ૐ
શ્રીકૃષ્ણ ભગવાનનો પ્રાગટ્યદિન ચીલાચાલુ રીતે ઊજવવાને બદલે એટલે કે ફક્ત આપણા આનંદને ધ્યાનમાં રાખીને ઊજવવાને બદલે, બીજાના જીવનમાં આનંદ પ્રગટાવી શકાય તે રીતે ઊજવીએ તો સ્વાભાવિક રીતે જ પરમાત્મા પ્રસન્ન થાય.
રક્તદાન તથા ચક્ષુદાન એ તનથી થતી ઉત્તમ સેવા હોવા છતાં અને સેવાની ભાવના હોવા છતાં ક્યારેક એ શક્ય નથી બનતી. કોઈ અન્ય બીમારી, શારીરિક દુર્બળતા કે મોટી ઉંમરને કારણે ડોક્ટરો રક્તદાન કરવાની ના પાડે છે. એવી જ રીતે આંખની કોઈ તકલીફ કે અન્ય બીમારીને કારણે ક્યારેક ચક્ષુદાન પણ શક્ય નથી બનતું. વળી મૃત્યુ કેવા સંજોગોમાં થશે, ક્યાં થશે? એ તો કોઈને ખબર નથી. શુભ સંકલ્પ હોય તો પણ અમુક સંજોગોમાં ચક્ષુદાન શક્ય ન બને તો સેવા કરવા શું કરવું ? નિરાશ થવાની જરૂર નથી. પરમાત્માની પૂજા કરવાના અનેક રસ્તા છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાર બે જ શબ્દોમાં વર્ણવવાનું કોઈ કહે તો ‘‘નિષ્કામ કર્મ’’ શબ્દો દ્વારા વર્ણવી શકાય. ‘‘નિષ્કામ કર્મ’’ કોને કહેવાય એ જેમણે પોતાના આચરણ દ્વારા સમાજને સમજાવ્યું છે એવા પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય સદ્ ગુરુશ્રી રણછોડદાસજી મહારાજ, મહાત્મા ગાંધીજી, પરમ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ વગેરે મહાનુભાવોનાં જીવન વિષે જાણવું જોઈએ. આપણે તેમના જેવા મહાન ન થઈ શકીએ તો વાંધો નહિ, પરંતુ તેમના ચીંધેલા માર્ગે થોડુંક ચાલીએ તો પણ પરમાત્મા જરૂર પ્રસન્ન થાય.
પરમ સંત શ્રી રણછોડદાસજી મહારાજે ભૂખ્યાને અન્ન આપવા માટે બિહારમાં દુષ્કાળ રાહત કેમ્પ શરૂ કરેલો તેનું વર્ણન કરતું ‘‘માનવ દ્રષ્ટિ’’ નામનું પુસ્તક દરેકે વાંચવા જેવું છે. દરરોજ પાંત્રીસ હજાર માણસોને જમાડવામાં આવતા. છ મહિના કેમ્પ ચાલ્યો. અનેક ગરીબ પુરુષોને ધોતી અને સ્ત્રીઓને સાડી આપવામાં આવ્યાં. જેમની પોતાની પાસે ધન ન હતું એવા એક પવિત્ર સંતે નિઃસ્વાર્થભાવે સેવાની જ્યોત પ્રગટાવી. તેમણે અનેક નેત્રયજ્ઞો કર્યા અને તન, મન, ધનથી દરિદ્રનારાયણની સેવા કરવા જનસમાજને ઉપદેશ આપ્યો. તેમના ઉપદેશ અનુસાર શ્રીમંત વ્યક્તિ યથાશક્તિ ધનનું દાન કરે, શ્રીમંત ન હોય તે પોતાના મોજશોખમાં થોડો કાપ મૂકીને સિનેમાની એકાદ ટિકિટ જેટલું કે સિગારેટના એકાદ પાકીટની કિંમત જેટલું દાન કરે, કાંઈ દાન ન આપી શકે તે તનથી શક્ય હોય તેટલી સેવા કરે, જેમ કે દુષ્કાળ રાહત કેમ્પમાં રસોઈ બનાવવી, ભૂખ્યાને પ્રેમથી જમાડવાનું કામ કરવું અને એ પણ શક્ય ન હોય તે મનથી પ્રભુની પ્રાર્થના કરી બીજાનું ભલું ઇચ્છે.
