ૐ
શ્રીકૃષ્ણ ભગવાન મહાભારતનું સંભવિત યુદ્ધ અટકાવવા, તેઓ રાજાઓ કરતાં પણ શ્રેષ્ઠ હોવા છતાં શાંતિદૂત તરીકે હસ્તિનાપુર ગયા. યુદ્ધથી થનાર ભયંકર જાનહાનિ અને સંપત્તિના નુકસાન બાબત અનેક રીતે સમજાવવા છતાં દુર્યોધન ન સમજ્યો. પાંડવોને તેમના હક્ક અનુસાર અડધું રાજ્ય તો ઠીક, પાંચ ગામ આપવાની પણ તેણે સ્પષ્ટ ના પાડી.
એ જમાનામાં યુદ્ધ પ્રસંગે કોઈ રાજવી મદદ માગે તો ના પડાતી નહિ એટલે દુર્યોધને શ્રીકૃષ્ણ ભગવાનને કેદ પકડવાની ધૃષ્ટતા કર્યા પછી પણ મહાભારતના સંભવિત યુદ્ધ સમયે પોતાને મદદ કરવાની માગણી કરવા તે કોઈ શરમસંકોચ વિના દ્વારિકા ગયો. એ જ સમયે અર્જુન પણ તે જ હેતુથી દ્વારિકા ગયેલા. બંનેની વાત સાંભળી શ્રીકૃષ્ણ ભગવાને બંનેને મદદ કરવાની હા પાડી, પણ એક શરત કરી કે એક પક્ષે હું અને બીજે પક્ષે યાદવોની સેના રહેશે. વળી હું મહાભારતના યુદ્ધ દરમિયાન શસ્ત્ર ગ્રહણ નહિ કરું. પહેલાં અર્જુન માગણી કરે, એમ નક્કી કર્યું. દુર્યોધને કમને હા પાડવી પડી.
અર્જુને બે હાથ જોડી ખૂબ નમ્રતાથી કહ્યું ‘‘પ્રભુ ! આપ અમારે પક્ષે રહો.’’
શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને ફરીથી વિચારવા કહ્યું ‘‘અર્જુન ! હું તો શસ્ત્રવિહોણો જ રહેવાનો છું.’’
અર્જુને ફરીથી ખૂબ નમ્રતાથી કહ્યું ‘‘પ્રભુ ! આપ અમારી સાથે રહો, એથી વિશેષ કોઈ અપેક્ષા નથી.’’
યાદવોની સેના મળવાથી દુર્યોધન ખુશ થઈને વિદાય થયો. પછી અર્જુને શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યું:
‘‘પ્રભુ ! એક નાનકડી વિનંતિ કરું? યુદ્ધ દરમિયાન આપ મારા સારથિ બનો, એવી મારી પ્રાર્થના છે.’’ શ્રીકૃષ્ણ ભગવાને કારણ પૂછતાં અર્જુને કહ્યું ‘‘યુદ્ધ દરમિયાન કાંઈ મૂંઝવણ થાય તો આપનું માર્ગદર્શન મેળવી શકું અને યુદ્ધ દરમિયાન મારું મૃત્યુ થાય તો અંતિમ સમયે આપનાં દર્શન કરી શકું. જીવનની અંતિમ પળ સુધી આપ મારી પાસે હો એમ ઇચ્છું છું.’’
અર્જુનની ભક્તિભરી વિનમ્ર પ્રાર્થના પ્રભુએ સ્વીકારી.
