ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

૧૦. ઇચ્છાઓ

શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં અર્જુનને ‘‘સ્થિતપ્રજ્ઞ’’ વિષે સમજાવતાં ઇચ્છાઓને અશાંતિના કારણરૂપ ગણાવી તેને તજવા પર ભાર મૂક્યો છે.

‘‘પ્રજહાતિ યદા કામાન્ સર્વાન્ પાર્થ ! મનોગતાન્,

આત્મનિ એવ આત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞઃ તદ્ ઉચ્યતે.’’ (ગીતા ૨ - ૫૫)

‘‘જ્યારે માનવી, મનમાંથી ઊઠતી સર્વ ઇચ્છાઓને તજીને પોતે પોતાનામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.’’ સ્થિતપ્રજ્ઞ એટલે સ્થિર બુદ્ધિવાળો માણસ. ઇચ્છાઓ તજે તો બુદ્ધિ સ્થિર થાય. ઇચ્છાઓ ન તજે તો બુદ્ધિ સ્થિર ન થાય. માનવીનું મન સદાય ભટકતું રહે. એને શાંતિ ન મળે.’’

ઇચ્છા, કામના, વાસના, અપેક્ષા એ બધા પર્યાય શબ્દો છે અને તે મનમાંથી ઊઠતા તરંગો છે. કોઈ ઇચ્છા જાગી, આપણે એ પૂરી કરી એટલે વાત પતી ગઈ એવું નથી. એક ઇચ્છા પૂરી થઈ ન થઈ ત્યાં બીજી ઇચ્છા જાગે. એ સતત ઊઠતા તરંગો છે અને આપણે એ વમળમાં ફસાયેલા રહીને સમગ્ર જીવન પૂરું કરી નાખીએ છીએ. આટલું પૂરતું નથી. એ વિષચક્રની અસર ગીતાજીના બીજા અધ્યાયમાં શ્લોક નં. ૬૨ અને ૬૩માં બહુ સરસ વર્ણવી છે.

વિષયોનું સતત ચિંતન કરવાથી કામના જન્મે છે, કામના સંતોષાય નહિ તો ક્રોધ જન્મે છે, ક્રોધથી સંમોહ જન્મે છે એટલે કે સારાસારનું ભાન રહેતું નથી, પરિણામે સ્મૃતિ ભ્રષ્ટ થાય છે, તેનાથી બુદ્ધિનો નાશ થાય છે, છેવટે સર્વનાશ થાય છે. ક્રોધથી બુદ્ધિનો નાશ થવાથી માનવી અશાંત બને છે, તેને શાંતિ મળતી નથી, એને સુખ ક્યાંથી મળે ? આપણો અનુભવ વિચારીએ તો આપણે વાત વાતમાં ગુસ્સે થઈ જઈએ છીએ, આપણી ઇચ્છા વિરુદ્ધનું કંઈ પણ બને તો આપણો અહમ્ ઘવાય છે અને અશાંત બની જઈએ છીએ.

ક્રોધની ભયાનક અસરો આપણે સૌ અનુભવીએ છીએ તો પણ ક્રોધ છોડતા નથી. ક્રોધ વખતે બોલવાનું ભાન ન રહેતાં, પરિવાર કે સ્વજનોમાં ક્લેશ થાય છે, સંબંધો બગડે છે, ક્યારેક મારામારી, ખૂન કે આત્મહત્યા જેવી ગંભીર ઘટનાઓ પણ બને છે. ક્રોધ માત્ર બીજાને નુકસાન કરે છે એવું નથી, એ આપણને પણ ભયાનક નુકસાન કરે છે. હાઈ બ્લડ પ્રેસર, હૃદયરોગ જેવા ગંભીર રોગ પણ એનું પરિણામ છે. આ બધી મુશ્કેલીઓનું મૂળ કારણ ઇચ્છાઓ છે એવું ક્યારેય આપણે વિચાર્યું છે ? જો ગીતાજી વાંચીએ અને સમજીએ તો કદાચ ભયાનક રોગમાંથી ઊગરી જઈએ.