મહાત્મા ગાંધીજીના જીવનથી તો આપણે સૌ પરિચિત છીએ. અનેક યાતનાઓ વેઠીને, સંપૂર્ણ અહિંસક રીતે ભારતને આઝાદી અપાવનાર એ વિશ્વવંદ્ય વિભૂતિનું નામ દુનિયામાં અમર થઈ ગયું. દેશના ગરીબ લોકોને પહેરવા પૂરતાં વસ્ત્રો ન મળતાં હોય તો મારે સંપૂર્ણ સાદાઈથી જ જીવવું જોઈએ એમ માનનાર એ મહાનુભાવે જિંદગીભર ટૂંકી પોતડી પહેરી એટલે તો તેમને લોકોએ પ્રેમથી ‘‘મહાત્મા’’ કહ્યા. બુદ્ધ, ઈશુ અને મહાવીર સ્વામીનો અવતાર ગણાતા એ મહાત્મા સત્ય, અહિંસા અને પ્રેમના સાચા ઉપાસક હતા. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઊંડો અભ્યાસ કરી તેઓ ‘‘નિષ્કામ’’ બન્યા. ભારતનું સર્વોચ્ચ પદ તેમને સહેલાઈથી મળે તેમ હતું, પરંતુ તેમણે તે ન સ્વીકાર્યું. ગીતાના અનાસક્તિ યોગ વિષે લખનારે તેનું આચરણ કર્યું.
એવી જ રીતે પરમ પૂજ્ય રવિશંકરદાદાએ કોઈ આર્થિક લાભ કે યશ મેળવવાની અપેક્ષા વિના અનેક અભણ અને ગરીબ માનવીઓની સેવા કરી. અનેક તકલીફો વેઠી ગામેગામ પગપાળા ફરીને, ચોરીને સ્વાભાવિક ગણતા માનવીઓને સુધારવા શું શું કર્યું એ તો ‘‘માણસાઈના દીવા’’ પુસ્તક વાંચીએ ત્યારે જ સમજાય. કોઈ સાધારણ માનવીના મૃત્યુ પ્રસંગે પણ કોઈ હાસ્યલેખ ન લખે, પરંતુ આપણા વિદ્વાન હાસ્યલેખક શ્રી બકુલભાઈ ત્રિપાઠીએ હાસ્યલેખ દ્વારા તેમની અનોખી શૈલીમાં આ અસામાન્ય ‘‘મૂઠી ઊંચેરા માનવી’’ને ભવ્ય અંજલિ આપતાં લખેલું કેઃ ‘‘દરરોજ એક મહારાજ મરી જાય તો નિશાળમાં કાયમ રજા પડી જાય તો કેવી મજા પડે !’’ એવી બાળસુલભ વાતનો મા જવાબ આપે છેઃ ‘‘બેટા ! ગુજરાતમાં એટલા મહારાજ નથી. પરમ પૂજ્ય રવિશંકરદાદા એક જ મહારાજ હતા, જે નિષ્કામ સેવક હતા.’’
લશ્કરના જવાનો, સ્વામીનારાયણ સંપ્રદાયના અનેક અનુયાયીઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનેક કાર્યકરો, અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો કુદરતી આફત વખતે દરિદ્રનારાયણની સેવા દ્વારા નારાયણની સેવા કરે છે. ૧૯૭૯ની મોરબીની જળ હોનારત, ૧૯૯૮નું કંડલા બંદર પર ત્રાટકેલું વાવાઝોડું અને ૨૦૦૧માં કચ્છમાં ભીષણ તારાજી સર્જનાર ભૂકંપ જેવી કુદરતી આફતો વખતે આ સૌ નામી, અનામી સજ્જનોએ કોઈ યશની કે આર્થિક લાભની આશા વિના, ફક્ત સેવાની ભાવનાથી કરેલી સેવા ખૂબ જ પ્રશંસનીય અને નોંધપાત્ર છે એ નિર્વિવાદ છે. જન્માષ્ટમીને દિવસે આપણે પણ આવી નિઃસ્વાર્થ સેવા કરવાનો સંકલ્પ કરીએ તો કેવું સારું.
