ૐ
‘‘જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જુઠ્ઠી.’’
આત્માને ઓળખ્યા વિનાની બધી સાધના નિરર્થક છે. આત્માને તો કોઈએ જોયો નથી. એ શું છે, એ કોઈ જાણતું નથી તો એને કઈ રીતે ઓળખવો ? ગીતાજીના બીજા અધ્યાય સાંખ્યયોગમાં શ્રીકૃષ્ણ ભગવાને આત્મા વિષે બહુ સરસ સમજાવ્યું છેઃ
‘‘ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ,
અજોનિત્યઃ શાશ્વતોયં પુરાણો, ન હન્યતે હન્યમાને શરીરે.’’ (ગીતા ૨ - ૨૦ )
‘‘આત્મા જન્મતો નથી કે મરતો નથી, તે અગાઉ ન હતો કે હવે પછી નહિ હોય તેવું નથી. આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત, પુરાતન છે. શરીરનો નાશ થવા છતાં પણ આત્મા મરતો નથી. હે અર્જુન ! આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. આત્મા સર્વવ્યાપી, સ્થિર, અચલ અને સનાતન છે. તેને અવ્યક્ત, અચિંત્ય અને વિકારરહિત કહે છે.’’
જેમ પરમાત્મા સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે તેમ આત્મા શરીરનું સંચાલન કરે છે. જ્યાં સુધી આત્મા શરીર સાથે જોડાયેલો હોય ત્યાં સુધી જ શરીર જીવંત રહે છે. જ્યારે આત્મા અને શરીર જુદાં પડે છે ત્યારે શરીરનું મૃત્યુ થાય છે. મૃત્યુ સમયે આત્મા તો અમર છે એટલે તેનો શોક કરવો ન જોઈએ અને નાશવંત વસ્તુનો વહેલો કે મોડો નાશ થવાનો જ છે. તેથી નાશવંત શરીર મૃત્યુ પામે ત્યારે તેનો શોક કરવો પણ ઉચિત નથી.
વળી ગીતાજીના છઠ્ઠા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છેઃ
‘‘યો મામ્ પશ્યતિ સર્વત્ર, સર્વં ચ મયિ પશ્યતિ,
તસ્યાહં ન પ્રણશ્યામિ, સ ચ મે ન પ્રણશ્યતિ.’’ ( ગીતા ૬ - ૩૦ )
‘‘જે મને સર્વમાં વ્યાપેલો જુએ છે અને સઘળું મારામાં સમાયેલું છે તેમ માને છે તે મારાથી અદ્રશ્ય નથી અને હું તેનાથી અદ્રશ્ય નથી.’’ એક પરમાત્મા બધામાં કઈ રીતે વ્યાપેલા હોય? અને બધું પરમાત્મામાં સમાયેલું છે એવું કઈ રીતે બને ? કાંઈક અટપટું લાગે એવું છે પણ થોડુંક વિચારીએ તો સાવ સરળ વાત છે. પૃથ્વી ખૂબ વિશાળ છે, પણ તેનું નાના ટુકડાઓમાં વિભાજન કરીએ તો નાનામાં નાની અતિ સૂક્ષ્મ રજકણ આખરે તો પૃથ્વીનો જ ભાગ છે, વળી એ બધી રજકણો અંતે તો પૃથ્વીમાં જ સમાયેલી છે.
