ૐ
શ્રીકૃષ્ણ ભગવાન તથા અર્જુનના શ્રીમદ્ ભગવદ્ ગીતાના સંવાદ દરમિયાન કોઈ બહુ જ મહત્વની અને ઉત્તમ ચર્ચા થઈ હોય તો તે છે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો. સાંખ્યયોગ નામના બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ફળની ઇચ્છા તજીને કર્મ કરવાની સલાહ આપ્યા પછી અર્જુનને કહ્યું ‘‘જ્યારે તારી બુદ્ધિ ફળની આસક્તિમાંથી મુક્ત થશે ત્યારે તારો મોહ દૂર થશે અને આત્મસ્વરૂપમાં સ્થિર થશે, ત્યારે ભગવદ્ પ્રાપ્તિરૂપ યોગ તને પ્રાપ્ત થશે.’’
અર્જુને પૂછ્યું: ‘‘હે ભગવાન ! આત્મસ્વરૂપમાં સ્થિર મનુષ્ય કઈ રીતે વર્તે?’’
ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહેલો એક એક શબ્દ બહુ કીમતી છે. દરેક શબ્દ બહુ જ શાંતિથી વાંચવા અને વિચારવાનો છે. ગીતાજી કોઈ ચોક્કસ સંપ્રદાયનો ગ્રંથ નથી. એ ફક્ત પુરુષો કે ફક્ત સ્ત્રીઓ માટે નથી. કોઈ એક સમાજ કે દેશ માટે નથી. આખી દુનિયાના કોઈ પણ માનવીને પોતાનું જીવન ઉજ્જ્વળ બનાવવું હોય તેમને માટે આ ગ્રંથ છે. આ રહી એ અદભુત વાણીઃ
‘‘જ્યારે માનવી પોતાના મનમાંથી ઊઠતી તમામ ઇચ્છાઓનો ત્યાગ કરે અને વાસનાશૂન્ય મનથી પોતાના આત્મસ્વરૂપમાં જ સંતુષ્ટ રહે ત્યારે તેને ‘‘સ્થિતપ્રજ્ઞ’’ કહેવાય છે.’’ જીવનની તમામ મુશ્કેલીઓનું મૂળ ઇચ્છાઓ છે. જો એને વશ કરી શકાય તો ઘણા પ્રશ્નો ઉકલી જાય. ભલે એ બહુ જ અઘરું છે તો પણ ધીમે ધીમે ઇચ્છાઓનો ત્યાગ કરવાની શરૂઆત કરીએ તો મનની સ્થિરતા વધે. ‘‘સ્થિતપ્રજ્ઞ’’ એટલે જ સ્થિર બુદ્ધિનો માણસ.
દુઃખમાં જેનું મન ઉદ્વિગ્ન ન થાય અને સુખ મેળવવાની જેને લાલસા ન રહી હોય, જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થઈ ચૂકે તેને સ્થિર બુદ્ધિવાળો મુનિ કહેવાય.
જે મનુષ્ય સર્વત્ર રાગ વગરનો રહીને સારું કે ખરાબ જે કાંઈ પ્રાપ્ત થાય તેનાથી પ્રસન્ન નથી થતો કે દ્વેષ નથી કરતો એટલે કે તમામ પરિસ્થિતિમાં સમાન ભાવ રાખે, તેની બુદ્ધિ સ્થિર છે.
જેમ કાચબો તેનાં અંગો સંકોરી લે તેમ જે મનુષ્ય વિષયોમાંથી ઈંદ્રિયોને ખેંચી લે છે, તેની બુદ્ધિ સ્થિર થાય છે.
ધીમે ધીમે ઈંદ્રિયો દ્વારા વિષયોનું ચિંતન ન કરે તો વિષયો દૂર થઈ જાય છે, પણ વિષયો પ્રત્યેનો રસ દૂર થતો નથી. તે તો આત્મસ્વરૂપના પરમ રસનો અનુભવ થતાં જ દૂર થઈ શકે.
હે અર્જુન ! જ્યાં સુધી વિષયો પ્રત્યેનો રસ નિવૃત્ત નથી થતો ત્યાં સુધી તે પુરુષની ઈંદ્રિયો તેના મનને વિહ્વળ કરીને એકદમ વિષયોમાં ખેંચી જાય છે, પરંતુ તે બધી ઈંદ્રિયો અને મનને સંયમિત કરી કાબૂમાં લઈને અંતર્યામી એવા મારામાં જ તન્મય થઈને બેસનારનું મન વશ થાય છે અને તેની બુદ્ધિ સ્થિર થાય છે.
વિષયોનું ચિંતન કરવાથી આસક્તિ થાય છે, તેમાંથી કામના એટલે કે ઇચ્છા જાગૃત થાય છે, તે પૂરી ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી મોહ જન્મે છે અને તેને લીધે સારાસારનું ભાન રહેતું નથી. આમ સ્મૃતિ નાશ થતાં બુદ્ધિનો નાશ થાય છે અને છેવટે અધોગતિ થાય છે.
પરંતુ જેણે મનને સ્વાધીન કર્યું હોય તે રાગદ્વેષ રહિત થઈને પોતાને વશ કરેલી ઈંદ્રિયો દ્વારા વિષયોનો વ્યવહાર કરતો પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે. આવી રાગદ્વેષ રહિત પ્રસન્નતા પ્રાપ્ત થતાં બધાં દુઃખોનો અભાવ થઈ જાય છે અને તે અનાસક્ત ચિત્તવાળા કર્મયોગીની બુદ્ધિ વ્યાપક અને સ્થિર બને છે.
