ૐ
‘‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત !
અભ્યુત્થાનમ્ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ , (ગીતા 4 - 7)
પરિત્રાણાય સાધુનામ્, વિનાશાય ચ દુષ્કૃતામ્,
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે .’’ (ગીતા 4 - 8)
આમ તો આ શ્લોક સરળ છે છતાં ‘‘મણિકાંત કાવ્યમાળા’’ નામના પુસ્તકમાં શ્રી મણિકાંત નામના સજ્જને વધુ સરળ અનુવાદ કર્યો છે.
‘‘જગતમાં ધર્મની પડતી, અધર્મે થાય છે જ્યારે,
નિરાકારી છતાં ભારત !, લઉં અવતાર હું ત્યારે.’’
આ તો ખૂબ સરળ વાત થઈ. જગતમાં, ધર્મ ઘટે અને અધર્મ વધે ત્યારે ધર્મની સંસ્થાપના માટે પરમાત્મા અવતાર ધારણ કરે છે. સજ્જનોનું રક્ષણ કરવા અને દુર્જનોનો વિનાશ કરવા પરમાત્મા યુગે યુગે અવતાર ધારણ કરે છે, પરંતુ આ સરળ વાત સમજવા માટે ધર્મ અને અધર્મ વચ્ચેનો તફાવત આપણે પહેલા સમજવો જોઈએ.
ધર્મ એટલે ટીલાં, ટપકાં કરનારાને ધાર્મિક કહેવા ? પૂજાપાઠ કર્યા કરે, કીર્તનભજન કરે, પણ અન્ય માનવીઓ પર થતા અત્યાચાર, અન્યાય પ્રત્યે આંખ મીંચામણાં કરે તેને ધાર્મિક માનવા ? કે પોતે માની લીધેલો ધર્મ જ સાચો છે, એ ખ્યાલથી હાથમાં તલવાર કે છરો લઈને ફરે અને બીજા ધર્મમાં માનનારનું ખૂન કરી, પોતે જ સાચો ધાર્મિક છે એવું માને તેને ધાર્મિક માનવા ? ધર્મને નામે, જીવતા માણસોને સળગાવી દેતાં પણ ખચકાય નહીં એવા નરાધમોને ધાર્મિક માનવા ? આ બહુ શાંતિથી વિચારવા જેવી બાબત છે. શું આવા કહેવાતા ધાર્મિક લોકોની રક્ષા કરવા ભગવાન અવતાર ધારણ કરતા હશે ?
મંદિર કે મસ્જિદમાં નિયમિત જવું, પૂજા, પાઠ, જપ, તપ, પ્રાર્થના, બંદગી, તીર્થયાત્રા, હજ વગેરે કરવાં એ બધું સારું છે, જીવનને ઉન્નત બનાવવા માટે એ બધાંનું મહત્વ છે, તેમ છતાં સમજ્યા વિના ફક્ત યંત્રવત્ એ બધું કરવાનો કોઈ અર્થ નથી. ગુજરાતના જાણીતા શ્રી અખા ભગતે તો આવી બધી ક્રિયાઓ ઉપર સાચા અર્થમાં ચાબખા માર્યા છે.
‘‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
બીજો મૂરખ ભેગો થયો, પથ્થર મૂર્તિ તોડી રહ્યો,
તીરથ ફરતાં ત્રેપન ગયાં, જપમાળાનાં નાકાં ગયાં,
ફરી ફરીને થાક્યાં ચરણ, તોયે ન પહોંચ્યો હરિને શરણ.’’
આ જ વાત પરમાત્માના પરમ ભક્ત શ્રી નરસિંહ મહેતાએ ખૂબ સરસ રીતે સમજાવી છે :
‘‘શું થયું તપ, તીરથ, વ્રત કીધા થકી, શું થયું ગંગજળ પાન કીધે ?
શું થયું છાપાં ને તીલક કીધા થકી, શું થયું માળા ગ્રહી નામ લીધે ?’’