એવી જ રીતે અફાટ મહાસાગરનું નાના ટુકડાઓમાં વિભાજન કરીએ તો નાનામાં નાનું અતિ સૂક્ષ્મ જળબિંદુ આખરે તો મહાસાગરનો જ ભાગ છે અને તે તમામ જળબિંદુઓ અંતે તો મહાસાગરમાં જ સમાયેલાં છે. આમ પરમાત્મા, પૃથ્વી અને મહાસાગર સમાન વિરાટ સ્વરૂપ છે અને આત્મા રજકણ કે જળબિંદુ સમાન તેમનો નાનકડો અંશ છે. ખુદ શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૦મા અધ્યાયમાં કહ્યું છેઃ
‘‘અહમાત્મા ગુડાકેશઃ, સર્વભૂતાશયસ્થિતઃ,
અહમાદિશ્ચ મધ્યં ચ ભૂતાનામ્ અન્ત એવ ચ .’’ ( ગીતા ૧૦ - ૨૦ )
‘‘હે અર્જુન ! સૌ પ્રાણીઓમાં રહેલો આત્મા હું જ છું. તમામ પ્રાણીઓનો આદિ, મધ્ય અને અંત હું છું.’’ આમ આત્મા એ પરમાત્માનું જ સ્વરૂપ છે.
આત્મા શરીરમાં રહેલો છે એવી ઉપરછલ્લી માહિતીથી આપણે વાકેફ છીએ. શરીરશાસ્ત્રના નિષ્ણાતોએ આપણા શરીરનો નાનામાં નાનો ભાગ જોઈ લીધો છે, પણ કોઈએ ક્યાંય આત્માને જોયાનો દાવો કર્યો નથી. એટલે જો આત્મા શરીરમાં રહેતો હોય તો એ અદ્રશ્ય છે એમ માનવું પડે. ફૂલોમાં રહેલી અદભુત સુગંધ,પવનની ઠંડી મીઠી લહેર, અગ્નિમાં રહેલું તેજ, હૃદયનો આનંદ આ બધું અદ્રશ્ય છે, પણ અનુભવી શકાય છે. એવી જ રીતે પરમાત્મા અને આત્મા અદ્રશ્ય છે છતાં અદભુત સૃષ્ટિનું સર્જન કરનાર અને શરીરનું સંચાલન કરનાર કોઈક તત્ત્વ છે એટલું તો આપણે સ્વીકારવું પડે.
આપણા શરીરને તો આપણે ઓળખીએ છીએ. એ નાશવંત છે. બાળપણ, યુવાની અને ઘડપણ તથા છેવટે મૃત્યુ એ દરેક શરીર માટે નિશ્ચિત છે. આપણું મન એ આપણા મગજમાંથી સતત ઉત્પન્ન થતા તરંગો છે. શરીરની બધી ઇન્દ્રિયો મનને વશ છે. શરીર નાશવંત હોવા છતાં શરીરને વધુ ને વધુ સુખ સગવડ મળે એવા વિચારોમાં મન સતત ગૂંચવાયેલું રહે છે. આમ ને આમ જીવન વીતે છે. ભૌતિક સુખ, વૈભવ મેળવવા ક્યારેક મન ખોટાં કાર્યો કરવા પણ પ્રેરાય છે ત્યારે આપણા મનથી જુદું કોઈક તત્ત્વ, મનને નાશવંત શરીર માટે ખોટાં કાર્યો ન કરવા ચેતવે છે. ‘‘આવું ન કરાય’’ એવો કોઈક અવાજ આપણે આપણી અંદરથી સાંભળી શકીએ છીએ. અનુભવી શકીએ છીએ. એ અદભુત અનુભવ એ જ આત્માનો અવાજ. એ અવાજ સાંભળવા છતાં આપણું મન એ અવાજને અવગણે એ આપણું દુર્ભાગ્ય છે.
ભાવનગરના વિદ્વાન કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટે ‘‘હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ’’ નામના તેમના પુસ્તકમાં બે ઋષિ ભાઈઓની વાત લખી છે. બંને ભાઈઓના આશ્રમ પાસે પાસે હતા. બંને ખૂબ તપ કરતા. બંને વચ્ચે ખૂબ લાગણી હતી. એક દિવસ નાનો ભાઈ મોટા ભાઇને મળવા તેમના આશ્રમે જાય છે. મોટા ભાઈના આંબાવાડિયામાંથી પસાર થતાં એક સરસ પાકેલી કેરી જોઈ તે ખાવાનું મન થયું. ‘‘કોઈ સારી વસ્તુ જોઈને લલચાવું તે ઠીક ન ગણાય.’’ એમ અંદરથી આત્માનો અવાજ આવ્યો. નાનો ભાઈ મોટા ભાઈને મળવા ગયો.