જીવનનિર્વાહ માટે ધન કમાવું જરૂરી છે એટલે ધન મેળવવાની ઇચ્છા સ્વાભાવિક છે. જીવનનિર્વાહ પૂરતું ધન મળી રહે તો એટલાથી સંતોષ નથી થતો, પણ વૈભવની ઇચ્છા જાગે છે. ઘરમાં ટીવી, ફ્રિજ વગેરે હોવાં જ જોઈએ એમ લાગે છે. પ્રામાણિકપણે કમાઈને એટલું ધન મળી રહેતું હોય તો વૈભવ વધારવામાં કશું ખોટું નથી, પણ એટલું ધન ન મળતું હોય તો પણ વૈભવ વધારવાની ઇચ્છા માનવીને લાંચ લેવા પ્રેરે છે. આમ નાનકડી વાત પતન તરફ લઈ જાય છે. લાંચ લેવાનું શરૂ કર્યા પછી જો કોઈ લાંચ ન આપે તો તેનું કામ કરવાનું મન થતું નથી આમ કામચોરી શરૂ થાય છે. છેવટે પૂરતો પગાર મળવા છતાં કામ કરવાની વૃત્તિ ઘટતી જાય છે. વધુ ને વધુ મફત મેળવવું અને કામ ન કરવું એવી વૃત્તિ વધતી જાય છે. આપણે સમાજને ખૂબ નુકસાન કરીએ છીએ એ કોઈ વિચારતું નથી.

વૈભવની ઇચ્છાઓનો અંત નથી. ટીવી, ફ્રિજ એ તો નાનકડી શરૂઆત છે. ધીમે ધીમે સાઇકલને બદલે સ્કૂટર, મોટર, નાના મકાનને બદલે મોટો ફ્લેટ, બંગલો, કીમતી ફર્નિચર, પ્રવાસ, વિદેશપ્રવાસ એમ અનેકવિધ ઇચ્છાઓ જાગે છે. આ બધી ઇચ્છાઓ સંતોષવા પોતાની આવક ઓછી પડે તો લગ્નપ્રસંગે અને ત્યાર બાદ પણ પત્નીના પિયર પાસેથી દહેજના નામે રકમ માગવાનું શરૂ થાય છે. હકીકતમાં તો બીજા પાસે કાંઈ પણ માગવા માટે હાથ લાંબો કરવો એ પોતાની નબળાઈ પ્રગટ કરવા જેવું છે. પોતાને હાથે પોતાનું ગૌરવ હણવા જેવું છે, પણ ભિખારી વૃત્તિવાળા માણસને કોઈ શરમસંકોચ નડતાં નથી. ઊલટું માગણી પ્રમાણે દહેજ ન મળે તો લગ્ન પહેલાં વેવિશાળ તોડી નાખવાની ધમકી અપાય છે અને લગ્ન થઈ ગયાં હોય તો પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ થાય છે. છેવટે કાં તો કન્યા કંટાળીને આપઘાત કરે કે પતિ, સાસુ, સસરા, દિયર, નણંદ બધાં મળીને કન્યાને જીવતી સળગાવી મૂકે.

આ કોઈ કાલ્પનિક વાત નથી. અખબારોમાં અનેક વખત લાંચ માગતા અધિકારીઓ, ધન માટે વેચાતા રાજકારણીઓ, દહેજની પ્રથાને કારણે થતા આપઘાત કે ખૂનના બનાવો વિષે આપણે વાંચીએ જ છીએ. સમાજનું અધઃપતન આપણે સૌ ખુલ્લી આંખે જોયા કરીએ છીએ. કોરી ચર્ચા કરવાથી એક પણ દૂષણ ઘટવાનું નથી. આપણે સુધરશું તો જ સમાજ સુધરશે.

કોઈની આવક ખરેખર બહુ ઓછી હોય, પરિવારનું પોષણ ન થઈ શકતું હોય, એ ન છૂટકે થોડી લાંચ લે તો ક્ષમ્ય છે, પણ બધાને માટે એ ક્ષમ્ય નથી. ‘‘રામાયણ’’ એ હિન્દુ ધર્મનો આદર્શ ગ્રંથ છે, એના રચયિતા શ્રીવાલ્મીકિ ઋષિ, પૂર્વાશ્રમમાં પરિવારના ભરણપોષણ માટે લૂંટફાટ કરતા હતા. જો આદર્શ ગ્રંથના લખનારને લૂંટફાટ કરવાની છૂટ હોય તો આપણને કેમ નહિ ? એવી દલીલ કરી ન શકાય.