ઈંદ્રિયો અને મનને ન જીતનારને નિષ્કામ બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. આથી તેનામાં ઇશ્વરારાધનાની ભાવના પણ જાગતી નથી. તે ભાવના વગર શાંતિ પ્રાપ્ત થતી નથી અને આવા અશાંત પુરુષને સુખ ક્યાંથી મળી શકે ? કારણ કે આવો અસંયમી માણસ ઈંદ્રિયોની પાછળ મનને છૂટું મૂકે છે, તેનું અસંયમી મન - જેમ વાયુ, છૂટી નાવને પાણીમાં ગમે તેમ ઘસડી જાય છે તેમ - બુદ્ધિને ઘસડી જાય છે એટલે કે બુદ્ધિનો નાશ કરે છે. હે મહાબાહો ! જેનું સંયમી મન, ઈંદ્રિયો પર કાબૂવાળું હોય છે તેની બુદ્ધિ સ્થિર છે.
સંયમી જ્ઞાની મનુષ્યો જે આત્મસ્વરૂપના પ્રકાશમાં જાગૃત રહે છે, તેમાં અસંયમીઓને રાત્રી જેવું લાગે છે અને અસંયમી અજ્ઞાની મનુષ્યો જેમાં પ્રકાશ જુએ છે એટલે કે આનંદ માને છે તેમાં સંયમી મનુષ્ય અંધકાર જુએ છે.
જેમ જુદી જુદી નદીઓનાં પાણી, પરિપૂર્ણ અને સ્થિર રહેલા સમુદ્રમાં, તેની સ્થિરતામાં વિક્ષેપ કર્યા વગર જ સમાઈ જાય છે તેમ બધા ભોગો, સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઈ વિકાર ઉત્પન્ન કર્યા વગર જ સમાઈ જાય છે. તે પુરુષ પરમ શાંતિ પ્રાપ્ત કરે છે, પરંતુ ભોગોની તૃષ્ણાવાળાને પરમ શાંતિ મળતી નથી.
જે પુરુષ સંપૂર્ણ કામનાઓનો ત્યાગ કરીને મમતા રહિત, અહંકાર રહિત અને નિઃસ્પૃહ થઈને વર્તે તેને જ શાંતિ મળે છે. હે અર્જુન ! આ બ્રહ્મભાવને પામેલા પુરુષની સ્થિતિ છે. આવો યોગી કદી મોહિત થતો નથી અને અંતકાળમાં પણ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિર રહેલો તે બ્રહ્માનંદને પ્રાપ્ત કરે છે.
ઉપરની તમામ વાતો ઉચ્ચતમ જીવન માટે છે. સાંસારિક ઇચ્છાઓ પૂરી ન થાય તો બુદ્ધિ કઇ રીતે ભ્રષ્ટ થાય છે એ સરસ રીતે સમજાવ્યું છે. આપણી ઇચ્છાઓ પૂરી ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધની ભયંકર અસર તો આપણે સૌ અનુભવીએ છીએ. કોઈક આપણા પર ગમે તે કારણે ગુસ્સે થાય તો આપણને કેટલું બધું અપમાન લાગે છે ? આપણી ભૂલ થઈ હોય તો પણ એનો એકરાર કરવાની આપણામાં હિંમત હોતી નથી. ભૂલ સુધારવાને બદલે, આપણા પર ગુસ્સે થનાર સામે કઈ રીતે બદલો લેવો ? એ વિચાર જ સતત મનમાં ઘોળાયા કરે છે. આ આપણું અધઃપતન જ છે. કદાચ આપણે નિર્દોષ હોઈએ તો આપણી માનહાનિ માટે દુઃખ થાય, પરંતુ સામી વ્યક્તિને સાચી વાત કહેવાની આપણામાં હિંમત હોતી નથી અને પછી મનમાં મૂંઝાયા કરીએ છીએ.
એક બહુ સરસ વાત યાદ રાખવા જેવી છેઃ ગુસ્સે થઈને મનમાં ને મનમાં કોઈનું અહિત વિચારવાથી, કોઈનું અહિત થતું નથી. ક્રોધ કે ગુસ્સો આપણને જ બાળે છે. ક્રોધથી થતું હાઈ બ્લડ પ્રેસર, તાણ, ચિંતા, એસિડિટી એ બધાં આપણાં જ સર્જન છે. સામાન્ય મારામારી કે અસામાન્ય ખૂનની ઘટના એ બેકાબૂ ક્રોધનું જ પરિણામ છે. ક્રોધને કારણે રોગ થાય તો હોસ્પિટલના આંટાફેરા કેટલા બધા ખર્ચાળ છે એ સમજાવવાની જરૂર નથી. એવી જ રીતે ક્રોધને કારણે કોઈ ખૂનકેસમાં ફસાઈ ગયા પછી પોલીસ સ્ટેશન અને અદાલતના આંટાફેરા કેટલા બધા ખર્ચાળ, સમયની બરબાદી અને માનસિક ત્રાસમાં વધારો કરે છે એ બધું સમજાવવાની જરૂર નથી.
ગીતાજી વાંચીએ અને વિચારીએ તો એ બધું નિવારી શકીએ. ઈચ્છાઓ તજવાનું, ક્રોધ છોડવાનું અને સુખ દુઃખને સમાન ગણવાનું કહીને શ્રીકૃષ્ણ ભગવાને માનવ જાતનું કેટલું બધું કલ્યાણ કર્યું છે ! એક નાનકડી વાત આટલી ઉપયોગી છે તો સમગ્ર ગીતાજીનું આચરણ કેટલું ઉપયોગી હશે ?
| Comments |
|
|
||||||||
|
||||||||
|
||||||||
|
||||||||
|
||||||||
|
||||||||



‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’