આ શબ્દો કોઈ સામાન્ય માનવીના નથી. પરમાત્માને ચરણે સંપૂર્ણ આત્મ સમર્પણ કરનાર અને પરમાત્માનાં દર્શન પામનાર પરમ ભક્તના છે. જીવનની પ્રત્યેક વિષમ પરિસ્થિતિને હસતે મોઢે સ્વીકારીને સ્થિતપ્રજ્ઞ રહેનાર એ પરમ સજ્જન માનવી પણ બાહ્ય ધર્મને મહત્વ નથી આપતા. પ્રાણી માત્રમાં પરમાત્મા છે, એવાં ગીતાનાં વાક્યો ગોખવાં અને જીવતા માનવીઓને અછૂત ગણવા એને ધર્મ ન કહેવાય. હરિજનોને અછૂત ગણવા અને એ રીતે માનવી માનવી વચ્ચે ભેદભાવ રાખવો એ યોગ્ય નથી, એમ પોતાના આચરણથી સમાજને સમજાવ્યું. ધર્મની વાતો નહીં, પણ ધર્મનું આચરણ મહત્વનું છે. આને સાચો ધર્મ કહેવાય.
મહારાષ્ટ્રના પરમ સંત એકનાથજી કાશીની યાત્રાએ ગયા ત્યાંથી ગંગાજળની કાવડ ભરી લાવ્યા. ભગવાન શ્રી રામેશ્વર મહાદેવને ગંગાજળનો અભિષેક કરવાની ઇચ્છા હતી, પણ રસ્તામાં એક ગધેડાને પાણી વિના તરસથી તરફડતો જોયો. બધું ગંગાજળ ગધેડાને પાઈને એમણે પ્રભુની પૂજા કર્યાનો સંતોષ માન્યો. પ્રાણી માત્રમાં પરમાત્મા છે એવા જ્ઞાનના શબ્દો ગોખવાને બદલે ગધેડાને પાણી પાઈને એમણે જ્ઞાનનું આચરણ કર્યું. જ્ઞાનની વાતો નહીં, પણ જ્ઞાનનું આચરણ મહત્વનું છે. આને સાચું જ્ઞાન કહેવાય.
પોતે સુખી થવાને બદલે બીજાને સુખી કરવાનો પ્રયત્ન કરવો એ સાચો ધર્મ છે, અને બીજાને ભોગે પોતે સુખી થવાની કોશિશ કરવી તે અધર્મ છે.
રોજ મંદિરે પ્રભુનાં દર્શન કરવા જવું એ સારી વાત છે, પણ ભૂખથી પીડાતા માનવીને થોડુંક અન્ન આપવું, ટાઢથી ધ્રૂજતા માનવીને રાહત થાય એવા કાંઈક પ્રયત્ન કરવા એ સાચો ધર્મ છે. પોતે સુખી થવું એ ખરાબ નથી, પોતાના પરિવારને સુખી કરવા કોશિશ કરવી તે અયોગ્ય નથી, પણ પોતાના સુખ માટે બીજાનું અહિત થાય તો વાંધો નહીં, એવી વિચારસરણી તદ્દન અયોગ્ય છે. એ અધર્મ છે. સ્વકલ્યાણ નહીં પણ સૌના કલ્યાણની ભાવના એટલે કે સાચા "માનવ ધર્મ"ની સંસ્થાપના કરવા પ્રભુ અવતાર લે છે.
આપણા સમાજમાં એવી કેટલીએ ગરીબ બહેનો હશે જેમને લાજ ઢાંકવા પૂરતાં વસ્ત્રો નથી હોતાં. શ્રી ઇંદુલાલ ગાંધી નામના સજ્જને, ‘‘ભાદરમાં ધુએ લુગડાં ભાણી’’ નામના તેમના કાવ્યમાં બહુ વેદના ભરી પંક્તિઓ લખી છેઃ
‘‘વસ્તર વિનાની ઇસ્તરી જાતને સારુ, પડી જતી નથી કેમ મોલાતુ,
ઊભાં ઊભાં કરે ઝાડવાં વાતુ.....’’
