ૐ
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં અનાસક્તિ યોગ પર ભાર મૂક્યો છે. અનાસક્તિ એટલે સ્વાર્થરહિતપણું. આપણાં તમામ કાર્યો આપણા સ્વાર્થ વિનાનાં હોવાં જોઈએ. સ્વનું નહિ, પણ સૌનું કલ્યાણ થાય એવી શુભ ભાવનાવાળાં હોવાં જોઈએ.
નૂતન વર્ષે આવી ઉમદા ભાવના આપણે વ્યક્ત કરીએ જ છીએ. આપણા સ્વજનોને દિવાળી કાર્ડ મોકલીને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તેમનું જીવન સુખ, સમૃદ્ધિથી છલકાતું રહે, તેઓ યશસ્વી અને તંદુરસ્ત રહે એવી અનેક શુભેચ્છાઓ લખીએ છીએ. ભૂતકાળમાં થયેલી ભૂલોની ક્ષમા માગીએ છીએ. આ ખૂબ જ સુંદર પરંપરા છે. એનાથી જીવન જીવવા જેવું બને છે.
જૈન સમાજમાં તો પર્યુષણ પર્વ પછી, ‘‘મિચ્છા મિ દુક્કડમ્’’ શબ્દો દ્વારા પરસ્પરની ક્ષમા માગવાની અને પરસ્પરનું અભિવાદન કરવાની બહુ ઉત્તમ પ્રથા છે, પરંતુ એક વિદ્વાન જૈન મુનિશ્રીએ બહુ સરસ વાત કરીઃ ‘‘આ પ્રથા તો ખૂબ ઉત્તમ છે જ, પણ જેની સાથે તમારા સંબંધો સારા હોય, જેની સાથે કાંઈ મનદુઃખ ન હોય તેની ક્ષમા માગવાનો કોઈ અર્થ નથી. ગમે તે કારણે જેની સાથે સંબંધ સારા ન હોય તેની માફી માગવી જોઈએ. માફી માગવા માટે વિશાળ દિલ હોવું જોઈએ. માફી માગવાથી કોઈ નાનું બની જતું નથી.’’ એક સજ્જનને આ વાત સ્પર્શી ગઈ. મુનિશ્રીનું પ્રવચન સાંભળી સીધા પોતાના પુત્રને ઘેર ગયા. કોઈક મનદુઃખને કારણે પિતા પુત્ર વચ્ચે અબોલા હતા. પુત્રવધૂએ બારણું ખોલ્યું. સસરાને જોઈ નવાઈ લાગી. આવકાર ન આપ્યો. માત્ર ખસી જઈને પતિને વાત કરી. પુત્રે પણ પિતાને આવકાર ન આપ્યો. અપમાનને અવગણીને પિતા સીધા પુત્ર પાસે ગયા. પુત્રને પગે લાગી કહ્યું : ‘‘બેટા ! મને માફ કર. તું નાનો છે. તને નારાજ થવાનો હક્ક છે, પણ હું તો મોટો છું ને, મારે સમજવું જોઈએ.’’ પિતા પુત્રને પગે લાગે તો પણ પુત્ર ન પીગળે એવું બને જ નહીં. પુત્ર પિતાને વળગી પડ્યો. પગે લાગ્યો અને કહ્યું : ‘‘પિતાજી ! હું નાનો છું એ વાત મારે સમજવી જોઈએ. આપનું અપમાન થાય એવું કાંઈ મારે ન કરવું જોઈએ. મને માફ કરો.’’ પિતા પુત્ર વચ્ચેની કટુતા ધોવાઈ ગઈ.
