ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

૨. પરમ તત્ત્વ - એક કે અનેક

શ્રીકૃષ્ણ ભગવાન પરમ તત્ત્વ છે, પરમાત્મા છે એ લેખ નં. (૧)માં આપણે જોયું. કરોડો માનવી દેવાધિદેવ મહાદેવજીની ઉપાસના કરે છે, કરોડો માનવી ભગવાન શ્રીરામને પરમ આદર્શ તત્ત્વ તરીકે પૂજે છે, કરોડો માનવી ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરે છે અને કરોડો માનવી શક્તિનાં વિવિધ સ્વરૂપોની સાધના કરે છે. તો શું પરમ તત્ત્વો અનેક છે?

હિન્દુ ધર્મગ્રંથોમાં, પરમાત્મા એક જ છે એવું ભારપૂર્વક કહેવાયું છે, છતાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય એવી ત્રણ પરિસ્થિતિને અનુલક્ષીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવાં ત્રણ સ્વરૂપની કલ્પના કરી છે, તેમાં પણ વિષ્ણુ ભગવાનના દશ અવતારની જુદી જુદી કથાઓ છે, જેમાં શ્રીરામ અને શ્રીકૃષ્ણ મુખ્ય અવતાર છે. આમ પરમાત્મા એક જ હોવા છતાં અનેક સ્વરૂપે ભાસે છે. આ વાતને ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાએ બહુ જ સરળ ભાષામાં સમજાવી છેઃ

‘‘વેદ તો એમ વદે, શ્રુતિ, સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિષે ભેદ ન હોયે,

ઘાટ ઘડ્યા પછી, નામરૂપ જુજવાં, અંતે તો હેમનું હેમ હોયે.’’

પરમાત્માનાં સ્વરૂપ અનેક છે, પરમ તત્ત્વ તો એક જ છે.

દેવોના દેવ, દેવાધિદેવ મહાદેવ પરમ કલ્યાણકારી શિવ રૂપે અનેક મંદિરોમાં પૂજાય છે. એ સંહારકર્તા પણ છે અને પરમ મંગલકારક પણ છે. વ્યાઘ્રચર્મ, ચિતાભસ્મ, રુંડમાળા અને સર્પને ધારણ કરનારા, એ રૌદ્ર સ્વરૂપની જટામાં, પાવનકારી ગંગામૈયા સમાયેલાં છે અને શીતળ ચંદ્રરેખા પણ છે. જેમના ત્રીજા નેત્રમાં, સમગ્ર વિશ્વને ભસ્મીભૂત કરવાની શક્તિ ધરાવનાર અગ્નિજ્વાળા છે, એ જ મહાદેવજીનાં બીજાં બે નેત્રો સ્નેહધારા વર્ષાવતાં અમૃતકુંભ સમાન છે. એક જ સ્વરૂપમાં સંહારક અને ચૈતન્યકારક બે વિરોધાભાસી શક્તિઓનો અદભુત સમન્વય ધરાવતું પરમ તત્ત્વ એટલે ભગવાન શિવ.

‘‘શિવ મહિમ્ન સ્તોત્ર’’માં એક શ્લોકમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે કેઃ

‘‘ત્રયી સાંખ્યં યોગઃ પશુપતિમતં વૈષ્ણવમિતિ,

પ્રભિન્ને પ્રસ્થાને પરમિદંમદઃ પથ્યમિતિ ચ,

રુચિનામ્ વૈચિત્ર્યાદ્, રુજુકુટિલ નાના પથજુષામ્,

નૃણામ્ એકો ગમ્યસ્ત્વમસિ પયસામ્ અર્ણવ ઇવ.’’

જ્ઞાન માર્ગ, પાશુપત (શૈવ) સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય વગેરે અનેક વિભિન્ન સંપ્રદાયો તો ફક્ત જુદી જુદી રુચિને કારણે જ વિભિન્ન છે. અનેક નદીઓનો પ્રવાહ જુદા જુદા માર્ગે વહેતો હોય છે, પરંતુ અંતે તો એક જ સમુદ્રને મળે છે, એમ આપણે ગમે તે સંપ્રદાયમાં માનતા હોઈએ તો પણ અંતિમ ધ્યેય તો પરમાત્માને પામવાનું જ હોવું જોઈએ.