ભલે આ કાલ્પનિક કાવ્ય હોય, પણ સમાજમાં આવી ગરીબ બહેનો છે એ કડવી વાસ્તવિકતા સ્વીકારવી રહી. આવું જ એક દ્રશ્ય જોઈને - ગાંધીજીએ બહુ મર્યાદિત વસ્ત્રો પહેરવાનો નિર્ણય લીધો. અને સ્વામી દયાનંદ સરસ્વતીજીએ તપ છોડીને રાજા મહારાજાઓને ગરીબ પ્રજાની સુખાકારી માટે પ્રયત્ન કરવા અનુરોધ કર્યો. - ભ્રષ્ટાચારને કારણે મોંઘવારી વધતી જાય છે અને ગરીબ પ્રજા તેનો સૌથી વધુ ભોગ બને છે. શું આવી બહેનો માટે આપણે કાંઈ કરી ન શકીએ ? પરમાત્મા અવતાર લે ત્યાં સુધી રાહ જોયા કરશું ? કદાચ આપણે એમ પણ વિચારીએ કે આમાં આપણો શો દોષ ? પણ જે કંઈ ભ્રષ્ટાચાર થાય છે તેમાં આપણો થોડોક હિસ્સો તો હોય જ છે. આપણી જાત આપણે થોડીક સુધારીએ તો ? ભગવાનને અવતાર ધારણ કરવો ન પડે.
અમુક વર્ગ વધુ ને વધુ શ્રીમંત બને અને બીજાને જીવનમાં સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો એ અસમતુલા ક્યારેક ગંભીર પરિણામો સર્જી શકે. પ્રધાનોના કરોડો રૂપિયાનાં કૌભાંડો સાવ સામાન્ય બની ગયાં છે, સમાચારપત્રોમાં આવા ગંધાતા સમાચાર દરરોજ છપાય છે. લોકશાહીમાં પ્રજાના કહેવાતા સેવકો, રાજા કરતાં વધુ ઠાઠમાઠ ભોગવે છે.
મહાત્મા ગાંધીજી જેવી સાદાઈ કોઈને ખપતી નથી, શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી જેવી પ્રમાણિકતા દંતકથા બની ગઈ છે. આ મહાનુભાવોના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે પોતે સુધરવાની જરૂર છે. ભ્રષ્ટાચારની ટીકા કરવાથી એ દૂર નહીં થાય, આપણે પોતે ભ્રષ્ટાચારથી દૂર રહેશું તો ધીમે ધીમે એ ઘટશે. આપણાં બાળકોને સાદાઈથી જીવતાં શીખવીએ, બીજાને ભોગે સુખી થવાની ઇચ્છા તજીએ તો સમાજમાં સુગંધ પ્રસરશે.
આપણે થોડાક પણ સુધરવા માગતા હોઈએ તો સાચા દિલથી, પ્રભુને પ્રાર્થના કરીએ કે ‘‘આપને જગતમાં તો જ્યારે અવતાર ધારણ કરવો હોય ત્યારે કરજો, પણ હે પરમાત્મા ! મારા હૃદયમાં તો વિના વિલંબે અવતાર ધારણ કરો. આપ શ્રીકૃષ્ણ રૂપે અંધકારમાં જન્મ્યા હતા અને પછી જગતમાં અદભુત પ્રકાશ ફેલાવ્યો હતો. મારા હૃદયમાં પણ ઘોર અંધકાર છવાયેલો છે, આપના જન્મ માટે સુયોગ્ય વાતાવરણ છે. મને ઘોર અંધકારમાંથી દિવ્ય પ્રકાશ તરફ લઈ જાવ. પ્રભુ ! મારું મૃત્યુ સુધરી જાય. તમારા વિના હું અધૂરો છું. પ્રભુ ! અંધકારમાં અથડાતા મને તમારા સહારાની બહુ જરૂર છે. હે તેજપુંજ ! મારા હૃદયમાં અવતાર ધારણ કરો.’’
| Comments |
|



‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’