તેઓ બહારગામ ગયેલા. એ જ રસ્તે પાછા ફરતાં ફરીથી પાકેલી કેરી જોઈ ખાવાનું મન થયું. આત્માએ રોકતાં, મને દલીલ કરીઃ ‘‘કુદરતે આવી સરસ વસ્તુ બનાવી છે તો ખાવામાં શો વાંધો ?’’ ફરી આત્માનો અવાજ આવ્યોઃ ‘‘મોટા ભાઈની રજા લીધા વિના તેમના આંબાવાડિયામાંથી કેરી ન તોડાય.’’ મને દલીલ કરીઃ ‘‘મોટા ભાઈ મને ક્યારેય ના ન પાડે, વળી એ તો બહારગામ ગયા છે.’’ આમ છેવટે મને આત્માના અવાજને ગણકાર્યો નહિ અને કોઈ જુએ નહિ તેમ કેરી તોડીને ખાઈ લીધી.
પોતાના આશ્રમે પાછા ફર્યા બાદ આત્માના અવાજને અવગણવા બદલ ખૂબ પસ્તાવો થયો. ક્યાંય ચેન પડતું ન હતું. બીજે દિવસ મોટા ભાઈ આવતાં બધી વાત કરી અને રાજા પાસે જઈ સજા માગવાની વાત કરી. મોટા ભાઈએ ખૂબ પ્રેમથી સમજાવ્યા, પણ ન માન્યા. બીજે દિવસ બંને ભાઈઓ રાજા પાસે ગયા. બધી વાત કરી. રાજાએ કહ્યું ‘‘એક કેરી તો મામૂલી ગણાય. વળી જેમના આંબામાંથી તોડી એ મોટા ભાઈ તો માફ કરે છે એટલે સજા ન કરાય.’’ નાના ભાઈએ કહ્યું ‘‘આત્માનો અવાજ ન ગણકારે તેનું પતન થાય માટે સજા તો થવી જ જોઈએ.’’ છેવટે સજા રૂપે નાના ભાઈના બંને હાથનાં કાંડાં કાપી નાખવામાં આવ્યાં.
એક નાનકડી કેરી માટે પોતાનાં કાંડાં કપાવવાની આકરી સજા સ્વેચ્છાએ ભોગવનાર માનવીને આત્માનું કેટલું બધું મહત્વ હશે ? આત્માનો અવાજ ન સાંભળીને મનને અસંયમી બનવા ન દેવાય. જો મન નિરંકુશ બને તો જેમ પવન હોડીને ગમે તે દિશામાં ઘસડી જાય તેમ ઇન્દ્રિયો બુદ્ધિને ઘસડી જાય (ગીતા ૨ - ૬૭ ).
મન અને આત્માના રસ્તા ભિન્ન છે. મન પતનને સરળ રસ્તે જવાનું પસંદ કરે છે, એ રસ્તો છેવટે દુઃખદાયી છે. જ્યારે આત્મા ઉન્નતિના કઠિન માર્ગે જવાનું પસંદ કરે છે. એ રસ્તો કઠિન હોવા છતાં છેવટે આનંદદાયક હોય છે. મનને માર્ગે ચાલનારને આપણે ‘‘ભોગી’’ તરીકે ઓળખીએ છીએ અને આત્માને માર્ગે ચાલનારને આપણે ‘‘યોગી’’ તરીકે ઓળખીએ છીએ. ખુદ શ્રીકૃષ્ણ ભગવાને છઠ્ઠા અધ્યાયમાં યોગીની ખૂબ પ્રશંસા કરી છે. એ ખાસ યાદ રાખવા જેવું છે.
| Comments |
|
|
||||||||



‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’