ૐ
શ્રીકૃષ્ણ ભગવાન, આ નામ જ એવું મધુર છે કે હજારો વર્ષ વીતી જવા છતાં આજે પણ એની મધુરતા લોકમાનસ પર ગજબ છવાયેલી છે. ‘‘શ્રીકૃષ્ણમ્ વંદે જગદ્ ગુરુમ્’’ નામના પુસ્તકમાં આપણા વિદ્વાન લેખક શ્રી દિનકરભાઈ જોષીએ બહુ સરસ વાત લખી છેઃ- સેંકડો વર્ષોથી, સેંકડો લેખકોએ, સેંકડો પુસ્તકો શ્રીકૃષ્ણ જીવન દર્શન વિષે લખ્યાં છે અને હજીએ લખાતાં જ રહેશે.- કેમ કે એ નામની મધુરતા જ કંઇંક અનેરી છે. એટલે તો પુષ્ટિમાર્ગના પ્રણેતા મહાપ્રભુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ સુંદર પંક્તિઓ લખી છેઃ
‘‘અધરં મધુરં, વદનં મધુરં, નયનં મધુરં, હસિતં મધુરં,
હૃદયં મધુરં, ગમનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરં.’’
શ્રીકૃષ્ણની મધુર છબી લોકોનાં હૃદયમાં એવી સરસ રીતે કોતરાઈ ગઈ છે કે લોકો પોતાનો પ્રેમ, પોતાનો આનંદ, પોતાની ભક્તિ વ્યક્ત કરવા દર વર્ષે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરે છે.
સામાન્ય રીતે શહેરના જુદા જુદા ચોકમાં, જુદા જુદા પ્રસંગોને અનુરૂપ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિઓ મૂકવામાં આવે છે. ક્યાંક ભવ્ય કટઆઉટ્સ મુકાય છે. શોભાયાત્રા ગોઠવાય છે, જે શહેરના જુદા જુદા માર્ગો પર ફરી શ્રીકૃષ્ણ ભક્તિનો સંદેશ ફેલાવે છે.
જન્માષ્ટમી નિમિત્તે આપણે અપવાસ કરી, (અપવાસ એટલે દૂર બેસવું અને ઉપવાસ એટલે- નજીક બેસવું --- એટલે કે આપણે પ્રભુથી દૂર રહી ) પ્રભુને પ્રસન્ન કરવા વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ ફરાળ (ફલાહાર નહીં) રૂપે આરોગી, આપણા શરીરમાં રહેલા ભગવાનને ખુશ કર્યાનો આનંદ માણીએ છીએ. સાંજે મેળામાં આનંદ માણવા જવાનું, રાત્રે શહેરના જુદા જુદા ભાગમાં ભભકાદાર રોશની કરેલી હોય તે જોવા જઈએ અને છેલ્લે હવેલીમાં કે અન્ય મંદિરમાં રાત્રે ૧૨ વાગ્યે, હૈયેહૈયું દળાય એવી ભીડમાં પણ ધક્કામુક્કી વચ્ચે પરમાત્માનાં દર્શન કરી ધન્યતા અનુભવીએ અને પીડિતોના ઉદ્ધારક જન્મી ચૂક્યા છે એ આશ્વાસન સાથે ઘેર જઈ સૂઈ જઈએ. બસ, જન્માષ્ટમી ઊજવાઈ ગઈ.
આ થઈ આપણી ચીલાચાલુ ઉજવણી. એમાં ભક્તિ છે, આનંદ છે, ઉલ્લાસ છે, ઉમંગ છે, કળા છે, ઘણું બધું છે, છતાં કાંઈક ખૂટે છે. જેનો જીવનસંદેશ ફેલાવવા શોભાયાત્રા યોજી એનો સંદેશ આપણે સમજ્યા છીએ?
શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતા દ્વારા નિષ્કામ કર્મયોગનો સંદેશ જગતને આપ્યો. ગીતાના બીજા અધ્યાયના શ્લોક નં. ૪૭માં કહ્યું કે, ‘‘કર્મ પૂરતો જ તારો અધિકાર છે, તેમાંથી નીપજતા ફળની તારા અધિકારની વાત નથી, અમુક ફળ મને મળો એવી આસક્તિ ન રાખ.’’ તેમ જ ૧૭મા અધ્યાયના શ્લોક નં. ૨૦ દ્વારા સાત્વિક દાનની વ્યાખ્યા સમજાવતાં કહ્યું કે, ‘‘પોતા ઉપર ઉપકાર ન કરનારા તથા બદલો ન વાળી શકે એવાને, આશા વિના જે દાન અપાય તેને સાત્વિક દાન કહ્યું છે.’’
જન્માષ્ટમીના શુભદિને શ્રીકૃષ્ણ ભગવાન પ્રસન્ન થાય એવું, અંગત સ્વાર્થ વિનાનું, કોઈ નિષ્કામ કર્મ આપણે કર્યું ? દુનિયાના દરેક ગરીબ માનવીને મદદ કરવા આપણે અસમર્થ છીએ, પણ એકાદ ભૂખ્યા માનવીને થોડુંક અન્ન તો આપી શકીએ ને !. કોઈને નવાં વસ્ત્રો કદાચ ન આપી શકીએ, પણ એકાદ જૂનું વસ્ત્ર તો આપી શકીએ ને !. કદાચ એટલું પણ ન કરી શકીએ તો પણ ફૂટપાથ પર સૂતેલા માનવીને જોઈ, આવા હતભાગી લોકોનાં દુઃખ દૂર કરવા પરમાત્માને સાચા અંતરથી પ્રાર્થના તો કરી શકીએ ને !.
વળી છઠ્ઠા અધ્યાયના ૩૦મા શ્લોકમાં તો ગજબ વાત કહી દીધીઃ
‘‘યો મામ્ પશ્યતિ સર્વત્ર, સર્વં ચ મયિ પશ્યતિ,
તસ્યાહં ન પ્રણશ્યામિ, સ ચ મે ન પ્રણશ્યતિ.’’
‘‘જે મને સર્વત્ર જુએ છે અને સર્વમાં હું જ છું તેમ જુએ છે તે મનુષ્ય માટે હું અદ્રશ્ય રહેતો નથી અને તે મારાથી અદ્રશ્ય રહેતો નથી.’’ જો આ એક જ શ્લોક બરાબર સમજીએ તો પરમાત્મા બધામાં વ્યાપેલા છે એટલે હું કોઈનું દુઃખ દૂર ન કરી શકું તો કાંઈ નહિ, પણ મારાથી કોઈનું અહિત કરાય નહિ, કોઈને છેતરાય નહિ, કોઈને દુઃખ થાય એવું વર્તન કરાય નહિ, કોઈની પાસેથી લાંચ મગાય નહિ એટલું જરૂર સમજી શકીએ. હું મારું આચરણ વધુ ને વધુ સારું કરું, મારી ફરજ વધુ ને વધુ સારી રીતે બજાવું એવો શુભ સંકલ્પ જન્માષ્ટમીને દિવસે કરીએ તો જન્માષ્ટમીની ઉજવણી સાર્થક ગણાય.
જન્માષ્ટમીએ સુંદર સુગંધી પુષ્પો પ્રભુનાં ચરણકમળમાં ધરીને આનંદ અનુભવીએ, પરંતુ સાથોસાથ એ શુભદિને રક્તદાન દ્વારા આપણું થોડુંક લોહી, પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં કોઈક અજાણ્યા દરદીનું કલ્યાણ થાય એવી શુભ ભાવનાથી, પ્રભુચરણે ધરીએ તો પરમ આનંદનો અનુભવ કરી શકીએ. નિષ્કામ કર્મ રૂપે પ્રભુની સાચી પૂજા કરી ગણાય અને પરમ આનંદ રૂપે પ્રભુનાં દર્શન કરી શકાય.