પરિવારના ભરણપોષણ ઉપરાંત મોજશોખ માટે પૂરતું ધન હોય એવા મોટા રાજકારણીઓ અને ઉચ્ચ હોદ્દા પર હોય એવા અધિકારીઓ પણ લાંચ લેતા હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. આવા ધનલોભી, ગૌરવહીન, પામર અને મનથી ગરીબ માણસો સદાય ગરીબ જ રહે છે. ગરીબ ભિખારી રસ્તા પર બેસીને ભીખ માગે છે જ્યારે આવા માણસો એરકન્ડિશન્ડ રૂમમાં સરસ ખુરશી પર બેસીને ભીખ માગે છે. સત્તાના જોરે કોઈ પાસેથી ધન પડાવવું, એ લૂંટફાટ જ છે. અન્ય લૂંટારા છરી, ચાકુ કે બંદૂક લઈને લૂંટફાટ કરે છે, અધિકારીઓ સત્તાને કારણે લાંચ માગીને લૂંટ કરે છે. બંને લૂંટ સરખી જ છે.

ઘણા લોકો એવી દલીલ કરે છે કે સમાજના મોટા ભાગના લોકો લાંચ લે છે તો હું લઉં એમાં શું ખોટું છે ? ઘણા માણસો શ્વશુર પક્ષ પાસેથી દહેજરૂપે મોટી રકમ પડાવે છે તો હું થોડીક રકમ માગું એમાં શો વાંધો ? સ્વમાનની ખુમારી કે ગૌરવ વિનાના માણસો જ આવું વિચારી શકે. આપણને ગૌરવથી જીવતાં જ કોઈએ શીખવ્યું નથી એટલે જ કરકસરથી જીવવું કોઈને ગમતું નથી. ‘‘સિંહ ભૂખ્યો હોય તો પણ ઘાસ ખાતો નથી’’ એ વાત આપણે શીખ્યા જ નથી.

કોઈ કહેશે કે આશા ઇચ્છા વિનાનું જીવન તો ભારરૂપ થઈ જાય. સંતોષને નામે આખી જિંદગી ગરીબ જ રહેવું ? શું વૈભવ માણવાનો સૌને અધિકાર નથી ? ના, એવું બિલકુલ જરૂરી નથી કે આખી જિંદગી ગરીબ રહેવું તેમ જ વૈભવ માણવાનો પણ સૌને અધિકાર છે. તેને માટે જરૂર છે વધુ ને વધુ પરિશ્રમ કરવાની. પોતાના પુરુષાર્થના બળે શ્રીમંત બનવામાં કે વૈભવ માણવામાં કશું ખોટું નથી. મહેનત કરીને આનંદથી લાડુ ખાવા જોઈએ, પણ આજે શાકરોટલો મળે તો મોઢું ન બગાડાય. લાડુ કે શાકરોટલો જે મળે તે આનંદથી ખાવાં જોઈએ. એ જ સાચું જીવન છે. આપણે લાડુ ખાવા માટે કોઈનો રોટલો ઝૂંટવી લેવાની કે કોઈના રોટલામાંથી કટકો પડાવી લેવાની વૃત્તિ એ પશુથી પણ બદતર છે.

પરિશ્રમ કર્યા વિના જ મફત ધન મેળવવાની ઇચ્છામાંથી જ લાંચરુશવત, જુગાર, ભ્રષ્ટાચાર, દહેજ વગેરે દૂષણો જન્મે છે, તેવી જ રીતે કામચોરી, છેતરપિંડી, લૂંટફાટ, ગુંડાગીરી વગેરે પણ મહેનત કર્યા વિના ધન મેળવવાની ઇચ્છાનાં જ પરિણામ છે. આટલું પૂરતું નથી. બીજા દેશનો પ્રદેશ પચાવી પાડવાની ઇચ્છામાંથી જ ઘૂસણખોરી, સરહદી અથડામણ, યુદ્ધ જેવાં અતિ ભયાનક પરિણામો જન્મે છે. યુદ્ધને કારણે અનેક યુવાનો અકાળે શહીદ થાય છે, સ્ત્રીઓ વિધવા થાય છે, બાળકો અનાથ બને છે, અનેક પરિવાર નિરાધાર થઈ જાય છે. દેશની આર્થિક હાલત બદતર થાય છે. મોંઘવારી માઝા મૂકે છે. ઇચ્છા શબ્દ નાનો છે, એની ભયાનકતા બહુ મોટી છે.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Patel Nitin P.  - cool   |2010-10-16 00:59:43
it's very cool articals which calm and cool our mind and realise "atma"
shuchi  - Wonderful!!   |2009-06-08 23:49:02
Wonderful Article!!!!!
Please sir, kindly give me the .pdf file of \"Gitaji vishe shun vicharisu?\"

Thanking you,
Regards,
Shuchi Pandya

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

પણ ગમશે

ગીતાજી વિશે

‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’

ગીતાના સારને સરળ ભાષામાં રજૂ કરે છે. આ પુસ્તક...