ૐ
શ્રીકૃષ્ણ ભગવાન એટલે સાક્ષાત્ પ્રેમની મૂર્તિ. શ્રીકૃષ્ણ ભગવાનનું જીવન નિર્દોષ, નિરવધિ અને નિર્વ્યાજ પ્રેમથી છલકાય છે. એમણે ધન કરતાં પ્રેમને જ વિશેષ મહત્વ આપ્યું છે એટલે તો ભક્તકવિ શ્રી સુરદાસજીએ ગાયું ને :
‘‘પ્રેમકે વશ અર્જુન રથ હાંક્યો, ભૂલ ગયે ઠકુરાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ.’’
શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનના સારથિ બનીને ચાર સુંદર શ્વેત અશ્વો જોડેલા રથને યુદ્ધ માટે તૈયાર ઊભેલી બે સેનાઓ વચ્ચે લાવે છે. અર્જુન બંને સેનાઓમાં ઉપસ્થિત પોતાના સ્વજનોને જોઈને ઘેરો વિષાદ અનુભવે છે. પૂજા કરવા યોગ્ય વડીલોને મારાથી કેમ હણી શકાય ? અને આ યુદ્ધમાં તો બંને પક્ષે સ્વજનોનો જ સંહાર થશે માટે ‘‘હું યુદ્ધ નહિ કરું.’’ એમ કહી રથમાં બેસી જાય છે. વિષાદ ત્યજવા અને કર્તવ્યનું પાલન કરવા શ્રીકૃષ્ણ ભગવાને સ્વયં અર્જુનને જે ઉપદેશ આપ્યો તે શ્રીમદ્ ભગવદ્ ગીતા.
‘‘ચિદાનંદેન કૃષ્ણેન પ્રોક્તા સ્વમુખતોર્જુનમ્,
વેદત્રયી પરાનન્દા તત્ત્વાર્થ જ્ઞાનસંયુતા.’’
આ પુસ્તક કોઈ સાધારણ પુસ્તક નથી. પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાને સ્વયં અર્જુનને જે ઉપદેશ આપ્યો તે ત્રણે વેદરૂપ, પરમાનંદ આપનારી તથા તત્ત્વાર્થ જ્ઞાનથી સભર તે શ્રીમદ્ ભગવદ્ ગીતા. અઢાર પુરાણોના રચયિતા મહર્ષિ વેદવ્યાસજીએ ‘‘મહાભારત’’ લખ્યું અને તેના એક ભાગરૂપે શ્રીમદ્ ભગવદ્ ગીતાજી છે. યુદ્ધ સમયે શ્રીકૃષ્ણ ભગવાન કે અર્જુને ગીતાજી લખેલી નથી અને વ્યાસજી યુદ્ધના મેદાનમાં હાજર ન હતા તો આ વર્ણનને સાચું કેમ માનવું ? કાંઈક ન સમજાય તેવું અટપટું છે.
મહર્ષિ વેદવ્યાસજી ત્રિકાળદર્શી ઋષિ હોવાથી યુદ્ધના મેદાનમાં હાજર ન હતા તો પણ યુદ્ધની રજેરજ માહિતીના જાણકાર હતા. તેમણે જ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપીને મહેલમાં બેઠાં બેઠાં મહાભારતનું યુદ્ધ જોઈ ધૃતરાષ્ટ્રને તેનું વર્ણન સંભળાવવાની વ્યવસ્થા કરી હતી. આ વાત પણ આપણને માન્યામાં ન આવે તેવી છે. જે વાત ન સમજાય તે ફક્ત અંધશ્રદ્ધાથી માનવી નહિ.