રક્તદાન કરવા માટે શ્રીમંત હોવું જરૂરી નથી. સામાન્ય તંદુરસ્તી સારી હોય તેવાં કોઈ પણ સ્ત્રી કે પુરુષ કોઈ જાતના ડર વિના દર ત્રણ મહિને સ્વૈચ્છિક રક્તદાન કરી શકે. શરીરમાં લોહી બનવાની પ્રક્રિયા કુદરતી રીતે ચાલતી રહે છે તેથી હકીકતમાં આપણે કાંઈ જ ગુમાવતા નથી. ઉલ્ટું નવું લોહી બનવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વઘે છે. જરૂર છે ફક્ત બીજાને ઉપયોગી થવાની શુભ ભાવનાની. તમારા રક્તદાનથી કોઈ ઘરનો મોભી બચી જાય તો તમે ફક્ત એક માનવીને નથી બચાવતા, પરંતુ તેના કુટુંબને બચાવો છો. તેવી જ રીતે તમારા રક્તદાનથી કોઈ માતાને મોતના મુખમાંથી ઉગારી લ્યો તો માત્ર એક માતા નથી ઊગરી જતી પણ તેનાં વહાલસોયાં સંતાનોને તમે નમાયાં થતાં બચાવી લો છો. રક્તદાન દ્વારા કોઈ બાળકને બચાવી શકીએ તો તેનાં માબાપનું જીવન શૂન્ય થતું બચી જાય. આપણું થોડુંક લોહી કોઈ બુઝાતા દીપકને નવજીવન આપે એનો આનંદ પરમ આનંદ જ હોય ને ! એ જ સાચી પ્રભુની પૂજા છે.
મૃત્યુ પામનાર પ્રિય સ્વજન પ્રત્યે અપાર સ્નેહ હોય તો પણ કોઈ વ્યક્તિ પોતાના સ્વજનની આંખોને ડાબલીમાં સાચવી રાખતું નથી. જેને જોયા જ કરવાનું મન થાય એવી સુંદર અને લાગણી ભરી આંખોને મૃત્યુ બાદ અવારનવાર જોવા માટે કોઈ શો કેઇસમાં સાચવતું નથી. સ્નેહ અને સૌંદર્યના પ્રતીક સમી આંખો કાં તો અગ્નિમાં બળીને રાખ થાય છે અથવા માટીમાં મળી જાય છે. જન્માષ્ટમીના પવિત્ર દિવસે ચક્ષુદાનનો શુભ સંકલ્પ કરીએ તો આપણા મૃત્યુ બાદ કોઈક અંધ વ્યક્તિને આપણી આંખ મળે અને જીવનભર અંધકારમાં રહેવાને બદલે તેને અજવાળું મળી જાય.
રક્તદાનમાં સોય ખૂંચે એટલી વેદના બીજા માટે ખમવાની હોય છે, જ્યારે ચક્ષુદાનમાં તો મૃત્યુ પછી આંખ કાઢવાની હોય છે એટલે સાધારણ વેદના ભોગવવાનો પણ પ્રશ્ન નથી. વળી સંકલ્પ કર્યા પછી તરત મૃત્યુ થઈ જશે એવો ડર રાખવાની કોઈ જરૂર નથી. જરૂર છે ફક્ત બીજાને ઉપયોગી થવાની શુભ ભાવનાની. રક્તદાન કે ચક્ષુદાન પુણ્ય કમાવવાની ગણતરીથી કરવું નહિ, પરંતુ નિષ્કામ ભાવનાથી પ્રભુની પૂજારૂપે જ કરવું જોઈએ.
પીડિતોના ઉદ્ધારક શ્રીકૃષ્ણ ભગવાન મંદિરમાં જન્મ્યા નથી. એ તો કારાવાસના અંધકારમાં જ જન્મ્યા છે. આપણા સ્વાર્થી મનના અંધકારમાં જે દિવસ બીજાને ઉપયોગી થવાની શુભ ભાવના જાગશે અને આપણે સામાજિક ફરજ રૂપે નિયમિત રક્તદાન તેમ જ ચક્ષુદાનનો શુભ સંકલ્પ કરીશું તે દિવસ જન્માષ્ટમી હશે. આપણા હૃદયમાં પ્રભુ અવતરી ચૂક્યા હશે.
| Comments |
|
|
||||||||



‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’