ૐ
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં ત્રણ યોગને બહુ મહત્વ આપ્યું છે. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. આ ત્રણે યોગ એકબીજા સાથે ગજબ રીતે સંકળાયેલા છે. કોઈપણ એક યોગનું નિષ્ઠાપૂર્વકનું આચરણ આપોઆપ બીજા બે યોગ તરફ દોરી જાય છે. સંપૂર્ણ ગીતાજીનું આચરણ તો અદભુત છે જ, પણ એ માટે સંપૂર્ણ ગીતાજી ગોખવાની કોઈ જરૂર નથી. બધું ન સમજાય તો કાંઈ વાંધો નહીં, જેટલું સમજાય તેટલું આચરણ કરીએ તો પણ જીવન ઉન્નત બને.
(૧) કર્મયોગ
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં અનેકવાર નિષ્કામ કર્મ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. બીજા અધ્યાય સાંખ્યયોગમાં શ્લોક નં. ૪૭માં કહ્યું છે કે :
‘‘ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન,
મા કર્મફલ હેતુર્ભૂર્મા તે સંગોસ્ત્વકર્મણિ.. ’’ (ગીતા 2 - 47)
‘‘હે અર્જુન ! કર્મો કરવાં એ જ તારા હાથની વાત છે, ફળો ઉપર તારો કોઇ અધિકાર નથી. તું ફળો માટે કર્મ કરનારો ન થા, તેમજ કર્મનો ત્યાગ કરવા પણ તૈયાર ન થા.’’
ઈચ્છા હોય કે ન હોય તો પણ દરેક માનવી કર્મ કરે જ છે. તેને કરવાં જ પડે છે એ કુદરતી નિયમ છે. પરંતુ આ કામ કરવાથી મને આર્થિક લાભ થશે કે નહીં ?, આ કામ કરવાથી મને યશ મળશે કે નહીં ?, એવી ફળની આશા રાખીને ન વિચારાય. દરેક કામ પોતાની ફરજરૂપે કરવું જોઈએ. કોઈ લાંચ આપે તો કામ કરવું, કે કોઈ વાહવાહ કરે તો કામ કરવું, એ કર્મયોગ નથી. પોતાના અંગત સ્વાર્થનો વિચાર કર્યા વિના કામ કરવું એ જ સાચો કર્મયોગ છે.
તેવી જ રીતે, જે કામ કરતાં, લાભ ન થાય, અથવા યશ ન મળે, કે સગાં સંબધીને દુઃખ થાય, આપણા સંબંધો બગડી જાય, એવાં કામ કરવાં જ નહીં, એ પણ કર્મયોગ નથી. કર્મત્યાગને પ્રભુ મહત્વ આપતા નથી. કોઈ જ અપેક્ષા વિના અને નુકસાનની પરવા વિના કામ કરવું જ જોઈએ. આ વાત ગીતાજીમાં વારંવાર ભારપૂર્વક કહેલી છે. કર્મત્યાગ નહીં પણ સ્વાર્થત્યાગનું મહત્વ છે. લાભ - ગેરલાભ, કે યશ - અપયશનો વિચાર કર્યા વિના કર્મ કરવાં, તેનો અર્થ એવો નથી કે વગર વિચારે કામ કરવાં. યોગ્ય આયોજન કર્યા વિના કામ કરવાં. પરંતુ મહત્વની વાત એ જ છે કે પોતાના અંગત સ્વાર્થનો વિચાર કર્યા વિના કામ કરવાં.