પ્રસિદ્ધ સંત શ્રી સ્વામી આનંદે તેમના પુસ્તક ‘‘ધરતીની આરતી’’માં આવો જ એક પ્રસંગ નોંધ્યો છે. આલ્મોડામાં લાલા બદરીશા નામના સજ્જન રહેતા હતા. તેમના ભાઈનું અવસાન થયા બાદ તેમના ભત્રીજાને તેમણે પુત્રની જેમ ઉછેર્યો, પણ કાંઈક મનદુઃખ થતાં તે જુદો રહેવા ગયો. અબોલા થઈ ગયા. દર વખત સ્વામીજી લાલા બદરીશાને ઘેર ઊતરતા. એક વાર તેઓ ભત્રીજાને ઘેર ઊતર્યા. લાલાજીને ખબર પડી.તેમને નવાઈ લાગી. સ્વામીજીને મળવા જવાનું વિચાર્યું પણ ભત્રીજાને ઘેર જવું ગમતું ન હતું. કાંઈક વિચારી તેઓ ગયા. ભત્રીજાને ઘેર કોઈએ આવકાર ન આપ્યો, અપમાન લાગ્યું, તેમ છતાં તેની દરકાર ન કરી તેઓ ઘરમાં ગયા. સ્વામીજીને વંદન કરી તેઓ વાતો કરવા લાગ્યા. થોડી વારમાં એક બાળક આવીને તેમના ખોળામાં બેસી ગયો. પ્રેમથી માથે હાથ ફેરવતાં ફેરવતાં ખિસ્સામાંથી કાજુ, બદામ, દ્રાક્ષ કાઢી બાળકનો નાનકડો ખોબો ભરી દીધો. ઘરમાં સૌને નવાઈ લાગી. કાકા ઘેર ગયા છે તે વાત જાણી ભત્રીજો તરત ઘેર આવ્યો. પહેલાં એમ થયું કે કાંઈક ઝઘડો કરવા આવ્યા હશે, પણ વર્ષોથી અબોલા હતા એટલે ઝઘડાનું કોઈ કારણ ન હતું. ઘરનું વાતાવરણ જોતાં આશ્ચર્ય થયું. દોડીને કાકાને વળગીને ભત્રીજો ખૂબ રોયો. કાકાની આંખો પણ આંસુથી ભીંજાઈ ગઈ. કડવાશ બધી ધોવાઈ ગઈ.
નૂતન વર્ષે વેપારીઓ આગલા વર્ષનું સરવૈયું જોઈ જાય છે. કેટલો નફો થયો ? કેટલી ખોટ ગઈ ? તેનાં કારણો શું ? એ બધું વિગતવાર તપાસે છે. ફરીથી ખોટ ન જાય તેની ખાસ કાળજી રાખે છે. કંપની મોટી હોય તેઓ જાતે સરવૈયું ન કાઢે તો પણ ચાર્ટર એકાઉન્ટન્ટની મદદથી સરવૈયું કઢાવે છે. જો ખોટ જતી હોય તો જરૂરી પગલાં તો માલિકે પોતે જ લેવાં પડે. આ તો થઈ આર્થિક સરવૈયાની વાત, પરંતુ ધન સર્વસ્વ નથી. જીવન તેનાથી વિશેષ મહત્વનું છે.
નૂતન વર્ષે આપણે જીવનનું સરવૈયું કાઢવું જોઈએ. આપણને ન આવડે તો કોઈ સંતની મદદ ઉપયોગી થઈ શકે. ગત વર્ષ દરમિયાન કંઈ એવું તો નથી બન્યુંને કે જેનાથી જીવનને નુકસાન થાય ? આપણું જીવન અધોગતિ તરફ જાય છે કે ઉન્નતિ તરફ ? એ તો આપણે તપાસવું જ જોઈએ. અનેક મહાનુભાવોએ પોતાના જીવનનાં સરવૈયાં તપાસીને જીવન પલટાવી નાખ્યાં છે.