ભાવનગરના સુપ્રસિધ્ધ ભક્તકવિ શ્રી દુલાભાઈ કાગે બહુ સરસ પંક્તિઓ લખી છેઃ
‘‘ધરે થાળ પૂજારી ત્યાં બેઉ સમે,
વ્હાલો એકલો એકલો કેમ જમે?
એવું દીનદયાળુને કેમ ગમે ?
મારા ઠાકોરની જુઓ પાછળથી, ભૂખ્યાં પ્રેત સમાં કોઈ હાથ ધરે,
જેનાં ભૂખથી પેટ પતાળ પૂગ્યાં, મને મંદિરમાં નજરે ઇ તરે.’’
આપણે જે કાંઈ જમીએ તે પ્રભુને ધરીને તેમના પ્રસાદ રૂપે જમીએ એ શુભ ભાવનાથી પ્રભુને મંદિરે તથા ઘરમાં થાળ ધરાતો. પ્રભુને એકલા એકલા જમવું ગમતું નથી એટલે પ્રભુએ જે કાંઈ આપણને આપ્યું છે તેમાંથી થોડુંક અન્ન ભૂખ્યાં માનવીને તથા ગાય, કાગડા અને કૂતરાંને આપીને પછી આપણે જમવાની પ્રથા હતી. એ પ્રથા હવે બહુ ઓછા ઘરમાં રહી હશે. સૌમાં પ્રભુને જોવાની પવિત્ર ભાવના સભર એ ઉત્તમ પ્રણાલી ભુલાઈ ગઈ. આપણે વધુ પડતા સ્વાર્થી થઈ ગયા. પરમાત્માની અસીમ કૃપાથી આપણને બે ટંક નિરાંતે જમવા મળે છે, પરંતુ એવા કેટલાય અભાગી માનવીઓ છે જેમને બે ટંક પૂરું જમવાનું મળતું નથી એ ભૂલવું ન જોઈએ. આળસુ માણસોને મફત ભોજન કરાવવાની જરૂર નથી, પણ મહેનતકશ માનવીને કે વૃદ્ધ, અશક્ત લાચાર માનવીને ભીખ માગવી ન પડે એવું થવું જોઈએ.
વળી આપણું પોતાનું મકાન હોય કે ભાડે રહેતા હોઈએ તો પણ આપણા ઉપર નાની કે મોટી છત હોય છે, ચાર દીવાલ હોય છે. જે ટાઢ, તડકો અને વરસાદથી આપણું રક્ષણ કરે છે. બીજી બાજુ અનેક હતભાગી માનવીઓને શિયાળામાં કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર, ટૂંટિયું વાળીને સૂવું પડે છે. ઉનાળામાં ધગધગતી સડકો પર ખુલ્લા પગે ચાલવું પડે છે અને ધોધમાર વરસતા વરસાદમાં ક્યાં જવું એ વિચાર મૂંઝવે છે.
પથ્થરની મૂર્તિ માટે આપણે આરસનાં મંદિરો બંધાવીએ છીએ, પરંતુ જીવતાજાગતા ભગવાનને માટે આપણે કશું ન કરી શકીએ? આરસમાંથી કંડારેલી અને સોને મઢેલી પ્રભુની મૂર્તિનાં દર્શન કરી આપણે ધન્યતા અનુભવીએ છીએ, પરંતુ જીવતા મનુષ્યોને ફૂટપાથ પર સૂતેલાં જોઈને આપણે વ્યગ્રતા અનુભવતા નથી. ભારતમાં બંધાતાં અનેક ભવ્ય મંદિરો જોતાં ધનની કમી નથી. મંદિરો બંધાય તેમાં કશું ખોટું નથી, પરંતુ વિશાળ મંદિરોમાં આવા માનવીઓને આશરો મળે, કોઈને ફૂટપાથ પર સૂવું ન પડે એવી કોઈક યોજના, સંતો, મહંતો અને પ્રજાના આગેવાનો વિચારે તો કેવું સારું ! પરમાત્મા મંદિરની બહાર પણ છે એ આપણે ક્યારે વિચારીશું ?
| Comments |
|
|
||||||||


‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’