(૨) જ્ઞાનયોગ
શ્રીકૃષ્ણ ભગવાને જ્ઞાનયોગને પણ વિશેષ મહત્વ આપ્યું છે. જ્ઞાનથી વિશેષ કાંઈ પવિત્ર નથી, એમ કહીને જ્ઞાનનો મહિમા ગાયો છે. છટ્ઠા અધ્યાય ‘આત્મસંયમયોગ’માં શ્લોક નં. ૩૦માં કહ્યુ છે કે :
‘‘યો મામ્ પશ્યતિ સર્વત્ર, સર્વં ચ મયિ પશ્યતિ,
તસ્યાહં ન પ્રણશ્યામિ, સ ચ મે ન પ્રણશ્યતિ..’’ (ગીતા 6 - 30)
‘‘જે મને સઘળે જુએ છે, અને હું બધાંમાં સમાયેલો છું, તેમ સમજે છે, તેનાથી હું અદ્રશ્ય નથી અને તે મારાથી અદ્રશ્ય નથી.’’
આ શબ્દો શ્રીકૃષ્ણ ભગવાનના છે. પરમાત્મા સર્વવ્યાપી છે. એ જ્ઞાન જ સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. એ જ્ઞાનથી વિશેષ કાંઈ મહત્વનું નથી. જો આપણે દરેક માનવીમાં પરમાત્માને જોઈએ, તો પછી બીજાને છેતરવાનો વિચાર જ ન આવે. અન્ય કોઈને દુઃખ થાય તેવું વર્તન આપણાથી ન થાય. કોઈ પાસેથી લાંચ ન મગાય. કોઈનું ઈરાદાપૂર્વક અહિત ન કરાય. દરેક માનવીમાં પરમાત્મા છે એમ સમજીને બીજાને શક્ય તેટલા ઉપયોગી થવાનો પ્રયત્ન કરીએ તો, ધરતી ઉપર સ્વર્ગ ઉતરી શકે. ખુદ પરમાત્માએ કહ્યું છે કે ‘‘ જે મને સઘળે જુએ છે તેનાથી હું અદ્રશ્ય નથી અને તે મારાથી અદ્રશ્ય નથી’’ એટલે જો આ જ્ઞાન જીવનમાં ઉતારીએ તો પરમાત્માનાં દર્શન અશક્ય નથી. તેટલું જ નહીં, પરમાત્માની અખંડ કૃપા આપણે પામી શકીએ.
કોઈ પ્રધાન, કલેક્ટર કે પોલીસ કમીશ્નર જેવા સામાન્ય માનવીની ઓળખાણથી પણ આપણે ગર્વ અનુભવીએ છીએ તો સકલ વિશ્વના નિયંતા પરમાત્મા સાથે ગાઢ સંબંધ હોય તો એ કેટલું બધું ગૌરવવંતું ગણાય ! જેને પરમાત્મા વાંસો થાબડીને કહે કે મુંઝાઈશ નહીં, હું તારી સાથે છું તેને કેટલો બધો અવર્ણનીય આનંદ હોય ! એ સમજાવી ન શકાય.
(૩) ભક્તિયોગ
શ્રીકૃષ્ણ ભગવાને ભક્તિયોગનું આચરણ કરનારને ગીતાજીમાં ગજબ અભય વચન આપેલ છે. અઢારમા અધ્યાય ‘મોક્ષ સંન્યાસ યોગ’ માં શ્લોક નં ૬૬માં કહ્યું છે :
‘‘સર્વ ધર્માન્ પરિત્યજ્ય, મામ્ એકમ્ શરણમ્ વ્રજ,
અહમ્ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિશ્યામિ મા શુચઃ..’’ (ગીતા 18 - 66)
‘‘બધા ધર્મોનો ત્યાગ કરી, મારે જ શરણે આવ. હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ.’’
