ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

૩. પરમ તત્ત્વની વિશેષતા

શ્રીકૃષ્ણ ભગવાન અને અન્ય માનવીમાં શો ફેર ? એ સમજવા મહાભારતના અન્ય પાત્રો વિષે વિચારીએ. ‘‘શ્રીકૃષ્ણ ભગવાન’’ના વિરલ પાત્ર સિવાય બાકીનાં તમામ પાત્રોમાં કાંઈક ને કાંઈક ખૂટે છે એ આપોઆપ સ્પષ્ટ થઈ જશે અને પરમ તત્ત્વની મહત્તા સમજાઈ જશે.
મહાભારતમાં શ્રીકૃષ્ણ ભગવાન પછીનું કોઈ અત્યંત આદરણીય પાત્ર હોય તો એ છે ભીષ્મ પિતામહ. પવિત્ર ગંગામૈયાના એ પનોતા પુત્ર, પિતાના સુખ ખાતર આજીવન બ્રહ્મચર્ય પાળવાની ભીષ્મ પ્રતિજ્ઞા લેવાને કારણે જ ‘‘ભીષ્મ’’ કહેવાયા. હસ્તિનાપુરના રાજ્ય સિંહાસનને આજીવન વફાદાર રહેવાની પ્રતિજ્ઞા પણ તેમણે લીધી હતી, પરંતુ શાસકના અવિચારી કૃત્ય વખતે પણ મૌન રહેવું ઉચિત ન ગણાય તેમ છતાં હસ્તિનાપુરની રાજ્યસભામાં જ દુર્યોધનની સૂચના અનુસાર દુઃશાસન દ્વારા દ્રૌપદીના વસ્ત્રહરણની અત્યંત હીન અને અયોગ્ય ઘટનાને તેઓ રોકી ન શક્યા. દ્રૌપદીનું રક્ષણ કરવાને બદલે તેઓ ફક્ત પોતાની પ્રતિજ્ઞાને જ વળગી રહ્યા. મહાભારતના યુદ્ધ સમયે શ્રીકૃષ્ણ ભગવાને પણ શસ્ત્ર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા લીધેલી તેમ છતાં પાંડવોનું રક્ષણ કરવા, પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરીને પણ, તેઓ રથનું પૈડું હાથમાં ઉપાડીને ભીષ્મ પિતામહને મારવા ધસી ગયા હતા. ‘‘રથચરણપાણિ’’ની આ કથા મહાભારતના એક સુંદર પ્રસંગ રૂપે આલેખાયેલી છે.

અનેક યુદ્ધોમાં મહારથીઓને ધૂળ ચાટતા કરનાર મહાનુભાવ, દ્રઢ નિશ્ચયી, અત્યંત શૂરવીર અને પ્રતિભાશાળી હોવા છતાં, એક નિઃસહાય નારીની લાજ બચાવવા શસ્ત્ર ન ઉઠાવી શક્યા. કોઈ અજાણી સ્ત્રીની લાજ પણ બચાવવી જોઈએ, જ્યારે દ્રૌપદી તો તેમની પૌત્રવધૂ હોવાથી તેમની દીકરી સમાન હતી. તેમ છતાં પોતે પરમ વિદ્વાન તથા અધર્મ અને અન્યાયને રોકવા સમર્થ હોવા છતાં નિષ્ક્રિય રહ્યા. કોઈ પણ ભોગે નારીની શીલરક્ષા કરવી જ જોઈએ એવું ઉત્તમ જ્ઞાન હોવા છતાં તેમની નજર સમક્ષ બનતા હીન બનાવને રોકવા તેઓ કંઈ કરી ન શક્યા. ફક્ત માથું ઢાળીને બેસી રહ્યા. જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન રાજ્યસભામાં હાજર ન હતા તો પણ અદ્રશ્ય રહીને દ્રૌપદીનાં ચીર પૂરીને તેમણે તેના શીલની રક્ષા કરી. શ્રીકૃષ્ણ ભગવાન સર્વવ્યાપી અને સર્વ શક્તિમાન છે તેનું આ જ્વલંત ઉદાહરણ છે.

