓ આ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયાં છે. આ સમગ્ર જગતનો ઉત્પાદક અને સંહારક હું છું. હે ધનંજય ! મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કંઈ નથી. જેમ દોરામાં મણકા પરોવાયેલા છે તેમ આ સંપૂર્ણ જગત મારામાં પરોવાયેલું છે.’’

‘‘હે કૌંતેય ! જળમાં રસ હું છું. ચંદ્ર અને સૂર્યમાં પ્રકાશ હું છું. બધા વેદોમાં પ્રણવ (ૐકાર) હું છું. આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ હું છું. વળી પૃથ્વીમાં પવિત્ર સુગંધ, અગ્નિમાં તેજ, સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ પણ હું છું. હે પાર્થ ! સર્વ જીવોનું મૂળ અને સનાતન બીજ મને જાણ. બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું.

હે ભરતશ્રેષ્ઠ ! બળવાનોનું કામનાથી રહિત બળ હું છું અને પ્રાણી માત્રમાં રહેલો, ધર્મ અનુકૂળ કામ પણ હું છું. જે સાત્વિક, રાજસ અને તામસ ભાવો છે તેઓ મારાથી ઊપજેલા છે એમ તું જાણ. પરંતુ વાસ્તવમાં તેઓમાં હું નથી અને તેઓ મારામાં નથી. આ આખું જગત ત્રણ ગુણોવાળા ભાવોથી મોહિત છે માટે તેઓથી પર મને અવિનાશીને તત્ત્વથી કોઈ જાણતું નથી. મારી આ ત્રિગુણાત્મક માયા અત્યંત દુસ્તર છે, જેઓ મારે શરણે આવે છે તેઓ આ માયાને તરી જાય છે.’’

‘‘હે ભરતશ્રેષ્ઠ અર્જુન ! દુઃખી, જિજ્ઞાસુ, ધનની ઇચ્છાવાળો અને જ્ઞાની એમ ચાર પ્રકારના મનુષ્યો મને ભજે છે. તેઓમાં સદા મારામય, અનન્ય ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે. જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને મને તે અત્યંત પ્રિય છે.’’

ગીતાજીના સાતમા અધ્યાયના ૧૯મા શ્લોકમાં કહ્યું છેઃ

‘‘બહુનામ્ જન્મનામ્ અંતે જ્ઞાનવાન્ મામ્ પ્રપદ્યતે,

વાસુદેવઃ સર્વમ્ ઇતિ સ મહાત્મા સુદુર્લભઃ.’’ (ગીતા 7 - 19)

‘‘ઘણા જન્મોને અંતે, આ બધું વાસુદેવમય છે, એવું જ્ઞાન પામેલો જ્ઞાની મને ભજે છે. આવા મહાત્મા અતિ દુર્લભ છે.’’

ઉપરની તમામ વાતો ઉત્તમ જ્ઞાની કોને કહેવાય તે દર્શાવે છે. ખુદ પરમાત્માએ આવા મહાત્માને અતિ દુર્લભ કહેલા છે. પ્રભુએ શ્રીમંત માણસ કે સત્તાધારી માણસનાં વખાણ નથી કર્યાં, પણ જ્ઞાનીનાં વખાણ કર્યાં છે.

જેને આપણે પોપટિયું કે પુસ્તકિયું જ્ઞાન કહીએ છીએ તે મહત્વનું નથી. શાસ્ત્રપુરાણોના જાણકાર કે જ્ઞાનનાં અનેક પુસ્તકો વાંચનાર કોઈ માનવીને જ્ઞાની ન કહી શકાય. પોતે જ્ઞાની છે એવું માનનારો અહંકારી માણસ જ્ઞાની હોઈ ન શકે. એ તો ખૂબ નમ્ર જ હોય. પરમ સંત જ્ઞાનેશ્વર જેમણે ૧૨ વર્ષની નાની ઉંમરે ગીતાજી ઉપર ભાષ્ય લખ્યું તેઓ ગજબ નમ્ર હતા. તેમણે બહુ સરસ કહ્યું ‘‘ગીતાજીનો અર્થ આમ છે, એમ હું ન કહી શકું કેમ કે ગીતાજીનું જ્ઞાન તો બહુ ગહન છે. ફક્ત હું આમ સમજ્યો છું એમ કહી શકું.’’ એક પરમ જ્ઞાની, મહાન સંત જો ગીતાજીના ગહન જ્ઞાન વિષે આમ કહેતા હોય તો આપણા જેવા સામાન્ય માનવીની તો વાત જ શી કરવી ? આપણી હાલત ગુજરાતના જાણીતા શ્રી અખા ભગતે બહુ સરસ રીતે વર્ણવી છેઃ

