ૐ
શ્રીકૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને ગીતાજીનો ઉપદેશ આપેલો એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા વિષે આપણે કંઈ વિચારીએ તે પહેલાં ગીતાગાયક શ્રીકૃષ્ણ ભગવાનનું મધુર જીવન દર્શન કરવું ખૂબ જરૂરી છે. શ્રીકૃષ્ણ વિના ગીતાજીની વાત કરવી નિરર્થક છે. મહાભારતની અદભૂત કથાને જ અમુક લોકો કાલ્પનિક માને છે. તેથી મહાભારતની કથાના એક પાત્ર એવા શ્રીકૃષ્ણ ભગવાનના અસ્તિત્વ વિષે જ શંકાશીલ છે.
આપણા વિદ્વાન લેખક શ્રી દિનકરભાઈ જોષીએ તેમના પુસ્તક ‘‘શ્રીકૃષ્ણં વંદે જગદગુરુમ્’’માં આવી શંકા નિર્મૂળ કરવા સરસ વાત લખી છે. સામાન્ય માનવીને થોડાં વર્ષોથી થોડા લોકો ઓળખતા હોય છે અને તેના પ્રત્યે પૂજ્યભાવ બહુ જ ઓછા લોકોને હોય છે. જ્યારે શ્રીકૃષ્ણને હજારો વર્ષોથી, કરોડો લોકો ઓળખે છે અને કરોડો લોકો ખૂબ પ્રેમ અને શ્રદ્ધાથી તેમની પૂજા કરે છે. એ જ બતાવે છે કે સામાન્ય માનવીનું અસ્તિત્વ ટૂંકજીવી છે અને શ્રીકૃષ્ણ ભગવાનનું અસ્તિત્વ જ સાચું છે.
ફૂલોની સુગંધ અદ્રશ્ય છે, શીતળ પવનની લહેર અદ્રશ્ય છે, તેજસ્વી વસ્તુઓનું તેજ અદ્રશ્ય છે, પરમ આનંદ અદ્રશ્ય છે, તેમ છતાં આ તમામના અસ્તિત્વનો ઇન્કાર થઈ શકે તેમ નથી. એ જોઈ ન શકાય, પણ અનુભવી શકાય. પરમાત્મા અદ્રશ્ય છે, પણ એનું અસ્તિત્વ શંકાથી પર છે.
ગુલાબમાં રહેલી સુગંધની જેમ શ્રીકૃષ્ણ પણ અદ્રશ્ય હોવા છતાં તેમને શોધનારા લોકો છે. શીતળ પવનની મીઠી લહેર જેવો એમનો અદભુત સ્પર્શ પામવા અનેક લોકો આતુર છે. ગાઢ અંધકારમાં પણ એ પરમ જ્યોતિર્મય તેજપુંજની એકાદ ઝલક નિહાળવા તલસનારા છે. શ્રીકૃષ્ણના સ્મરણ દ્વારા પરમ આનંદની મધુરતા માણવા અનેક લોકો ઝંખે છે. એનાં સાક્ષાત્ દર્શન શક્ય ન હોય તો છેવટે સ્વપ્નમાં એની ઝાંખી થાય એવું ઇચ્છનારા છે અને ધ્યાન દ્વારા સમાધિ અવસ્થામાં શ્રીકૃષ્ણનાં દર્શન પામવાની કોશિશ કરનારા છે. આમ અનેક લોકો શ્રીકૃષ્ણને પરમ તત્ત્વ માને છે એમ કહી શકાય.
શ્રીકૃષ્ણ ભગવાનના અદભુત પરમ તત્ત્વને પિછાણનારા કોઈ વિદ્વાન ભક્ત કવિએ બહુ સુંદર શ્લોક દ્વારા સ્તુતિ કરી છે કેઃ
‘‘બંસી વિભૂષિત કરાત્, નવનીરદ આભાત્,
પૂર્ણેન્દુ સુંદર મુખાત્, અરવિંદ નેત્રાત્,
પીતામ્બરાત્, અરુણબિંબફલ અધરોષ્ઠાત્,
કૃષ્ણાત્, પરમ કિમ અપિ તત્ત્વમ્, અહમ્ ન જાને.’’
