ૐ
શ્રીકૃષ્ણ ભગવાને બુદ્ધિ અને ધૃતિના ત્રણ પ્રકાર વિષે સમજાવતાં કહ્યું : ‘‘હે પાર્થ ! જે બુદ્ધિ પ્રવૃત્તિ, નિવૃત્તિ, કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય, ભય, અભય, બંધન તથા મુક્તિને જાણે છે, તે સાત્વિક બુદ્ધિ છે. જેનાથી મનુષ્ય, ધર્મ તથા અધર્મને, કર્તવ્ય તથા અકર્તવ્યને યથાર્થ રીતે જાણી શકતો નથી, તે રાજસ બુદ્ધિ છે. હે પાર્થ ! અહંકારથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે અને બધા પદાર્થોને અવળી રીતે જુએ છે, તે તામસી બુદ્ધિ છે.’’
‘‘હે પાર્થ ! જે એકનિષ્ઠા ધૃતિથી, મનુષ્ય મન, પ્રાણ અને ઇંદ્રિયોની ક્રિયાઓને આત્મયોગથી ધારણ કરે છે, તે સાત્વિક ધૃતિ છે. હે અર્જુન ! ફળની ઈચ્છાવાળા લોકો જે ધૃતિથી આસક્તિ પૂર્વક ધર્મ અને અર્થ કામોને ધારણ કરે છે, તે રાજસી ધૃતિ છે. હે પાર્થ ! જે ધૃતિ વડે દુર્બુદ્ધિવાળા મનુષ્ય નિદ્રા, ભય, શોક અને જડતાને છોડી શકતા નથી, તે તામસી ધૃતિ છે.
સુખના પણ ત્રણ પ્રકાર સમજાવતાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું : ‘‘જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે, પણ પરિણામે અમૃત સમાન હોય તેવું આત્મજ્ઞાનની પ્રસન્નતાથી થયેલું સુખ સાત્વિક છે. વિષયો અને ઇંદ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું સુખ, શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે, પણ પરિણામે ઝેર જેવો ગુણ કરે, તે સુખ રાજસી છે. જે સુખ આરંભમાં અને પરિણામમાં આત્માને મોહ ઉત્પન્ન કરનાર અને નિદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થયું છે, તે સુખ તામસી છે. પૃથ્વી પર આ ત્રણે ગુણોથી મુક્ત કોઈ નથી.
હિન્દુ ધર્મની પ્રાચીન વર્ણવ્યવસ્થા પણ ત્રણ ગુણ અનુસાર, તેમના અલગ અલગ સ્વભાવને અનુલક્ષીને નક્કી કરવામાં આવેલી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણના સ્વભાવજન્ય કર્મનું વર્ણન કરેલ છે. પોતપોતાના સ્વાભાવિક કર્મમાં જ રત રહીને મનુષ્ય મોક્ષ પામે છે. પોતાના ધર્મ કરતાં બીજાનો ધર્મ લાભકારક લાગતો હોય તો પણ, પોતાનો ધર્મ જ કલ્યાણકારક છે. તેથી પોતાના સ્વાભાવિક કર્તવ્યનું પાલન કરનારને પાપ લાગતું નથી. જેમ અગ્નિની સાથે ધુમાડો હોય છે તેમ કોઈ પણ કર્મ સાથે દોષ સંકળાયેલો જ હોય છે. પોતાનું કર્મ દોષયુક્ત હોય તો પણ તેનો ત્યાગ ન કરવો જોઈએ.
મન અને ઇંદ્રિયો જીતનાર, આસક્તિ રહિત બુદ્ધિવાળો મનુષ્ય , જેને કોઈ સ્પૃહા રહી નથી તે, જ્ઞાનયોગ દ્વારા, કર્મ કરવા છતાં, કર્મબંધનથી મુક્ત થાય છે. જ્ઞાનની પરમ નિષ્ઠા પામવાની આવશ્યક સાધનરૂપ અંતઃકરણની શુદ્ધિ બહુ જરૂરી છે. તેવો વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી, દ્રઢતાપૂર્વક શબ્દ, સ્પર્શ વગેરે વિષયો તજીને, રાગદ્વેષ છોડીને, મિતાહાર તથા એકાંતસેવન દ્વારા, વાણી, શરીર તથા મનને વશ કરી, નિત્ય ચિંતન પરાયણ રહી, વૈરાગ્ય ધારણ કરી, અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરી, મમતા રહિત અને શાંત થઈ મોક્ષસ્થાનને પ્રાપ્ત કરવા યોગ્ય બને છે.
‘‘પરબ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્નચિત્ત મનુષ્ય, કશાનો શોક કરતો નથી. તે સર્વ ભૂતોમાં સમાન ભાવ રાખીને, મારી પરમ ભક્તિ પામે છે. તે યથાર્થરૂપે મને જાણે છે. મારા પરાયણ રહી સર્વ કર્મો રોજ કરવા છતાં પણ, મારી પ્રસન્નતાથી, અવિનાશી શાશ્વત પદને પામે છે. હે અર્જુન ! માટે તું પણ ચિત્તથી સર્વ કર્મો મને સમર્પણ કરી, મને પામવાની એક નિશ્ચયવાળી બુદ્ધિથી, કર્મયોગનો આશ્રય લઈ, સતત મારામાં ચિત્તવાળો થા. મારામાં ચિત્ત જોડવાથી, તારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે. પરંતુ જો અહંકારને વશ થઈ મારૂં કહેવું નહીં સાંભળે, તો નાશ પામીશ. અહંકારને લીધે, તું એમ માને છે કે હું નહીં લડું, પણ તારો સ્વભાવ જ તને પરાણે એમાં જોડશે.’’