આચાર્ય દ્રોણ પણ શૂરવીર, વિદ્વાન અને પ્રતિભાશાળી હતા. ભૂતકાળમાં દ્રુપદ રાજાએ, એક શ્રીમંત રાજવી અને ગરીબ બ્રાહ્મણ વચ્ચે મિત્રતા ન હોઈ શકે એમ કહી તેમનું અપમાન કરેલું. પરિણામે અંગત દ્વેષથી પીડાતા આચાર્ય દ્રોણે કૌરવોનો રાજ્યાશ્રય સ્વીકાર્યો. અર્જુનને શસ્ત્રવિદ્યા શીખવી, તેના દ્વારા દ્રુપદરાજાને હરાવી, બંદીવાન બનાવ્યા ત્યારે તેમનો અહંકાર સંતોષાયો. પોતાનો પ્રિય શિષ્ય અર્જુન ધનુર્વિદ્યામાં શ્રેષ્ઠ રહે તેટલા માટે એકલવ્યને પોતે કોઈ જ વિદ્યા શીખવી ન હતી છતાં કહેવાતા ગુરુ તરીકે ગુરુદક્ષિણાને નામે એકલવ્યનો અંગૂઠો માગતાં તેઓ અચકાયા ન હતા. દ્રૌપદીના ચીરહરણના હીન બનાવ વખતે તેઓ રાજ્યસભામાં હાજર હતા.

દ્રૌપદી તેમના દુશ્મનની દીકરી હતી તો પણ એની શીલરક્ષા કરવાની તેમની નૈતિક ફરજ હતી. દુર્યોધન અને દુઃશાસનના ગુરુ તરીકે તેઓ આ હીન બનાવને રોકી શક્યા હોત. સમજાવટથી ન માને તો પોતે શસ્ત્રવિદ્યાના નિષ્ણાત હોવાથી શસ્ત્રો ઉઠાવી શક્યા હોત, પરંતુ તેમણે કંઈ કર્યું નહિ, ફક્ત મૂક પ્રેક્ષક બની રહ્યા. તેમને તો કોઈ પ્રતિજ્ઞાનું પણ બંધન ન હતું. આમ તેઓ કોઈ મહાનુભાવ નહિ, પણ લાચાર માનવી હતા. દ્રોણ અને દ્રુપદની મિત્રતા, સુદામા અને શ્રીકૃષ્ણ ભગવાનની મિત્રતા સાથે સરખાવવા જેવી છે. શ્રીકૃષ્ણ ભગવાનની મહત્તા આપોઆપ સમજાઈ જશે.

યુધિષ્ઠિર તો ધર્મરાજા કહેવાતા, પણ જુગારમાં પોતાની પત્નીને હોડમાં મૂકવાનું અવિચારી અને અઘટિત પગલું તેમણે ભર્યું. દ્રૌપદીની માનહાનિ માટેની સંપૂર્ણ જવાબદારી તેમની જ હતી. જુગારમાં ધન, રાજ્ય અને પોતાના ભાઈઓને હોડમાં મૂકી બધું હારી ગયા પછી પણ દ્રૌપદીને હોડમાં મૂકવાની શકુનિની અત્યંત હીન કક્ષાની માગણી તેમણે કેમ સ્વીકારી તે સમજાય તેમ નથી. એ જમાનામાં જુગાર સામાન્ય રમત ગણાતી હોય તો પણ પત્નીને હોડમાં મૂકવાની વાતને સામાન્ય ન ગણાય. કોઈ પણ સમજદાર વ્યક્તિ આવું પગલું ન ભરે. આવા બેજવાબદાર અને અવિચારી માનવીને ધર્મરાજા કહેવા એ ધર્મની મશ્કરી કરવા જેવું છે. વળી સત્યપ્રિય ગણાતા છતાં યુદ્ધમાં ગુરુ દ્રોણને શસ્ત્રો મુકાવવા ‘‘નરો વા કુંજરો વા’’ મનમાં કહીને અશ્વત્થામા મરાયો છે તેવી વાત કરી અર્ધસત્ય બોલ્યાનો સંતોષ માની અસત્ય બોલ્યા. આમ યુધિષ્ઠિર સામાન્ય માનવી જ હતા.