‘‘ઊંડો કૂવો ને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.’’

કૂવો ખૂબ ઊંડો હોય અને પાણી કાઢવા માટેની ડોલમાં મોટું કાણું હોય તો શી હાલત થાય ? કૂવાને તળિયેથી ડોલ ઊપર જમીન સુધી આવે ત્યાં પાછી ખાલી થઈ ગઈ હોય. ગહન જ્ઞાનનાં પુસ્તકો વાંચીએ, કોઈ સંત પાસેથી જ્ઞાનની વાતો સાંભળીએ, પરંતુ આચરણમાં ન મૂકીએ એટલે આપણી ડોલ તો ખાલી ને ખાલી જ રહે. સંત તુલસીદાસે પણ બહુ સરસ કહ્યું :

‘‘કામ, ક્રોધ, મદ, લોભ કી, જબ લગ મન મેં ખાન,

ક્યા પંડિત, ક્યા મૂરખા, દોનો એક સમાન.’’

જો આપણા મનની ડોલમાં, કામ, ક્રોધ, અભિમાન અને ધનલોભનાં મોટાં મોટાં કાણાં હોય તો જ્ઞાન ન ટકે. એ કાણાં દૂર કરવાનો શક્ય એટલો પ્રયત્ન કરીએ તો જ જ્ઞાન મળી શકે. ગીતાજીનું ગહન જ્ઞાન આપણે સમજી ન શકીએ તો પણ બને તેટલો સ્વાર્થ ઓછો કરીએ, નિષ્કામ બનવા પ્રયત્ન કરીએ. પરમાત્મા બધામાં છે એટલું સમજીને સૌને થઈ શકાય તેટલા ઉપયોગી થઈએ. આપણું જીવન પરમાત્માને ચરણે ધરીએ. ધર્મનો સાચો અર્થ બીજાને મદદરૂપ થવું એટલો જ છે.

એટલી ટૂંકી વાત બરાબર સમજાઈ જાય તો બીજાને હેરાન કરવાની વૃત્તિ જ ન રહે. બીજા ધર્મમાં માનનાર માનવીઓને જીવતાં સળગાવવાની તથા બહેનોની ઇજ્જત લૂંટવાની હલકી મનોવૃત્તિ ન રહે. ધર્મનો સાચો અર્થ ન સમજનાર લોકોએ ખોટા ઝનૂનને કારણે દુનિયાને નરક બનાવી દીધી છે. આવા હીન બનાવોને રાજકારણને નામે સમર્થન મળતું હોય છે કે છાવરવાના પ્રયત્નો થતા હોય છે, એ આપણી કમનસીબી છે. આવા હીન બનાવો અટકાવવા ઝડપી ન્યાય હોવો જરૂરી છે.

જ્ઞાન મેળવવા ફાંફાં મારવાની જરૂર નથી. જ્ઞાનયોગનો સાચો અર્થ સમજવા મહેનત કરીએ. બીજાના દોષ જોવાને બદલે આપણામાં રહેલા દોષ ઓછા કરવા શક્ય તેટલી કોશિશ કરીએ તો પરમાત્મા જરૂર પ્રસન્ન થાય. જીવનની મોટામાં મોટી સિદ્ધિ એ જ છે ને !

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

પણ ગમશે

ગીતાજી વિશે

‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’

ગીતાના સારને સરળ ભાષામાં રજૂ કરે છે. આ પુસ્તક...