ઉપરના તમામ પ્રસંગો શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના ઉદભવ માટે મહત્વના છે. જો શાંતિદૂત શ્રીકૃષ્ણ ભગવાનની વાત માનીને દુર્યોધને પાંડવોને તેમનો વાજબી રાજ્યભાગ આપ્યો હોત તો મહાભારત યુદ્ધનો પ્રશ્ન જ ન રહેત અને ગીતાજીનો પ્રસંગ ન બનત. શ્રીકૃષ્ણ ભગવાનની મદદ માગતી વખતે અર્જુને યાદવોની નારાયણી સેના માગી હોત તો પણ શ્રીકૃષ્ણ ભગવાનની અનુપસ્થિતિમાં ગીતાજીનો પ્રસંગ ન બનત. અર્જુને ભક્તિભાવે શ્રીકૃષ્ણ ભગવાનને સારથિ બનવાની વિનંતિ ન કરી હોત કે એ કર્યા પછી પણ શ્રીકૃષ્ણ ભગવાને કોઈ પણ કારણે એ વિનંતી નકારી હોત તો પણ ગીતાજીનો પ્રસંગ ન બનત.
સુંદર ચાર શ્વેત અશ્વો જોડેલા રથને શ્રીકૃષ્ણ ભગવાન યુદ્ધ માટે તૈયાર ઊભેલાં બે સૈન્યો વચ્ચે લાવીને ઊભો રાખે છે, ત્યારે બંને પક્ષે પોતાના અંગત સ્વજનોને જોઈને, અર્જુન વિષાદથી ઘેરાઈ જાય છે અને કહે છેઃ ‘‘હે શ્રીકૃષ્ણ ! પૂજા કરવા યોગ્ય વડીલોને હણીને હું રાજ્ય મેળવવા ઇચ્છતો નથી, તેથી હું યુદ્ધ નહીં કરું.’’ ત્યારે ‘‘યુદ્ધ ન કરવું કે કરવું’’ એ મહત્વના વિષય પર શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને જે ઉપદેશ આપ્યો તે શ્રીમદ્ ભગવદ્ ગીતા.
શ્રીકૃષ્ણ ભગવાને સમજાવ્યું ‘‘હે અર્જુન ! આત્મા અમર છે, તેથી ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ કે અન્ય કોઈને તું હણવાનો નથી, જો શરીરની દ્રષ્ટિએ વિચારતો હો તો શરીર તો નાશવંત છે જ, તું યુદ્ધ નહીં કરે તો પણ એ નાશ પામવાના છે, જો યુદ્ધમાં તારું મૃત્યુ થશે તો સ્વર્ગ પામીશ અને જીતીશ તો રાજ્ય પામીશ. યુદ્ધ નહીં કરે તો લોકો તને કાયર માનશે, તારી અપકીર્તિ થશે, જે યોગ્ય નથી. આમ બધી રીતે વિચાર કરતાં યુદ્ધ ન કરવા કરતાં યુદ્ધ કરવું એ જ તારે માટે હિતાવહ છે. એટલું જ નહીં પણ તમારો પાંડવોનો અધિકાર છીનવીને કૌરવોએ તમને અન્યાય કર્યો છે, ભીષ્મ, દ્રોણ, કર્ણ વગેરે તેમને સાથ આપે છે. અન્યાય સહન કરવો એ કાયરતા છે, અધર્મ છે, એની સામે લડવું જ જોઈએ.’’
‘‘અન્યાયનો પ્રતિકાર કરવો એ તારું કર્તવ્ય છે. યુદ્ધમાં જીતીશ કે હારીશ, રાજ્ય મળશે કે મૃત્યુ થશે, યશ મળશે કે અપયશ મળશે એવા કોઈ જ ફળની આશા વગર સંપૂર્ણ નિષ્કામ ભાવે કર્મ કરવું જરૂરી છે. આમ કરવાથી તને કોઈ દોષ નહીં લાગે. માટે સંપૂર્ણ વિચાર કરીને યુદ્ધ કરવા માટે તું ઊભો થા.’’ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને ઉપર મુજબનો ઉપદેશ આશરે પાંચ હજાર વર્ષ પહેલાં મહાભારતના રણમેદાન પર આપેલો, પરંતુ આજે પાંચ હજાર વર્ષ પછી જ્યારે આપણે કોઈ સામે લડવાનું નથી ત્યારે આપણને એ ઉપદેશ શું ઉપયોગી છે?