ભગવાન શ્રીરામનું જીવનદર્શન પરમ આદર્શથી ભરેલું છે. સંજોગોનો અજાણતાં શિકાર બની, પતિતા મનાતાં, અહલ્યા શીલારૂપ થઈ ગયાં હતાં. ભગવાન શ્રીરામે તેમનો ઉદ્ધાર કર્યો તેવી રામાયણમાં કથા છે. વિરલ વ્યક્તિત્વ ધરાવનાર પરમ તત્ત્વ જ આ કરી શકે. ભગવાન શ્રીરામે પોતાના અંગત જીવનમાં, પોતે જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ હોવા છતાં રાજગાદીને બદલે વનવાસ મળ્યો તો પણ વિના વિરોધે, પરિસ્થિતિને પ્રેમથી સ્વીકારી લીધી. વનવાસ દરમિયાન પણ સામાન્ય નાવિક ગુહરાજા સાથે તેમનો પ્રેમભર્યો વર્તાવ અને અત્યંત ગરીબ વૃદ્ધ ભીલ નારી શબરીના પ્રેમભર્યા આતિથ્યનો સ્વીકાર કરનાર પરમ તત્ત્વ જ હોઈ શકે. અનેક અસુરોને સંહારનાર પરમ શૌર્યવાન હોવા છતાં નબળા લોકો માટે એ કરુણામય છે. સંહારક અને મંગલકારી બે વિરોધાભાસી શક્તિઓનો અદભુત સમન્વય ધરાવતા શ્રી રામ, મહાદેવજીથી જુદા નથી. ફક્ત સ્વરૂપ જુદાં છે.

મારા અભ્યાસકાળ દરમિયાન ગુજરાતીના શિક્ષકશ્રીએ સમાસ વિષે શીખવતાં બહુ સરસ વાત કરીઃ

ભગવાન શ્રીરામે લંકા જતાં પહેલાં દરિયાકિનારે મહાદેવજીના શિવલિંગની સ્થાપના કરી પૂજન કર્યું. આ શિવલિંગનું નામ શું રાખવું ? એની રસપ્રદ ચર્ચા થઈ.

(૧) ભગવાન શ્રીરામે કહ્યું : - ‘‘રામના ઈશ્વર, તે રામેશ્વર.’’ (ષષ્ઠી તત્પુરુષ સમાસ)

(૨) મૂર્તિમાંથી અવાજ આવ્યોઃ - ‘‘રામ જેના ઈશ્વર છે, તે રામેશ્વર’’ (બહુવ્રીહિ સમાસ )

(૩) ત્યાં ઉપસ્થિત ઋષિઓએ કહ્યું- ‘‘રામ અને ઈશ્વર, તે રામેશ્વર’’ (દ્વંદ્વ સમાસ )

આ વાત નાનકડી છે, પણ એનું મહ્ત્વ ઘણું છે. ઘણી વાર વિભિન્ન સંપ્રદાયોના અનુયાયીઓ પોતે જે સ્વરૂપનું પૂજનઅર્ચન કરે છે તે જ શ્રેષ્ઠ છે બીજું કોઈ સ્વરૂપ નહીં, એમ માનતા હોય છે. પરંતુ પરમાત્માના બે વિભિન્ન સ્વરૂપમાં કેટલી બધી વિનમ્રતા છે, એ વિચારવા જેવું છે. મતમતાંતરનું મહત્વ નથી, કોઈ પણ સ્વરૂપે પરમાત્માને પામવા એ મહત્વનું છે.

શ્રી તુલસીકૃત રામાયણના બાલકાંડમાં મહાદેવજી શ્રીરામનાં દર્શન કરી પ્રસન્ન થયા, તેથી માતા સતી ભવાનીને આશ્ચર્ય થયું તેનું સુંદર વર્ણન છેઃ

‘‘સતી સો દશા શંભુકી દેખી, ઉર ઉપજા સંદેહુ બિશેષી,

શંકર જગતવંદ્ય જગદીશા, સુર, નર, મુનિ સબ નાવત શિષા,

તિન્હ નૃપસુતહિ કીન્હ પ્રણામા, કહી સચ્ચિદાનંદ પરધામા,

ભએ મગન છબિ તાસુ વિલોકી, અજહું પ્રીત ઉર રહતી ન રોકી.’’