આપણો સૌનો અનુભવ છે કે દુનિયાના કોઈ પણ સ્થળે, બે દેશો વચ્ચે રમાતી ક્રિકેટ મેચના એકેએક દડાને આપણે ઘેર બેઠાં જોઈ શકીએ છીએ અને તેના વર્ણનનો એકેએક શબ્દ સાંભળી શકીએ છીએ. તેવી જ રીતે શ્રીમતી લતા મંગેશકરનો સંગીતનો કાર્યક્રમ મુંબઈમાં ચાલતો હોય, પરંતુ આપણે ઘેરબેઠાં તે પ્રસંગ જોઈ શકીએ અને સંગીતના એકેએક શબ્દની મધુરતા માણી શકીએ છીએ. આ પ્રસંગનું વર્ણન કરતાં કોઈ શંકા કરતું નથી કે ‘‘તું તો મુંબઈ ગયો નથી ત્યાંના બનાવની તને ક્યાંથી ખબર હોય ?’’ વિડિયો ઓડિયો ઇલેક્ટ્રોનિક સિસ્ટમ તથા ટેલિવિઝનથી એ શક્ય છે. આપણને તેનું જ્ઞાન ન હોય તો પણ ટીવી પર દેખાતાં દ્રશ્યો ખોટાં છે તેમ કોઈ માનતું નથી. તેવી જ રીતે અગાઉના સમયમાં યોગવિદ્યાથી એ શક્ય હતું કે સ્થળ પર હાજર રહ્યા વિના ત્યાંની રજેરજ માહિતી જાણી શકાય. તેમ જ આજના આધુનિક વિજ્ઞાન માટે હજી સુધી જે શક્ય નથી તે મનની વાતો પણ યોગવિદ્યાથી યોગીઓ જાણી શકતા.
અગાઉની વાતો આપણે ન માનીએ પણ થોડા સમય પહેલાં જ થઈ ગયેલા શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી શ્રી વિવેકાનંદજીની વાત વિચારીએ. શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ૧૦ ‘વિભૂતિયોગ’માં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છેઃ ‘‘હું સર્વ પ્રાણીઓમાં રહેવાવાળો આત્મા છું.’’ (શ્લોક - ૨૦) અને ‘‘હું સમસ્ત જગતને મારા એક અંશમાં વ્યાપ્ત કરીને રહું છું.’’ (શ્લોક - ૪૨) આ વાત જ્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદજીને સમજાવી ત્યારે તે વાત તેમને ન સમજાણી.
તેમણે વિચાર્યું : ‘‘હું પણ બ્રહ્મ અને તું પણ બ્રહ્મ. આ થાળી બ્રહ્મ અને આ વાટકો પણ બ્રહ્મ. આનાથી વધુ મૂર્ખાઈ ભરેલી વાત બીજી શી હોય ?’’ પરંતુ સ્વામી રામકૃષ્ણ પરમહંસજીએ સ્પર્શ કરતાં વિવેકાનંદજીને અલૌકિક અનુભવ થયો અને બધું જ બ્રહ્મમય છે, પરમાત્મા બધે જ વ્યાપેલા છે એ જ્ઞાનનો અનુભવ થયો.
સ્વામી રામકૃષ્ણ પરમહંસજીને મૃત્યુ પહેલાં કેન્સર થયેલું. ખૂબ વેદના થતી હતી. વિવેકાનંદજીએ મનમાં વિચાર્યું ‘‘ગુરુ પરમાત્માનો અવતાર હોય તો તેમના શરીરને વેદના કેમ ?’’ એવી શંકા થવા છતાં આ વિષે તેઓ કંઈ બોલ્યા નહીં, પણ યોગવિદ્યાથી તેમના મનની વાત જાણીને ગુરુએ કહ્યું ‘‘બેટા ! હજી શંકા છે ? હું શરીર નથી, હું આત્મા છું, મને કોઈ વેદના નથી, જે રામ હતા, જે કૃષ્ણ હતા તે જ હું રામકૃષ્ણ છું.’’ આપણને માન્યામાં ન આવે તે હકીકત યોગવિદ્યાથી શક્ય છે, તે ગઈ સદીના અંત ભાગમાં જ આ મહાનુભાવોએ સિદ્ધ કરેલી. આપણને યોગવિદ્યામાં સમજણ ન પડે, એટલે એ વિદ્યા ખોટી છે એમ કેમ કહી શકાય ?