‘‘જેમના હાથમાં બંસી શોભી રહી છે તેવા, સુંદર વાદળો જેવી ઘનશ્યામ કાંતિવાળા, પૂર્ણ ચન્દ્ર સમાન સુંદર મુખવાળા, કમળની પાંખડી જેવાં નેત્રોવાળા, પીતાંબર ધારણ કરનારા, ઊગતા સૂર્યના લાલ રંગ જેવા સુંદર ઓષ્ઠદ્વયવાળા શ્રીકૃષ્ણ ભગવાન સિવાય કોઈ પરમ તત્ત્વ છે કે કેમ તે હું જાણતો નથી’’.
પરમ તત્ત્વ કોને કહેવાય ? શ્રી ચૈતન્ય મહાપ્રભુની પ્રેમભક્તિને અનુસરનાર ‘‘ઇસ્કોન સંપ્રદાય’’ના વિદ્વાન ધર્મપ્રવર્તક શ્રી ભક્તિવેદાંત સ્વામીએ તેમના ‘‘કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર’’ પુસ્તકમાં બહુ સરસ રીતે આ વાત સમજાવી છે. લક્ષ્મી, શક્તિ, કીર્તિ, સૌંદર્ય, શાણપણ અને ત્યાગ આ છએ ઐશ્વર્યોનો જેમાં સુભગ સમન્વય હોય એ ‘‘પરમ તત્ત્વ’’.
સામાન્ય માનવીમાં ઉપરોક્ત છ ઐશ્વર્યોમાંથી કદાચ એકાદ કે બે ઐશ્વર્યો જોવા મળે. કોઈ શ્રીમંત હોય અને શક્તિશાળી પણ હોય પરંતુ ઉદાર ન હોય. કોઈ વિદ્વાન હોય પણ નિરભિમાની ન હોય. કોઈ શૂરવીર હોય, ઉદાર હોય, પણ વિદ્વાન ન હોય. કોઈ સત્તાધીશ હોય પણ ત્યાગી ન હોય, પરંતુ શ્રીકૃષ્ણ જીવન દર્શન આ છએ ઐશ્વર્યોના સુભગ સમન્વયને પ્રગટ કરે છે. સામાન્ય જીવનમાં આવો સમન્વય ક્યાંય જોવા મળતો નથી એ વાસ્તવિકતા આપણે સૌએ સ્વીકારવી જ રહી.
(૧) દ્વારિકાધીશ હોવા છતાં સત્તાના અહંકારથી પર અને અત્યંત સંપત્તિવાન હોવા છતાં ધનથી નિર્લેપ રહીને, નિર્ધન સુદામાનો અદભુત સત્કાર કરનાર શ્રીકૃષ્ણ.
(૨) પરમ શક્તિશાળી હોવા છતાં અને કંસ, શિશુપાલ, જેવા દુષ્ટોના સંહારક હોવા છતાં, પોતાને અજાણતાં બાણ મારનાર જરા પારધીને ‘‘તું નિષ્પાપ છે, તારું કલ્યાણ થાઓ’’ કહેનાર ક્ષમાશીલ શ્રીકૃષ્ણ.
(૩) પરમ તેજસ્વી અને જ્ઞાનવાન હોવા છતાં પોતાને જ અનુસરવાનો દુરાગ્રહ ન રાખી, અર્જુનને ગીતાના અદભુત ઉપદેશ પછી, પોતે વિચાર કરીને યોગ્ય લાગે તે નિર્ણય કરવા કહેનાર નિરાભિમાની શ્રીકૃષ્ણ.
(૪) પરમ સૌંદર્યવાન હોવા છતાં સંપૂર્ણ નિષ્કલંક ચારિત્ર્ય ધરાવનાર શ્રીકૃષ્ણ.