ભીમ, અર્જુન, સહદેવ અને નકુળ અત્યંત પરાક્રમી હતા છતાં મોટા ભાઈના અયોગ્ય આચરણને રોકી ન શક્યા. પત્નીને જુગારમાં હોડમાં ન મુકાય એવો વિરોધ કોઈએ ન કર્યો. મોટા ભાઈ સામે ન બોલાય એ માનમર્યાદા સારી છે, પણ આવા સમયે પણ ન બોલાય એ ફક્ત નબળાઈ સૂચવે છે. પરિણામે પાંચે પાંડવો અત્યંત શૂરવીર હોવા છતાં દાસત્વના હીન ખ્યાલથી પોતાની પત્નીનું રક્ષણ ન કરી શક્યા એ નિર્વિવાદ છે.

મહારથી કર્ણ મહાદાનેશ્વરી, અત્યંત તેજસ્વી અને સમર્થ યોદ્ધા હોવા છતાં ફક્ત દુર્યોધનની મિત્રતાને કારણે દ્રૌપદીનાં ચીરહરણ વખતે એ ઘૃણાજનક અને કરુણ પ્રસંગને અટકાવી ન શક્યા. પ્રતાપી હોવા છતાં મિત્રના અયોગ્ય કાર્યમાં સાથ આપનાર અને એક નારીની ભરસભામાં લાજ લૂંટાતી જોઈ રહેનારને મહાદાનેશ્વરી હોવા છતાં મહાન ન કહેવાય.

ધૃતરાષ્ટ્ર, શકુનિ અને દુર્યોધન તો રાજ્યલોભને કારણે કાવાદાવા કરવામાં તથા પાંડવોને મારી નાખવાના કે તેમનું રાજ્ય પડાવી લેવાના પ્રયત્નો કરવામાં મશગૂલ હતા જ, પરંતુ મોટા ભાઈની અયોગ્ય આજ્ઞા પણ પાળવી જ જોઈએ એ બિનજરૂરી હોવા છતાં દુઃશાસને દ્રૌપદીનાં ચીરહરણનો પ્રયત્ન કરી પોતાની અધમતાનું પ્રદર્શન કર્યું. સત્તાથી અંધ બનેલો માનવી કેટલી બધી હદ સુધી અધમ થઈ શકે એ વાત આ બધા ખલનાયકોએ આ કલંકકથા દ્વારા પુરવાર કરી.

શ્રીકૃષ્ણ સિવાય, મહાભારતની કથા પ્રતિભાશાળી માનવીઓનાં મૌન, શૂરવીરોની નિર્બળતા, ખલ રાજપુરુષોની કુટિલતા અને દુરાચારીની અધમતાની કથા છે. કાળને સમયનું કોઈ બંધન નથી એટલે આ કથા કોઈ ચોક્કસ સમયની નથી. યુગે યુગે મહાભારત સર્જાય છે, એટલે દરેક યુગમાં શ્રીકૃષ્ણની જરૂર છે જ.

‘‘હે અર્જુન ! જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મ ફેલાય છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. સજ્જનોનું રક્ષણ કરવા, દુષ્ટોનો સંહાર કરવા અને ધર્મની પુનઃ સ્થાપના કરવા યુગે યુગે હું જન્મું છું.’’ એમ કહેનાર શ્રીકૃષ્ણ ભગવાનના અવતરણનો શુભ દિવસ એ જન્માષ્ટમી. એ ભક્તિ, પ્રેમ અને ત્યાગનું પર્વ છે, શ્રીમદ્ ભગવદ્ ગીતાને સમજવા અને આચરણમાં મૂકવાનું પર્વ છે, જન્માષ્ટમીની ઉજવણી વિષે કાંઈક વિચારીએ.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

પણ ગમશે

ગીતાજી વિશે

‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’

ગીતાના સારને સરળ ભાષામાં રજૂ કરે છે. આ પુસ્તક...