ગીતાજીનું મહત્વ આ જ છે. એ સમયથી પર છે. એ ઉપદેશ ફક્ત અર્જુન માટે નથી, કોઈ ક્ષત્રિય માટે નથી, કોઈ ચોક્કસ ધર્મના લોકો માટે નથી, કોઈ ચોક્કસ દેશના લોકો માટે નથી. સ્ત્રી, પુરુષ, નાત, જાત, ધર્મ કે દેશ એવા કોઈ જ વાડા વિના, સમયના કોઈ જ બંધન વિના, સદા સર્વદા ઉપયોગી એવો એ ઉપદેશ છે. અન્યાય ક્યારેય સહન ન કરવો, કોઈનો અન્યાય સહન ન કરવો, ગૌરવથી માથું ઊંચું રાખીને જ જીવવું, યુદ્ધ કરવાની જરૂર પડે તો યુદ્ધ પણ કરવું, સામનો કરવા જતાં કદાચ મૃત્યુ થાય તો પણ હસતાં હસતાં મૃત્યુ પામવું, એ જ જીવનનો પરમ ધર્મ છે. આવો ખુમારી ભર્યો સંદેશ, ખુદ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાને સમગ્ર જગતને આપ્યો છે.
યુદ્ધ કરવું એટલે હથિયાર લઈને જ લડાઈ કરવી એવું જરૂરી નથી. અન્યાયનો જ્યાં જે રીતે વિરોધ કરવો જરૂરી લાગે તે રીતે વિરોધ કરવો જોઈએ. એમ કરવા જતાં કોઈને ખરાબ લાગશે, આર્થિક નુકસાન થશે, બદલી થઈ જશે, નોકરી જશે, અપયશ મળશે, લોકો શું કહેશે એવું બધું ન વિચારાય. અતિ વિચારમાંથી જ નબળાઈ જન્મે છે. આપણી વાત સાચી હોવી જોઈએ અને સત્યને માટે કોઈ પણ ભોગ આપવાની આપણી તૈયારી હોવી જોઈએ.
દુનિયામાં આપણો કોઈ દુશ્મન ન હોય, કોઈ આપણને પરેશાન ન કરતું હોય તો યુદ્ધ કરવાનો પ્રશ્ન જ ન રહે, પરંતુ દરેક માનવીને એક છૂપો દુશ્મન હોય જ છે, એ દુશ્મન એટલે આપણું પોતાનું મન. તે સતત આપણું પતન થાય, એવા પ્રયત્ન કર્યા જ કરે છે, પરંતુ આપણને પતન ગમે છે એટલે આંખ મિંચામણાં કરીએ છીએ. આપણા મન સાથે અવિરામ યુદ્ધ કરીને, આપણી ખામીઓ આપણે જ દૂર કરી શકીએ.
એક કવિએ બહુ સરસ લખ્યું છેઃ
‘‘ફરિસ્તેસે બહેતર હૈ ઇન્સાન બનના, મગર ઇસમેં પડતી હૈ મહેનત જ્યાદા.’’
પોતાના અવગુણો સામે લડીને માનવી બનવું બહુ અઘરું છે. યુદ્ધ કર્યા વિના હાર સ્વીકારી લેવાની શ્રીકૃષ્ણ ભગવાને ના પાડી છે એટલે આપણે પણ આપણા મન સાથે યુદ્ધ કરવું જ જોઈએ. કદાચ થાકી જઈએ તો પરમાત્માની મદદ માટે તેમને શરણે જવું જોઈએ. આપણા મનના બેકાબૂ ઘોડાને વશ કરવા તેની લગામ શ્રીકૃષ્ણ ભગવાનને સોંપી દેવી જોઈએ. પરમાત્મા ચોક્કસ મદદ કરશે.
| Comments |
|
|
||||||||


‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’