(૫) મહાભારત યુદ્ધમાં થનાર સંભવિત વિનાશ અટકાવવાના છેલ્લા પ્રયાસરૂપે, પોતે દ્વારિકાધીશ હોવા છતાં શાંતિદૂત તરીકે જવાનું અપ્રતિમ શાણપણ દાખવનાર શ્રીકૃષ્ણ.
(૬) કંસનો વધ કર્યા બાદ મથુરાનું રાજ્ય મળે તેમ હતું, પરંતુ તેનો ત્યાગ કરીને ઉગ્રસેનને સોંપનાર તથા ભૌમાસુરનો વધ કરી તેનું રાજ્ય, તેના પુત્ર ભગદત્તને સોંપનાર પરમ ત્યાગી શ્રીકૃષ્ણ.
ઉપરોક્ત છ બાબતો શ્રીકૃષ્ણ ભગવાન પરમાત્મા છે તે સાબિત કરવા પૂરતી છે જ, તેમ છતાં નીચેની બાબતો ‘‘શ્રીકૃષ્ણ ભગવાન પરમાત્મા છે જ’’ એ નિઃશંક રીતે સિદ્ધ કરે છેઃ
(૧) માટી નથી ખાધી, એમ કહેવા છતાં માતા યશોદાજીએ પરાણે મોઢું ખોલાવતાં, મુખમાં વિશ્વદર્શન કરાવતા શ્રીકૃષ્ણ.
(૨) કૌરવોની રાજ્યસભામાં પોતે હાજર ન હોવા છતાં અદ્રશ્ય રીતે દ્રૌપદીની શીલરક્ષા કરીને ‘‘શ્રીકૃષ્ણ સર્વવ્યાપક છે’’ એવું પુરવાર કર્યું.
(૩) ભયાનક યુદ્ધ અટકાવવા શાંતિદૂત તરીકે જનાર શ્રીકૃષ્ણને કેદ પકડવાની દુર્યોધને યોજના બનાવેલી. પોતાને કેદ પકડવાનો પ્રયત્ન કરી જોવા એક પડકારરૂપે, કૌરવોની રાજ્યસભામાં વિરાટ રૂપ દર્શન કરાવતા શ્રીકૃષ્ણ.
(૪) મહાભારત યુદ્ધની શરૂઆત વેળાએ અર્જુનને મહાકાળના સ્વરૂપનો ખ્યાલ આપવા વિશ્વરૂપ દર્શન કરાવતા શ્રીકૃષ્ણ.
(૫) શ્રીમદ્ ભગવદ્ ગીતા દ્વારા શ્રીકૃષ્ણ ભગવાને જાતે વર્ણવેલું પરમેશ્વર વિષેનું તત્ત્વજ્ઞાન અને ‘‘હું સર્વમાં વ્યાપેલો છું અને સઘળું મારામાં સમાયેલું છે’’ એવું અદભુત કથન.
(૬) ‘‘જીવનમાં મેં સદાય સત્યનું આચરણ કર્યું હોય તો આ બાળક સજીવન થાઓ’’ કહેનાર શ્રીકૃષ્ણે ઉત્તરાના મૃત બાળકને સજીવન કરી તેઓ પરમ સત્યવાદી છે એવું પુરવાર કર્યું.
શ્રીકૃષ્ણ ભક્તિને મધુર રસની ઉપમા આપી ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાએ ગાયું છે કેઃ
‘‘એ રસનો સ્વાદ શંકર જાણે, જાણે શુકદેવ જોગી રે,
કંઈ એક જાણે વ્રજની ગોપી, ભણે નરસૈંયો ભોગી રે.’’
એ અત્યંત સુમધુર, વિરલ અને પરમ તત્ત્વ શ્રીકૃષ્ણ ભગવાનને કોટિ કોટિ વંદન કરીને ધન્યતા અનુભવીએ. પરમ તત્ત્વ વિષે કાંઈક વિચારીને પછી ગીતાજી વિષે વિચારીએ.
| Comments |
|
|
||||||||
|
||||||||
|
||||||||


‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’