‘‘હે કૌંતેય ! મોહવશ તું અત્યારે જે કાર્ય કરવા નથી ઈચ્છતો, તે તારા સ્વભાવજન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોઈ પરવશ થઈને પણ કરીશ. હે ભારત ! તું સંપૂર્ણ ભાવથી પરમાત્માને શરણે જા. તેની કૃપાથી તને પરમ શાંતિ મળશે.’’
‘‘ ઈતિ તે જ્ઞાનમ્ આખ્યાતમ્, ગુહ્યાદ્ ગુહ્યતરમ્ મયા,
વિમૃશ્ય એતદ્ અશેષેણ, યથેચ્છસિ તથા કુરુ......’’ (ગીતા ૧૮ - ૬૩)
‘‘આ પ્રમાણે ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન મેં તને કહ્યું. હવે તું પૂરેપૂરૂં વિચારીને જેમ યોગ્ય લાગે, તેમ કર.’’
આ શ્લોકનું છેલ્લું ચરણ બહુ જ મહત્વનું છે. શ્રીકૃષ્ણ ભગવાન માટે ઘણા લોકો માને છે કે તેમણે અર્જુનને યુદ્ધ કરવા માટે ઉશ્કેરવાથી જ મહાભારતનું યુદ્ધ થયું, પરંતુ ગીતાજીનું આ ચરણ તે વાતનું સ્પષ્ટ ખંડન કરે છે. શ્રીકૃષ્ણ ભગવાન યુદ્ધના હિમાયતી ન હતા. યુદ્ધથી થનાર સંભવિત વિનાશ અટકાવવા તો, તેઓ રાજા મહારાજાઓ કરતાં પણ શ્રેષ્ઠ હોવા છતાં, એક શાંતિદૂત તરીકે હસ્તિનાપુર ગયા હતા.
હસ્તિનાપુરની રાજસભામાં પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, રાજા ધૃતરાષ્ટ્ર અને અનેક મહાનુભાવોની હાજરીમાં યુદ્ધ અટકાવવા, પાંડવોને ન્યાય આપવા વિનંતિ કરી. સમાધાનરૂપે પાંડવોને અર્ધા રાજ્યને બદલે ફક્ત પાંચ ગામ આપવા વિનંતિ કરી. પરંતુ અભિમાની દુર્યોધને સોયની અણી જેટલી જમીન પણ આપવાની ના પાડી. પુત્રમોહને લીધે, રાજા હોવા છતાં, ધૃતરાષ્ટ્ર કાંઈ બોલી ન શક્યા. પરિણામે યુદ્ધની શક્યતા ઊભી થઈ.
મૂંગે મોઢે અન્યાય સહન કરવો એ કાયરતા છે, એમ સ્પષ્ટ માનનાર શ્રીકૃષ્ણ ભગવાને પાંડવોને પોતાના હક્ક માટે લડી લેવા કહ્યું. તેમ છતાં યુદ્ધ શરૂ થવાના સમયે, પોતાના પૂજ્ય વડીલોને હણીને રાજ્ય મેળવવું ઉચિત નથી, તેમ વિચારી અર્જુને યુદ્ધ કરવા ના પાડી. છેલ્લી ઘડીએ દુર્બળતા દેખાડવા બદલ પરમાત્માએ તેને ઠપકો આપતાં, આત્માનું અમરત્વ, નાશવંત શરીરનું મૃત્યુ, જીવનની તમામ પરિસ્થિતિમાં સમાન ભાવ, એટલે કે સ્થિતપ્રજ્ઞતા, સ્વભાવજન્ય કર્મ કરવાં જરૂરી વગેરે અનેક બાબતો સમજાવી.
રાજ્ય મેળવવાની ઈચ્છા તજીને તથા વડીલોને હણવાનો શોક તજીને, યુદ્ધ કરવા સમજાવ્યું. પરંતુ સમગ્ર ગીતાજીના બોધ પછી, પોતે સંપૂર્ણ વિચાર કરીને જ યુદ્ધનો નિર્ણય કરવા કહ્યું, તે ખૂબ મહત્વનું છે. તેમણે અર્જુનને આંખો બંધ રાખી પોતાને અનુસરવા નથી કહ્યું, તે વાત ખાસ નોંધવા જેવી છે.
અંતઃકરણની શુદ્ધિ પર ખૂબ ભાર મૂક્યો છે, તે પણ નોંધવા જેવું છે. પરમાત્માની કૃપા માટે, પરમાત્માનાં દર્શન માટેની આ પૂર્વ શરત છે એમ કહી શકાય. જો પરમાત્માની અખંડ કૃપા અનુભવવી હોય, પ્રભુદર્શનની તીવ્ર ઈચ્છા હોય તો અંતઃકરણને શુદ્ધ કરવું જ પડે.
| Comments |
|


‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’