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં ભક્તિયોગ વિષે બહુ સરળ ભાષામાં સમજાવ્યું છે. ભક્તિ માટે કોઈ આકરી શરતો નથી. બધું તજીને માત્ર પ્રભુનું શરણ સ્વીકારવું. કર્મયોગ અને જ્ઞાનયોગનો સાચો અર્થ સમજીને તેનું આચરણ કરીએ એ જ શ્રેષ્ઠ ભક્તિ છે. આપણું જીવન સુધારીએ, અપેક્ષાઓથી રહિત જીવન જીવીએ, કોઈ પ્રત્યે દ્વેષ ન રાખીએ, બીજાને બને તેટલા મદદરૂપ થઈએ તો ભક્તિ શીખવાની જરૂર નથી. સાચા અર્થમાં પ્રભુને ‘‘આત્મ સમર્પણ’’ કરીએ તો પ્રભુની કૃપા અનુભવી શકીએ. એ વર્ણનનો વિષય નથી એ અનુભવવાની બાબત છે. ભક્તિ પ્રેમથી ભરપૂર હોય છે, ભક્તિ એ ખુશામત નથી. પ્રભુનું શરણ સ્વીકારવું એટલે સંપૂર્ણ પ્રભુમય થઈ જવું.
કોઈ કહેશે કે ગીતાજી સંસ્કૃતમાં છે એ વાંચવી જ બહુ અઘરી છે, ગોખવાનું અતિ મુશ્કેલ છે, પરિણામે સમજવી તો અત્યંત કઠિન છે. આ વાત સાચી છે. આપણા જેવા સામાન્ય માનવીને સંસ્કૃત ભાષાનું ખાસ જ્ઞાન ન હોય એટલે મુશ્કેલી પડે. એના ૭૦૦ શ્લોક આપણને કડકડાટ બોલતાં ન આવડે તો મૂંઝાવા જેવું નથી. ૧૮ અધ્યાયમાંથી એકાદ અધ્યાય પણ પૂરો ન આવડે તો કાંઈ વાંધો નહિ, ૧૦ - ૧૨ શ્લોક પણ યાદ ન રહે તો ચાલે, પરંતુ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ વિષેના ઉપરોક્ત, ફક્ત ત્રણ શ્લોકનો અર્થ બરાબર સમજી લઈએ અને તેનું આચરણ કરીએ તો આખાં ગીતાજી ગોખવાની કોઈ જરૂર નથી. પૂજ્ય રવિશંકરદાદાએ કરેલા પ્રવચનોને આધારે લખાયેલી ‘‘ગીતા બોધવાણી’’ જેવું ઉત્તમ પુસ્તક વાંચીએ તો આ શ્લોકોનો અર્થ વધુ સરળ રીતે સમજાય.
વિશ્વનું શ્રેષ્ઠ પુસ્તક ‘‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’’ હિન્દુ ધર્મગ્રંથ ‘‘મહાભારત’’ના એક ભાગ રૂપે હોવા છતાં એ ફક્ત હિંદુઓ માટે જ નથી. જ્ઞાનને ધર્મ કે સંપ્રદાયના સીમાડા બાંધી ન શકે. એ ફક્ત પુરુષો કે સ્ત્રીઓ માટે જ નથી. જેમને પોતાનું જીવન ઉજ્જ્વળ બનાવવું હોય તે ગીતાજીનું આચરણ કરે. ગીતાજી જ્ઞાનની કોરી ચર્ચા કે વાદવિવાદ કરીને જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે નથી. ખુદ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને પોતાનો ઉપદેશ આંખ બંધ રાખીને અનુસરવા કહ્યું નથી. શાંતિથી વિચારીને, યોગ્ય નિર્ણય કરવા કહ્યું છે. આપણું આચરણ સુધારવાની કોશિશ કરતાં કોઈ ભૂલ થાય તો ફરીથી સતત પ્રયત્ન કરીએ. પ્રભુ આપણી ભૂલો જરૂર માફ કરશે એ તો અત્યંત ક્ષમાશીલ છે. સૂરદાસજીએ પરમાત્માને બહુ સરસ વિનંતી કરી છે :
‘‘નૈનહીન કો રાહ દીખા પ્રભુ !, પગ પગ ઠોકર ખાઉં મૈં,
તેરી નગરીયા કી કઠિન ડગરીયા, ચલત ચલત ગિર જાઉં મૈં,
એક બાર પ્રભુ ! હાથ પકડ લો, એક બાર પ્રભુ ! હાથ પકડ લો...’’
| Comments |
|
|
||||||||


‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’