તેવી જ રીતે લંકાકાંડમાં શ્રીરામે શિવલિંગની સ્થાપના કરી પૂજન કર્યું તેનું સુંદર વર્ણન છે. ભગવાન શ્રીરામે કહ્યું છે કેઃ

‘‘જેને શંકર પ્રિય હોય અને મારો દ્રોહ કરે અથવા તો જે શંકરનો દ્રોહી હોય અને મારો ભક્ત થવા ઇચ્છે તે બંને અયોગ્ય છે.’’ વળી બહુ સરસ વાત કરી કેઃ

‘‘હોઈ અકામ, જો છલ તજી સેઇહી, ભગતિ મોરી તેહી શંકર દેઇહી,

મમકૃત સેતુ જો દર્શન કરિહી, સો બિનુ શ્રમ ભવસાગર તરિહી.’’

જે નિષ્કામ થઈને, છળ તજીને, શ્રી રામેશ્વર ભગવાનને સેવશે, તેને શંકર મારી ભક્તિ આપશે. નિષ્કામ ભક્તિનો મહિમા રામાયણમાં વર્ણવ્યો છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ નિષ્કામ ભક્તિનો મહિમા સવિશેષ વર્ણવ્યો છે એ નોંધવા જેવું છે.

ઉમામહેશ, સીતારામ અને રાધાકૃષ્ણ એ પ્રકૃતિ અને પુરુષનું ઐક્ય સૂચવે છે. પરમ તત્ત્વની શક્તિ, પરમ તત્ત્વથી જુદી હોઈ જ ન શકે. શક્તિ સ્વરૂપે મા અંબાજી, ગાયત્રીજી, લક્ષ્મીજી વગેરે અનેક સ્વરૂપોની સાધના અનેક લોકો કરે છે તેમાં કશું અયોગ્ય નથી. શક્તિમાન અને શક્તિ અલગ નથી, એટલું જો સમજાઈ જાય તો મનમાં કોઈ પણ ભેદભાવ ન રહે. આપણને ગમતા કોઈ પણ સ્વરૂપનું પૂજન, અર્ચન, સ્મરણ અખૂટ શ્રદ્ધાથી ભરેલું હોવું જોઈએ, અંધશ્રદ્ધાથી ભરેલું નહિ એ મહત્વનું છે. પરમાત્મા પ્રત્યેના અનન્ય પ્રેમથી નિષ્કામ ભાવે ભજીએ તે શ્રદ્ધા અને બીજાના કહેવાથી કે કાંઈક મેળવવાની લાલચથી પ્રભુને ભજીએ તે અંધશ્રદ્ધા.

ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ૧૦ વિભૂતિયોગમાં કહ્યું છે કેઃ

રુદ્રાણામ્ શંકરશ્ચાસ્મિ - રુદ્રોમાં હું શંકર છું (ગીતા ૧૦ - ૨૩ )

રામઃ શસ્ત્રભૃતામ્યહમ્ - શસ્ત્રધારીઓમાં હું રામ છું. (ગીતા ૧૦ - ૩૧ )

આમ શ્રીકૃષ્ણ ભગવાન, શ્રીમહાદેવજી અને શ્રીરામ ભગવાન એક જ છે. આપણને જે સ્વરૂપ ગમે તેની ઉપાસના કરીએ. જુદાં જુદાં સ્વરૂપના વાદવિવાદમાં ઊતર્યા વિના કે કોઈ પણ સ્વરૂપની ટીકા કર્યા વિના સંપૂર્ણ નિષ્કામ ભાવે પરમાત્માનું પૂજનઅર્ચન કરીએ. આપણને કાંઈક ન સમજાય તો કોઈ સંતને પૂછીએ, કદાચ એ શક્ય ન હોય તો એવી પળોજણમાં પડ્યા વિના આપણને ગમતા ભગવાનનું સ્મરણ કરીએ તો જીવનમાં જરૂર શાંતિ મળશે.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
kamlesh  - giita   |2011-11-21 01:26:18
vachaje

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

પણ ગમશે

ગીતાજી વિશે

‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’

ગીતાના સારને સરળ ભાષામાં રજૂ કરે છે. આ પુસ્તક...