મહારાષ્ટ્રના શ્રી જી. કે. પ્રધાન નામના સજ્જનને ઈ. સ. ૧૯૪૨માં શ્રી શંકર મહારાજ નામના પરમ યોગીનો મેળાપ થયો. શ્રી પ્રધાન સંપૂર્ણ નાસ્તિક હતા, પરંતુ મહાન યોગીએ તેમનું જીવન પલટાવી નાખ્યું. શ્રી પ્રધાને ત્યાર બાદ અંગ્રેજીમાં એક Towards The Silver Crest of The Himalayas નામનું પુસ્તક લખ્યું. તેનો મરાઠીમાં અનુવાદ થયો. ૧૯૬૫માં શ્રી પ્રધાનનું અવસાન થયા બાદ તેમના મરાઠી પુસ્તકનો ૧૯૭૮માં શ્રી ગુલાબરાય મંકોડી નામના સજ્જને ગુજરાતીમાં અનુવાદ કર્યો. પરિણામે ‘હિમગિરિ શિખરોનો આધ્યાત્મિક સાદ’ નામનું અદભુત પુસ્તક આપણને મળ્યું. તેમાં લખ્યા મુજબ ૧૯૪૮માં મહાન યોગી શ્રી શંકર મહારાજનું અવસાન થયેલું.
ઉપરોક્ત પુસ્તકની પ્રસ્તાવનામાં પાના નં. ૧૬ ઉપર એક કલ્પનાતીત પ્રસંગનું વર્ણન છે. એક વાર શ્રી પ્રધાને તેમના આધ્યાત્મિક ગુરુને કહ્યું ‘‘કુરુક્ષેત્રમાં સૈન્યો સામસામે ઊભાં હતાં ત્યારે શ્રીકૃષ્ણે અર્જુનને ગીતા કહી એ વાત ગળે ઊતરતી નથી.’’
મહારાજે કહ્યું ‘‘ઠીક, બેસ મારી સામે.’’ અને તેમણે પ્રધાનની સામે એવી રીતે જોયું કે પ્રધાનને સમાધિ લાગી ગઈ. બે અઢી કલાક એવી સ્થિતિમાં રહ્યા. સમાધિમાંથી જાગ્યા પછી પ્રધાને મહારાજનાં શ્રી ચરણો પર માથું મૂક્યું અને કહ્યું ‘‘મહારાજ ! આજે હું ધન્ય થયો. પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના મુખેથી મને આપે ગીતા સંભળાવી. આખા કુરુક્ષેત્રનો દેખાવ મેં આજે સદેહે અને આ જ આંખે જોયો !’’ ઉપરોક્ત બનાવ ૧૯૪૨થી ૧૯૪૮ વચ્ચેનો છે એટલે કે ફક્ત ૬૦ વર્ષ પહેલાંની વાત છે એ ખાસ નોંધવા જેવું છે.
યોગવિદ્યાથી એક સંત બે કાયા ધારણ કરી શકતા એમ શ્રી પરમહંસ યોગાનંદજીએ તેમની આત્મકથામાં લખ્યું છે. આ પુસ્તકમાં યોગવિદ્યાની અનેક આશ્ચર્યકારક વાતો છે. યોગવિદ્યા કે ગીતાજીની ઉત્પત્તિ નહીં સમજાય તો ચાલશે. એમાં સમય બરબાદ કરવાની જરુર નથી.
‘‘ગીતાજી’’ રસપ્રદ નવલકથા નથી છતાં સંત જ્ઞાનેશ્વર, મહાત્મા ગાંધીજી, વિનોબાજી, રવિશંકરદાદા વગેરે પૂજ્ય મહાનુભાવોના મત અનુસાર એ વારંવાર વાંચવા જેવું પુસ્તક છે. દરેક વાંચન વખતે કાંઈક વિશેષ જાણ્યાની અનુભૂતિ થાય છે. તેમાં વર્ણવેલું જ્ઞાન અત્યંત મહત્વનું છે, એ વાત દુનિયાના વિદ્વાનોએ સ્વીકારેલી છે. સ્વાર્થ રહિત કર્મ, બધું પ્રભુમય છે એવું જ્ઞાન અને પરમાત્માને આત્મસમર્પણ એટલું સમજવાની કોશિષ કરવી, અને આચરણ કરવું, એટલું જ જરુરી છે, ગીતાજી ગોખવાની કોઈ જ જરુર નથી.
| Comments |
|
|
||||||||


‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’