એક અત્યંત વિદ્વાન અને તેજસ્વી બ્રાહ્મણપુત્રને કોઈક કારણોને લીધે માનવ જાત પ્રત્યે ભયાનક નફરત થઈ ગઈ. જે કોઈ મળે તેની ઘાતકી હત્યા કરી તેનાં આંગળાંઓની માળા પહેરવાનું તેણે શરૂ કર્યું. લોકો તેને ‘‘અંગુલિમાલ’’ કહી તેના નામથી ધ્રૂજતા. એક વાર ભગવાન બુદ્ધ જંગલમાં શાંતિથી ચાલ્યા જતા હતા ત્યાં અંગુલિમાલ ઊભો હતો. તેણે પડકાર કર્યો : ‘‘એ સાધુ ! ઊભો રહે.’’ બુદ્ધે ચાલતાં ચાલતાં પરમ શાંતિથી કહ્યું : ‘‘હું તો ઊભો છું, તું ઊભો રહે.’’ અંગુલિમાલને આશ્ચર્ય થયું. પોતે ચાલે છે છતાં કહે છે કે હું ઊભો છું અને મને સ્થિર ઊભેલાને ઊભો રહેવા કહે છે. તેણે મનમાં વિચાર્યું ‘‘સાધુ અસત્ય ન બોલે.’’ તેણે તોછડાઈને બદલે વિનમ્રતાથી પૂછતાં ભગવાન બુદ્ધે કહ્યું ‘‘હું ચાલું છું અને તું ઊભો છે એ તો બાહ્ય ક્રિયા છે. અહિંસાને કારણે મારું મન શાંત છે, પરંતુ અકારણ હિંસાને કારણે તારું મન અશાંત છે. તારે સ્થિર થવાની જરૂર છે.’’ અંગુલિમાલે એક પાંદડું તોડી કહ્યું : ‘‘હત્યા કરવી એ મારે માટે પાંદડું તોડવા જેવી રમત છે.’’ બુદ્ધે એ પાંદડું ફરીથી વૃક્ષ સાથે જોડવાનું કહેતાં તેણે અશક્તિ બતાવી. બુદ્ધે ફરીથી કહ્યું : ‘‘જે પાંદડું તું જોડી ન શકે એ તોડવાનો તને અધિકાર નથી. જો કોઈ માનવીને જીવન આપી ન શકે તો તેની જિંદગી છીનવી લેવાનો તને અધિકાર નથી.’’ પોતાના જીવનનું સરવૈયું ખામીવાળું છે એ સમજાતાં અંગુલિમાલે હિંસા તજી દીધી. તેઓ બૌદ્ધ સાધુ બની ગયા.
હિંદુ શાસ્ત્રનો આદર્શ ગ્રંથ ‘‘રામાયણ’’ના રચયિતા વાલ્મીકિ પણ અગાઉ લૂંટારા હતા. સંત તુલસીદાસ પોતાની પત્ની પ્રત્યે વધુ આસક્ત હતા. ભક્ત સુરદાસ પણ મોહાંધ હતા, પણ જીવનનું સરવૈયું તપાસતાં પોતાના દોષ સમજાતાં, કોઈક શુભ દિવસે તેમણે સૌએ નૂતન વર્ષ શરૂ કર્યું. તેઓ ભવસાગર તરી ગયા. કોઈને રામ મળ્યા, કોઈને કૃષ્ણ મળ્યા. નૂતન વર્ષે ભક્ત સુરદાસજીની જેમ આપણે પણ પ્રભુને પ્રાર્થના કરીએ :
‘‘નૈનહીન કો રાહ દીખા પ્રભુ ! પગ પગ ઠોકર ખાઉં મૈં,
ચહું ઓર મેરે ઘોર અંધેરા, ભૂલ ન જાઉં દ્વાર તેરા,
એક બાર પ્રભુ ! હાથ પકડ લો, એક બાર પ્રભુ ! હાથ પકડ લો...’’
ભક્તની ભગવાનને પ્રાર્થના
તૂ દયાલુ, દીન હૌં, તૂ દાની, હૌં ભિખારી,
હૌં પ્રસિદ્ધ પાતકી, તૂ પાપપુંજહારી...
નાથ તૂ અનાથ કો, અનાથ કૌન મો સો,
મો સમાન આરત નાહીં, આરતહર તો સો...
બ્રહ્મ તૂ હો, જીવ હૌં, ઠાકુર તૂ, હૌં ચેરો,
માત, તાત, ગુરૂ, સખા તૂ, સબ વિધિ હી તૂ મેરો...
તોરે મોરે નાતે અનેક, માનીયે જો ભાવૈ,
જ્યોં ત્યોં તુલસી, કૃપાલુ ! ચરણ શરણ પાવૈ...
- ભક્તકવિ શ્રી તુલસીદાસજી
| Comments |
|


‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’